રાજસ્થાન : સચીન પાઇલટનો કૉંગ્રેસની બીજી બેઠકમાં પણ હાજરી આપવા ઇન્કાર - Top News

રાજસ્થાનના નાયબ મુખ્ય મંત્રી સચીન પાઇલટે સોમવારે પક્ષ તરફથી કૉંગ્રેસ વિધાયક દળની હવે પછીની બેઠકમાં આવવાનું નિમંત્રણ પણ અસ્વીકાર કરી સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે પક્ષ તરફથી મુખ્ય મંત્રી અશોક ગેહલોતને અપાઈ રહેલા એકતરફી સમર્થનથી તેમણે વિચાર બદલ્યો નથી.

હિંદુસ્તાન ટાઇમ્સ અખબારના અહેવાલ અનુસાર સચીન પાયલટની નજીકના નેતાઓએ કૉંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ પક્ષ તરફથી પાઇલટને આપેલા બીજા નિમંત્રણ બાદ તુરંત જ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું.

પક્ષ તરફથી સચીન પાઇલટને કરવામાં આવેલી જાહેર અપીલ પાઇલટના મુદ્દાઓને પક્ષ ધ્યાન પર લેવા તૈયાર હોવાનો સંકેત હોવાનું મનાય છે.

પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યો સોમવારની મિટિંગથી દૂર રહ્યા હતા. જોકે કૉંગ્રેસ હાઇકમાન્ડે અન્ય પક્ષો અને કેટલાક સ્વતંત્ર ધારાસભ્યોના સમર્થનનને ગણતરીમાં લીધા બાદ અશોક ગેહલોત સરકાર હજુ પણ બહુમતીમાં હોવાનું કહ્યું હતું.

જયપુરમાં અશોક ગેહલોતનું શક્તિપ્રદર્શન એવા સંકેત આપી રહ્યું હતું કે કેટલાક એવા ધારાસભ્યો જે સચીન પાઇલટના સમર્થનમાં ગણાયા હતા તેમણે ફરી જૂથ બદલ્યું છે.

ભારત-ચીન ઘર્ષણ : આજે કોર્પ્સ કમાન્ડર કક્ષાની બેઠક

ભારત અને ચીનના કોર્પ્સ કમાન્ડરોની ચોથા રાઉન્ડની બેઠક મંગળવારે સવારે મોલ્ડો પાસેના ચુશુલ બોર્ડર પૉઇન્ટ ખાતે મળી રહી છે.

ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારના અહેવાલ અનુસાર આર્મીના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું કે કોર્પ્સ કમાન્ડર્સ આમના-સામનાની સ્થિતિથી દૂર થવાના વધુ પગલાંની ચર્ચા કરશે જેમાં ઘર્ષણના સ્થળો પર સૈનિકોની સંખ્યામાં ઘટાડાના મુદ્દે પણ ચર્ચા થશે.

બીજા તબક્કાના ડિસઍન્ગેજમૅન્ટ માટે પેગોંગ ત્સો પરની સ્થિતિની પણ ચર્ચા કરાશે જ્યાં LAC પર ભારતની સીમાની અંદર હજુ પણ ચીની સૈનિકોની હાજરી હોવાનું કહેવાય છે. ચીની સૈનિકો ફિંગર 8ની પશ્ચિમ બાજુએ ભારતીય સીમામાં 8 કિમી અંદર આવી ગયા હતા જે પૉઇન્ટને ભારત LACનું રેખાંકન ગણાવે છે.

ડૅપસાંગ પ્લેઇન્સની સ્થિતિ પર પણ આ બેઠકમાં ચર્ચા કરાશે એમ અહેવાલ કહે છે. ચીની સૈનિકો આ વિસ્તારના અગાઉથી માન્ય પેટ્રોલિંગ પૉઇન્ટ સુધી પેટ્રોલિંગ કરવાથી ભારતીય સૈનિકોને રોકી રહ્યા છે.

GTUની પરીક્ષાઓ 30 જુલાઈથી શરુ થશે

ગુજરાત ટેકનૉલૉજિકલલ યુનિવર્સિટી(GTU)એ આખરે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખોને લઈને ચાલી રહેલી અસમંજસની સ્થિતિ દૂર કરી છે.

અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે સોમવારે યુનિવર્સિટીએ જાહેરાત કરી દીધી કે UG/ ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે અને PGનાં નિયમિત તથા ફરીવારના તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટેની ઑનલાઇન પરીક્ષા 30 જુલાઈથી શરૂ થશે. ઑફલાઇન પરીક્ષાઓ 17 ઑગસ્ટથી શરુ થશે. અંદાજે 80,000 વિધાર્થીઓ અંતિમ વર્ષની પરીક્ષા આપશે.

યુનિવર્સિટીની વાઇસ ચાન્સેલર નવીન શેઠે અગાઉ જણાવ્યું હતું કે પરિણામોની જલદી જરૂરિયાતને ધ્યાનમાં લેતા ઑનલાઇન અને ઑફલાઇન પરીક્ષાઓ MCQ-OMR ફૉર્મેટમાં લેવાશે. કોઈ નૅગેટિવ માર્કિંગ નહીં થાય અને દરેક MCQનો એક માર્ક ગણાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો