You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CBSE 12th Result : પરિણામમાં છોકરીઓએ મેદાન માર્યું, આ વર્ષે સીબીએસઈ મેરિટ જાહેર નહીં કરે
સોમવારે સીબીએસઈએ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું, જે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકાય છે.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે. તેમણે લખ્યું છે, "મારા વ્હાલાં વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકો. સીબીએસઈએ 12મા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે અને cbseresults.nic.in ની મુલાકાત લઈને તમે પોતાનું પરિણામ જોઈ શકો છો. તમે બધાએ જે યોગદાન આપ્યું છે તે માટે અભિનંદન. હું ફરીથી કહું છું કે વિદ્યાર્થીઓનું આરોગ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ એ અમારી પ્રાથમિકતા છે."
સીબીએસઈની રિવાઇઝડ ઍસેસમૅન્ટ સ્કીમ હેઠળ બીજા વિષયોમાં વિદ્યાર્થી દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ માર્કસને શામેલ કરવામાં આવ્યા છે. જે પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી, તેમાં વિદ્યાર્થીને સરેરાશ માર્કસ આપવામાં આવ્યા છે.
રદ થયેલ પરીક્ષાઓ માટે સીબીએસઈ, યોગ્ય સમયે વૈકલ્પિક પરીક્ષાનું આયોજન કરશે.
આ પરીક્ષાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓનું પરિણામ બદલવામાં આવશે. આ વૈકલ્પિક પરીક્ષાઓમાં મેળવેલા નંબરોવાળી માર્કશીટને અંતિમ માનવામાં આવશે.
કોવિડ રોગચાળાને કારણે સીબીએસઈએ કહ્યું છે કે આ વર્ષે મેરિટ જાહેર કરવામાં આવશે નહીં.
સોમવારે જાહેર થયેલા પરિણામોમાં છોકરીઓનું પ્રદર્શન છોકરાંઓ કરતાં સારું છે. છોકરાઓની સરખામણીમાં છોકરીઓની પાસ થવાની ટકાવારી 5.96% ટકા વધારે છે. આ સાથે પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારીમાં પણ 5.38% નો વધારો થયો છે.
સચીન પાઇલટનો બળવો, અશોક ગેહલોત સરકાર સંકટમાં
રાજસ્થાનમાં યુવા નેતા અને રાજ્યના નાયબ મુખ્ય મંત્રી સચિન પાઇલટના જૂથ તરફથી એવો દાવો કરાયો છે કે રાજ્યમાં અશોક ગેહલોત સરકાર લઘુમતીમાં આવી ગઈ છે કારણ કે તેમની પાસે કૉંગ્રેસના 30 અને અન્ય કેટલાક સ્વતંત્ર ધારાસભ્યોનું સમર્થન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબાર પ્રમાણે પાઇલટનું મીડિયા સંબંધી કામકાજ સંભાળતા લોકેન્દ્ર સિંહે પણ ગઈ કાલે એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, "રાજસ્થાનના નાયબ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસ નેતા સચીન પાઇલટ આવતીકાલે નિયત કરાયેલી કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં હાજરી આપશે નહીં."
અહેવાલ પ્રમાણે પાઇલટ છેલ્લા બે દિવસથી પક્ષ સાથે સંપર્કમાં નથી અને તેમનું સમર્થન કરી રહેલા કેટલાંક ધારાસભ્યો પણ દિલ્હી-NCRમાં બંધ છે. સચીન પાઇલટે સોશિયલ મીડિયામાં પણ સક્રિય નથી દેખાઈ રહ્યા અને કૉગ્રેસના નેતાઓના ટેક્સ્ટ મેસેજનો જવાબ પણ નથી આપી રહ્યા. આને કારણે આગામી પગલાંઓને લઈને અનેક અટકળો થઈ રહી છે.
અહેવાલ પ્રમાણે જ્યારે તેમને પૂછાયું કે શું તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તો તેમણે કહ્યું , " હું ભાજપમાં નથી જોડાઈ રહ્યો."
રાજસ્થાનમાં કૉંગ્રેસ ભાજપ પર ધારાસભ્યોની ખરીદીનો આરોપ મૂકે છે. જોકે, ભાજપે એ આરોપ નકારી કાઢ્યો છે.
સચીન પાઇલટના કથિત બળવાને કારણે રાજસ્થાનમાં રાજકીય સંકટ તોળાઈ રહ્યું છે.
દેશનું સૌથી શ્રીમંત મંદિર કોનું - આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો
કેરળના પ્રસિદ્ધ પદ્મનાભ સ્વામી મંદિરનો અંકુશ કેરળ સરકાર પાસે રહેશે કે પછી ત્રાવણકોરના રાજવી પરિવાર પાસે એ લાંબા સમયથી વિલંબિત મામલે આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે.
હિન્દુસ્તાન ટાઇમ્સ અખબારના અહેવાલ પ્રમાણે નવ વર્ષની લાંબી સુનાવણી પછી હવે સુપ્રીમ કોર્ટ આ મામલે જાન્યુઆરી 2011માં કેરળ હાઈ કોર્ટના એ નિર્ણયની ખરાઈ બાબતે પોતાનો ચુકાદો આપશે. કેરળ હાઈ કોર્ટે ઠેરવ્યું હતું કે રાજ્ય સરકારે મંદિરનો અંકુશ રાજવી પરિવારના વડપણ હેઠળના ટ્રસ્ટ પાસેથી પોતાના હાથમાં લઈ લેવો જોઈએ.
કેરળના પાટનગર થિરુઅનંતપુરમમાં આવેલું મંદિર મે 2011માં ચર્ચામાં આવ્યું હતું જ્યારે સુપ્રીમ કોર્ટે મંદિરના લૉકરમાં રહેલી વસ્તુઓની વિગતો આપવાનો આદેશ કર્યો હતો. મંદિર પાસે તેના લૉકરમાં અઢળક સંપત્તિ હોવાનું લાંબા સમયથી અનુમાન છે.
કથિત રીતે મંદિર બે લાખ કરોડની સંપત્તિ ધરાવે છે અને તેનો સમાવેશ દેશના સૌથી શ્રીમંત મંદિરમાં થાય છે.
વડોદરામાં મહિલા કૉમેડિયનને રૅપની ધમકી બદલ એક વ્યક્તિની ધરપકડ
મહિલા કૉમેડિયનને સોશિયલ મીડિયા પર બળાત્કારની ધમકી આપવા બદલ અને તેમની સામે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ વડોદરા પોલીસે શુભમ મિશ્રા નામના યુવકની ધરપકડ કરી છે.
જેને લઈને વિવાદ થયો હતો એ કેસમાં રવિવારે રાતે વડોદરા પોલીસે કેસનું સંજ્ઞાન લઈ ગાળા-ગાળી અને બળાત્કારની ધમકી આપવાના કેસમાં શુભમ મિશ્રાની ધરપકડ કરી.
પોલીસે સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે કે શુભમ મિશ્રા સામે કાયદેસરની કારવાઈ કરવામાં આવશે.
વડોદરા પોલીસે કહ્યું કે શુભમ મિશ્રા સામે આઈટી ઍક્ટની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ એક વર્ષ જૂના કૉમેડિયન અગ્રિમા જોશુઆ સાથે સંબંધિત કેસ છે. અગ્રિમાએ જોશુઆએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા બાબતે એક ટિપ્પણી કરતો લાઇવ કાર્યક્રમનો એક વીડિયો શૅર કર્યો હતો.
એ વીડિયો પર વિવાદ ઊભો થતા અગ્રિમાએ લોકોની માફી માગી અને વીડિયો હઠાવી દીધો.
જોકે, આ વીડિયો હમણાં ફરીથી સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. વડોદરાના શુભમ મિશ્રાએ આ વીડિયો શૅર કર્યો અને અગ્રિમા જોશુઆને બળાત્કારની ધમકી આપી.
આને લઈને અનેક લોકોએ મહિલાપંચ તથા મહારાષ્ટ્ર સરકારને ફરિયાદ કરી. એ પછી પોલીસ શુભમ મિશ્રા સામે ફરિયાદ નોંધાઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો