રાહુલ ગાંધી પર વિદેશમંત્રી એસ જયશંકરનો પલટવાર, સમજાવી વિદેશનીતિ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ ટ્વીટ કરીને નરેન્દ્ર મોદી સરકારની વિદેશનીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એક વીડિયો પણ જાહેર કર્યો હતો.

આ મુદ્દે હવે વિદેશમંત્રી એસ. જયશંકરે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે અને સાથે જ રાહુલ ગાંધીને પૉઇન્ટ ટૂ પૉઇન્ટ વિદેશનીતિ પણ સમજાવી છે.

વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે અમેરિકા, રશિયા, જાપાન જેવા દેશોના ભારત સાથે સંબંધ મજબૂત છે. આ દેશો સાથે સતત સમિટ અને અનૌપચારિક મિટિંગ થતી રહે છે.

તેમણે લખ્યું છે કે અફઘાનિસ્તાનમાં પરિયોજનાઓ પૂર્ણ થઈ છે, પ્રશિક્ષણ વધારવામાં આવ્યું છે. ભુતાન હવે ભારતને મજબૂત સુરક્ષા અને વિકાસના ભાગીદાર તરીકે જુએ છે. હવે 2013ની જેમ હવે તેઓ રાંધણગૅસ વિશે ચિંતા કરતા નથી.

વિદેશમંત્રીએ એમ પણ લખ્યું કે વર્ષ 2008થી 2014ની સરખામણીએ 2014માં બૉર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે બજેટ 280 ટકા વધ્યું છે. રસ્તાના નિર્માણમાં 32%, પૂલનિર્માણમાં 99% અને ટનલના નિર્માણમાં છ ગણી વધારે ઝડપ વધી છે.

રાહુલ ગાંધીને જવાબ આપતાં તેમણે કહ્યું છે કે બાંગ્લાદેશ સાથે લૅન્ડ બાઉન્ડરીવિવાદનું સમાધાન કરી લેવામાં આવ્યું છે. બાંગ્લાદેશ સાથે સંબંધ સુધર્યા છે અને મજબૂત થયા છે.

નોંધનીય છે કે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દેશની વિદેશનીતિ પર સવાલ ઉઠાવ્યા હતા.

તેમણે લખ્યું હતું કે વર્ષ 2014 બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂલો અને અવિવેકપૂર્ણ નિર્ણયોથી ભારત મૌલિકરૂપે નબળું પડી ગયું છે અને આપણે અસુરક્ષિત બની ગયા છીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો