કોરોના વાઇરસ : કેરળ કઈ રીતે સંક્રમણને નાથવામાં પહેલા ક્રમનું રાજ્ય બન્યું?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કેરળના એક ગામમાં બે યુવાન સરકારી બસમાંથી ઊતર્યા. અહીં તેમને આગળ જવા માટે બસ ન મળી પરંતુ તેમને મધ્યમ ઉંમરના ત્રણ લોકો મળ્યાં.

આમાંથી સૌથી મોટી ઉંમરના વ્યક્તિએ એક મોટા બૅસિનવાળા અસ્થાયી રીતે બનાવેલાં નળના સ્ટેન્ડ તરફ વિનમ્રપણે ઇશારો કર્યો. આનો ઉપયોગ સામાન્ય રીતે મોટાં લગ્નો દરમિયાન મહેમાનો ડિનર લઈ લે પછી હાથ ધોવા માટે કરતાં હોય છે.

આ બંને યુવાનો, જેમાંથી એક મહિલા અને એક પુરુષ હતાં, તરજ ત્યાં ગયા અને પોતાના હાથ ધોયા. ત્યારબાદ તેઓ પોતાના મુકામ તરફ ચાલતાં થયાં.

ત્યાં ઊભેલાં ત્રણ પુરુષોના ચહેરાં પર સ્માઇલ હતી.

આ મૌન ગતિવિધિ એક વીડિયોમાં કૅપ્ચર થઈ હતી.

આ વીડિયો વાઇરલ થઈ ગયો. દેશના દક્ષિણના રાજ્ય કેરળમાં કોવિડ-19ની સામે લડાઈ રહેલાં યુદ્ધનો આ એક નાનો ભાગ છે.

કેરળ એ રાજ્ય છે, જ્યાં ભારતમાં શરૂઆતમાં કોરોના વાઇરસના સંક્રમણના દરદીઓ મળી આવ્યા હતા. શરૂઆતના અઠવાડિયાંમાં અહીં કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હતો.

જોકે, એ પછી કોરોના પૉઝિટિવ કેસોની યાદીમાં પહેલાં ક્રમેથી હઠીને આ રાજ્ય દસમા ક્રમે પહોંચી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અહીં અત્યાર સુધીમાં 396 પૉઝિટિવ કેસો નોંધાયા છે, જે મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્ય પ્રદેશ, તામિલનાડુ અને ગુજરાત કરતાં ઘણા ઓછા છે. આ ઉપરાંત અહીં નોંધપાત્ર રીતે કોરોના વાઇરસના દરદીઓ સાજા થયાં છે. 396 કેસો પૈકી અડધાથી વધુ એટલે કે 255 દરદીઓને અહીં સાજા કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જો મૃત્યુદરની વાત કરવામાં આવે તો 396 કેસ સામે અહીં ત્રણ જ મૃત્યુ નોંધાયા છે.

line
કોરોના વાઇરસ
લાઇન

શું છે કેરળની સામાજિક મૂડી?

પાલઘર જિલ્લાના કલેક્ટર કૈલાશ શિંદેએ આ ઘટના અફવા અને ભયના કારણે ઘટી હોવાનું જણાવતાં સમાચાર સંસ્થા એનએનઆઈને કહ્યું :

આ લાકો પંચાયતના સભ્યો છે. આ લડાઈમાં તેમને જુનિયર પબ્લિક હેલ્થ નર્સ (જેપીએચએન) અને જુનિયર હેલ્થ ઇન્સ્પેક્ટર (જેએચઆઈ) જેવા હેલ્થકેર વર્કરોનો સાથ પણ આપી રહ્યા છે.

જમીની સ્તરે હાજર હેલ્થકૅર વર્કર અને લોકોના પ્રતિનિધિઓ વચ્ચેનું જોડાણ જ રાજ્યની સામાજિક પૂંજી સાબિત થઈ રહી છે.

આના થકી જ કેરળે કોવિડ-19ના ગ્રાફને ઉપર જતો અટકાવ્યો અને કર્વને સપાટ બનાવ્યો. કર્વ સપાટ થવાનો અર્થ થાય કે નવા કેસમાં થતા વધારાને અટકાવવામાં સફળ થવું.

આ સામાજિક પૂંજી કેરળની પબ્લિક હેલ્થ સિસ્ટમની કરોડરજ્જુ સમાન છે. આના કારણે જ કેરળ કોરોના સામે પ્રભાવશાળી રીતે લડનાર દેશનું પહેલું રાજ્ય બની ગયું છે.

ચીનના વુહાનથી ભારતના પહેલાં ત્રણ દરદી આવ્યાના ત્રણ મહિના પછી પણ કેરળમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા માત્ર ત્રણ છે. આ વિદ્યાર્થીઓ રાજ્યમાં 29 જાન્યુઆરીએ આવ્યા હતા.

એચ1એન1, નિપાહ અને ગત વર્ષે આવેલાં ભયાનક પૂરના અનુભવ પછી રાજ્ય આ ખતનાક વાઇરસ સામે ચાર હાથ કરવા તૈયાર હતું.

હેલ્થકૅર વર્કર અને રાજકીય કાર્યકર્તાઓની ટીમો રાજ્યનાં તમામ ગામનાં દરેક ઘરે પહોંચી અને લોકોને વાઇરસ વિશે સમજાવ્યા.

તેમની પાસે આ પ્રકારનું અભિયાન ચલાવવા માટે પહેલાંથી જ અનુભવ છે. આ રાજ્યમાં આવેલાં પૂર પછી કૂવાને ક્લૉરીનેટ કરવા અને લૅપ્ટૉસ્પિરોસિસ રોકવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

line

આટલા બધા લોકોને ટ્રેનિંગ કેવી રીતે આપવામાં આવી?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કેરળની આરોગ્યસેવાના પૂર્વ ડિરેક્ટર ડૉક્ટર એન. શ્રીધરે બીબીસીને કહ્યું, "આ ટ્રેનિંગ પ્રક્રિયા બે-ત્રણ દિવસથી વધારે નથી ચાલતી. ઍક્સપર્ટ દ્વારા તૈયાર કરાયેલા અભ્યાસક્રમ સાથે આ લોકો બીજા લોકોને શિક્ષિત કરવા માટે ચાલ્યા જાય છે."

ડૉ. શ્રીધરે ઉમેર્યું, "ગ્રામીણ વિસ્તારોમાં અમારા લિંક વર્કર્સ અથવા આશા(ઍક્રેડિટેડ સોશિયલ હેલ્થ ઍક્ટિવિસ્ટ) વર્કર છે. શહેરી વિસ્તારોમાં ઊષા (અર્બન સોશિયલ હેલ્થ ઍક્ટિવિસ્ટ) વર્કર છે. એમને આ લોકોને સમજાવવાનું કહેવામાં આવે છે. દરેક આશાવર્કર 1000 લોકોના ઇન્ચાર્જ હોય છે."

આની સાથે જુનિયર પબ્લિક હેલ્થ નર્સ (જેપીએચએન) પણ હોય છે જે 10,000 લોકોની સંખ્યાના ઇન્ચાર્જ હોય છે.

આની ઉપર એક જુનિયર હેલ્થ ઇન્સ્પેક્ટર હોય છે જેની ઉપર 15,000 લોકોની જવાબદારી સંભાળે છે.

આ સિવાય, આરોગ્યવિભાગ અને સામાજિક ન્યાયવિભાગની વચ્ચે એક લિંક આંગણવાડીના વર્કરો પણ હોય છે. એક આંગણવાડી વર્કર 1,000 લોકોના ઇન્ચાર્જ હોય છે.

ડૉ. શ્રીધરે કહ્યું, "સંદેશ સામાન્ય રીતે હેલ્થ વર્કર દ્વારા આપવામાં આવે છે. જેમ કે માસ્ક પહેરવું જોઈએ. અમે પંચાયતના સભ્યોને આગામી વસ્તુઓ વિશે માહિતગાર કરીએ છીએ, જેથી તે એલર્ટ રહે. હેલ્થકૅર ઇન્સ્પેક્ટર અને શહેરી વિસ્તારમાં વૉર્ડના સભ્યો આ ઉપકેન્દ્રોનો ભાગ હોય છે."

ડૉ. શ્રીધરના કહેવા પ્રમાણે, "હેલ્થકૅર વર્કર્સ અને પંચાયતના સભ્યોની સંપૂર્ણ ફોજને મહત્ત્વની જાણકારીઓથી અવગત કરવામાં આવે છે. આમાં વુહાનથી ઍરપૉર્ટ પર પહેલા મુસાફરના આવતા જ શું કર્યું હતું અને શું કરવું જોઈતું હતું જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. "

રાજ્યમાં એક કૉમ્યુનિટી કૉલ સેન્ટર પણ છે જેનું નામ 'દિશા' છે. આમાં એક ટોલ-ફ્રી નંબર છે. આ સેન્ટર જિલ્લા મેડિકલ ઑફિસરને ત્યાં થનારી ફરિયાદ અથવા તપાસ અંગે માહિતગાર કરે છે.

ડૉ. શ્રીધરે કહ્યું, "જો કોઈ ક્વોરૅન્ટીન સિસ્ટમને તોડે તો પંચાયત વર્કર અને હેલ્થકૅર વર્કર તેમને શોધી લે છે અને તેમને પરત લાવે છે."

વુહાનથી પરત ફરેલા વિદ્યાર્થીઓની પહેલી બૅચ અને તેમના પ્રાઇમરી અને સેકન્ડરી સંપર્કોને ક્વોરૅન્ટીન કર્યા સુધી કેરળમાં સ્થિતિ ઠીક હતી.

જ્યારે એક દંપતી ઍરપૉર્ટ પર સ્ક્રીનિંગનો અનાદર કર્યો અને એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં એક વ્યક્તિ બીમાર હોવાના સમાચાર સામે આવ્યા પછી સ્થિતિ બદલાઈ હતી.

દંપતી પોતાનાં ઇટાલીથી પરત આવ્યું હતું. આ દંપતી અને તેમનાં દીકરી અને જમાઈ તમામ કોરોના વાઇરસથી સંક્રમિત થયેલાં મળ્યાં અને વહીવટી તંત્રને આ માટે ઘણી મહેનત કરવી પડી.

પરંતુ આ જ સમયે હેલ્થ વર્કર અને પોલીસ સહિત આખી મશિનરીએ કૉન્ટેક્ટ ટ્રેસિંગ કરીને, સ્ક્રીનિંગ અને પરીક્ષણ શરૂ કરી દીધાં. આમાં અંદાજે 2000 લોકોનું પરિક્ષણ કરાયું અને કેટલાક હજાર લોકોને હોમ ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા હતા.

દંપતિના માતા-પિતા જે 93 અને 88 વર્ષનાં હતાં, તેમને કોટ્ટાયમની સરકારી હૉસ્પિટલમાં બે અઠવાડિયાની સારવાર પછી ઘરે મોકલી દેવામાં આવ્યાં.

line

કેરળ માટે શું ગેમ ચૅન્જર સાબિત થયું?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ઇકબાલે બીબીસીને કહ્યું, "અમારા માટે ગેમ ચેન્જર ગ્રાસરૂટ લેવલ પર હાજર હેલ્થકૅર વર્કર છે. અમારી પાસે બિલકુલ જમીની સ્તરે સામાજિક પૂંજી હાજર છે, જે કેરળને બીજા રાજ્યોથી અલગ બનાવે છે."

ડૉ. ઇકબાલે કહ્યું, "ખરેખર, અમારી પાસે સામાજિક પૂંજીની સાથે ઍક્સપર્ટની સામાજિક પૂંજી પણ છે. આ પૂંજી અમારા યુવાન ઉત્સાહી ડૉક્ટરોની છે, એમની પાસેથી મેં પણ પબ્લિક હેલ્થ અને વાઇરોલૉજી વિશે ઘણું શીખ્યું છે."

અલગ-અલગ સ્પેશિયાલિટીઝના નવ ડૉક્ટરોની ટીમે કોનવલ્સેન્ટ પ્લાઝ્મા થૅરેપીના ઉપયોગથી કોરોના વાઇરસના દરદીઓની સારવાર કરવા પર લખેલા પેપરને ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચે અપ્રૂવ કર્યું છે.

ડૉ. ઇકબાલ કેરળના કોરોના વાઇરસ સામેની પ્રભાવી લડાઈ માટે ગ્રાસરૂટ વર્કરોની કૉન્ટેક્ટ ટ્રેસિંગ અને કન્ટેનમેન્ટ સ્ટ્રેટર્જીની મદદને કારણભૂત માને છે.

તેઓ કહે છે, "હેલ્થકૅરના વિકેન્દ્રીકરણની અમારી પૉલિસીથી અમને મદદ મળી છે. આ દ્વારા અમે સ્વાસ્થય સેવાઓને પ્રાઇમરી હેલ્થ સેન્ટરથી જિલ્લા હૉસ્પિટલ અને સ્થાનિક એકમો સુધી પહોંચાડ્યા છે."

ડૉ. ઇકબાલના કહેવા પ્રમાણે, "અમારે જોખમવાળા લોકોને સામાન્ય લોકોના સંપર્કમાંથી દૂર રાખવાના હતા. અમે બીજી બીમારીઓનો ભોગ બનેલા 60 વર્ષથી વધારે ઉંમરવાળા લોકોને અલગ કર્યા છે. તેમની સંખ્યા 71.6 લાખ છે. અમે તેમને કહ્યું કે તે ટેલિમેડિસન દ્વારા પોતાના ડૉક્ટરોનો સંપર્ક કરે. આ સિવાય તેમની મદદ મુખ્ય મંત્રી પિનારાઈ વિજય દ્વારા બનાવાયેલાં વૉલન્ટિયર કૉર્પ્સ પણ કરી રહ્યા છે."

કોવિડ-19ના કંટ્રોલ માટે એક્સપર્ટ મેડિકલ કમિટીની ગત બે મહિનાથી દરરોજ બેઠક યોજાય છે, જેથી મેડિકલ અને પબ્લિક હેલ્થ વિષય પર ચર્ચા થઈ શકે.

ડૉ.ઇકબાલે કહ્યું, "હું રોજ સવારે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા મુખ્ય મંત્રીને સીધો રિપોર્ટ કરું છું અને સાંજે ચાર વાગે એક રિપોર્ટ સબમિટ કરું છું."

ડૉ. ઇકબાલ માને છે કે કેરળ આ વાતથી ભાગ્યશાળી છે કે કેરળમાં ચેપનો ભોગ બનેલા લોકોની ઉંમર સરેરાશ ઉંમર 37.2 વર્ષ છે. 80 વર્ષથી ઉપરની ઉંમરવાળા માત્ર બે વ્યક્તિ છે અને 60 વર્ષથી ઉપરની ઉંમરવાળા વ્યક્તિઓની સંખ્યા નવ છે.

line

સ્વાસ્થ્યની જાગરૂતતા

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

એક આંતરરાષ્ટ્રીય હેલ્થ એજન્સીના વૉશિંગટન સ્થિત કન્સલ્ટન્ટ અને ડબલ્યૂએચઓમાં કામ કરી ચૂકેલા ડૉક્ટર એસએસ લાલે કહ્યું, "1990ના દાયકામાં હું જ્યારે પબ્લિક હેલ્થ સિસ્ટમ સાથે જોડાયેલો હતો અને પ્રાઇમરી હેલ્થ સેન્ટરને મેં રિપોર્ટ કર્યું હતું, તે વખતે તમામ 12.30થી 1 વાગ્યા સુધી ઘરે જવાની તૈયારીમાં હતાં. તો મેં તેમને પુછ્યું કે તમામ વસ્તુ કેવી રીતે થશે. મને નર્સિંગ સ્ટાફે કહ્યું કે પીએચસીમાં કોઈ વૉશરૂમ નથી અને તમામને આના માટે ઘરે જવાનું હોય છે. એવામાં પીએચસીને બંધ કરી દેવામાં આવે છે. "

ડૉ. લાલે પંચાયતના સભ્યોને બોલાવ્યા અને પીએચસીને સારી રીતે કામ કરવાની વાત પર ચર્ચા કરી. શરૂઆતમાં હેલ્થકૅર વર્કર અને પંચાયતના સભ્યોની વચ્ચે તણાવ રહેતો, પરંતુ જલદી સમાધાન થઈ ગયું.

આ પછી પબ્લિક હેલ્થ સેન્ટર એ પબ્લિક હેલ્થ સિસ્ટમનો મહત્ત્વનો ભાગ બની ગયો.

સારા સ્વાસ્થયની સંસ્કૃતિને માત્ર હાલના દાયકામાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. પરંતુ આવું એ રાણી લક્ષ્મીબાઈના સમયમાં પણ થયું હતું, જેમણે ત્રાવણકોર પર શાસન કર્યું હતું.

તેઓ 1813માં સાર્વજનિક રીતે લોકોને સ્મૉલ પૉક્સની રસી અંગે સમજાવવા માટે માટે મેદાનમાં આવ્યા હતા.

ડૉ. લાલે કહ્યું, "જ્યારે 1957માં પહેલી સરકારી બની તો ઈએમએ નાંબૂદરીપાદ સરકારની મિનિસ્ટ્રીમાં એક ડૉક્ટરને હેલ્થ મિનિસ્ટર તરીકે શામેલ કરવામાં આવ્યા હતા."

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરૉ સાયન્સના વરિષ્ઠ વાઇરોલૉજીસ્ટ પ્રોફેસર વી. રવિએ બીબીસીને કહ્યું, "કાસરગોડમાં કરવામાં આવેલું કામ શાનદાર છે. માર્ચના છેલ્લા અઠવાડિયામાં અહીં દરરોજ 30-40 લોકો પૉઝિટિવ નીકળી રહ્યા હતા. તેમને માત્ર ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા અને તેમના દરેક પ્રાઇમરી અને સેકન્ડરી કોન્ટેક્ટની રેપિડ ટેસ્ટ કરવામાં આવી અને આના પર નિયંત્રણ કરવામાં આવ્યું. તેમની રેપિડ ટેસ્ટિંગ સ્ટ્રેટર્જી યોગ્ય સાબિત થઈ."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો