કોરોના વાઇરસને ફેલાતાં કેવી રીતે રોકી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં કોરોના વાઇરસના બે નવા કેસ સામે આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ભારતમાં કોરોના વાઇરસના નવા કેસ સામે આવવાથી ગભરાવાની જરૂર નથી.
સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને છેલ્લા 48 કલાકમાં કોરોના વાઇરસના બે નવા કેસની પુષ્ટિ કરી હતી.
દિલ્હીમાં કોરોના વાઇરસના સંક્રમણને જોતાં ઉત્તર પ્રદેશના નોઇડાની બે શાળાઓને થોડા સમય માટે બંધ કરવામાં આવી છે.
સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19 નોવેલ કોરોના વાઇરસને લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
તેમણે કહ્યું કે ભારતના લોકોએ સ્વબચાવ માટે સાથે મળીને, નાનાં પરંતુ મહત્ત્વપૂર્ણ પગલાં લેવાની જરૂર છે.
તેમણે સ્વબચાવનાં પગલાંની સૂચિ પણ ટ્વિટર પર શૅર કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

દિવસ દરમિયાનની અપડેટ
- ઈરાને જણાવ્યું છે કે કોરોના વાઇરસને લીધે થયેલાં મૃત્યુનો આંકડો 77 પર પહોંચી ગયો છે.
- બ્રિટિશ સરકારે જણાવ્યું છે કે આ મહામારીને પગલે દેશનો પાંચમા ભાગનો વર્કફૉર્સ બીમારીની રજા પર જઈ શકે છે.
- ઇટાલીનાં મીડિયાના જણાવ્યા અનુસાર બિમાર પોપનો વાઇરસનો ટેસ્ટ નૅગેટિવ આવ્યો છે.
- જાપાનના ઑલિમ્પિક મિનિસ્ટરે જણાવ્યું છે કે ટોક્યો 2020 ગૅમને હાલ પૂરતી રોકવી પડી શકે એમ છે.
- ચીને વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યા છે.
- ઇટાલીમાં કોરોના વાઇરસના મામલે રવિવારે આવેલા વધારા બાદ હવે ઘટાડો નોંધાયો છે.
- કોરોના વાઇરસના બે નવા મામલા સામે આવ્યા બાદ ભારતમાં આનાથી પ્રભાવિત લોકોની કુલ સંખ્યા પાંચ થઈ ગઈ છે.
- 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ભારતમાં કોરોના વાઇરસથી પ્રભાવિત લોકોની સંખ્યા છ થઈ ગઈ છે. જયપુરમાં ઇટાલીના પ્રવાસીમાં વાઇરસનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે.
- આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 3 માર્ચ પહેલાં ઇટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા અને જાપાનના નાગરિકોને આપેલા વિઝા રદ કરી નાખ્યા છે.

કોરોનાવાઇરસ સામે સ્વબચાવનાં છ પ્રાથમિક પગલાં

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સ્વબાચવ માટેનાં પગલાં સૂચવવામાં આવ્યાં છે જે આ પ્રમાણે છે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- વારંવાર હાથ ધોવા
- બહુ બધા લોકોના સંપર્કમાં આવવાથી બચવું
- આંખ, નાક અને મોઢું અડવાથી બચવું
- ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને હાથ વડે અથવા ટિસ્યૂથી ઢાંકવાં
- તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો જેમ બને તેટલી જલદી ડૉક્ટરની સલાહ લેવી
- તમારા ડૉક્ટરે આપેલી સલાહને અનુસરવી

- ચેપ લાગ્યા પછી શરીર પર કયાં ચોક્કસ લક્ષણો દેખાય છે? અહીં સમજો
- કોરોના વાઇરસથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે જુઓ વીડિયો
- કોરોના વાઇરસનો ચેપ આખરે ફેલાયો કયા પશુમાંથી? અહીં સમજો વાઇરસનું મૂળ
- ભારતમાં કોરોના વાઇરસ વિશે જાણવા જેવી પાંચ વાતો ભારતનાં આ શહેરોમાં લૅબોરેટરી
- કોરોના વાઇરસનો ચેપ ફેલાય તો ભારત કેટલું સજ્જ? તૈયારીઓ વિશે જાણો

નોઇડામાં બે શાળાને બંધ કરાઈ

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીમાં કોરોના વાઇરસનો એક કેસ સામે આવ્યો એ બાદ દિલ્હીની નજીક આવેલા ઉત્તર પ્રદેશના નોઇડામાં બે ખાનગી શાળાઓને થોડા દિવસ માટે બંધ રાખવાના આદેશ અપાયા છે.
બંને શાળાના વાલીઓને ઇમેલ અને વૉટ્સઍપ મૅસેજ મોકલીને શાળા તરફથી કહેવામાં આવ્યું છે કે સાવચેતીના પગલારૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ગભરાવાની કોઈ જરૂર નથી.
દિલ્હીમાં જે વ્યક્તિ કોરોના વાઇરસથી સંક્રમિત થઈ છે, તેમનાં બાળકો નોઇડાની એક શાળામાં અભ્યાસ કરે છે.
વિદેશથી આવ્યા બાદ તેમના ઘરે એક પાર્ટી યોજાઈ હતી. તે પાર્ટીમાં પાંચ પરિવાર અને 10 બાળકો સામેલ થયાં હતાં. પાર્ટી પછી તેમના સૅમ્પલ પૉઝિટિવ આવ્યા હતા. ત્યારથી સ્કૂલ અને બીજા વાલીઓમાં ભય છે.
નોઇડાના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી અનુરાગ ભાર્ગવે કહ્યું, "કોઈ પણ સૅમ્પલ પૉઝિટિવ આવે પછી બધા સરકારી વિભાગને તેની સૂચના આપી દેવામાં આવે છે."
"પાર્ટી પછી દિલ્હીની એ વ્યક્તિનો રિપોર્ટ પૉઝિટિવ હોવાની જાણ થઈ અને શાળાને પણ ખબર પડી. પાર્ટીમાં સામેલ બધી વ્યક્તિઓના સૅમ્પલ લેવામાં આવ્યા છે. થોડાક કલાકમાં રિપોર્ટ આવી જશે."

સંપર્કમાં આવેલા લોકો પર નજર

અનુરાગ ભાર્ગવે કહ્યું કે કોઈ પણ રૂમને સૅનિટાઇઝ કરવામાં બે કલાકનો સમય લાગે છે. કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિની પુત્રી સ્કૂલમાં જે લોકોના સંપર્કમાં આવી હતી, તેમની સાથે પ્રશાસન ફોન પર સંપર્કમાં છે.
કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિ સાથે સંપર્કમાં આવેલા લોકોને ઘરમાં જુદાં રાખવામાં આવ્યા છે. તેમનામાં ઉધરસ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ અને તાવ જેવાં લક્ષણ પર નજર રાખવામાં આવી રહી છે.

કોને સૌથી વધારે ખતરો?
કોરોના વાઇરસનો સૌથી વધુ ખતરો એવા લોકોને હોય છે જેમનામાં સંક્રમણથી લડવાની શક્તિ ઓછી હોય છે. બાળકો અને વૃદ્ધોને સૌથી વધારે ખતરો હોય છે.
નોઇડા પાસે આવેલા ગ્રેટર નોઇડામાં પણ ચાર બાળકોને અલગ રાખવામાં આવ્યાં છે.

દુનિયામાં કોરોના વાઇરસનો કેર

ઇમેજ સ્રોત, Getty Images
અત્યાર સુધી દુનિયાના 60 જેટલા દેશોમાં કોરોના વાઇરસના કેસો સામે આવી ચૂક્યા છે.
કોરોના વાઇરસનો ચેપ હવે ચીનમાં એટલી ઝડપથી નથી ફેલાઈ રહ્યો જેટલો અન્ય દેશોમાં ફેલાઈ રહ્યો છે.
અત્યાર સુધી દુનિયામાં કોરોના વાઇરસે 3000થી વધારે લોકોનો ભોગ લીધો છે. મોટા ભાગનાં મૃત્યુ ચીનમાં થયાં છે. ઇટાલીમાં પણ અત્યાર સુધી 52 લોકોનાં મૃત્યુ થયાં છે. ઇટાલીમાં કોરોના વાઇરસના લગભગ 1,835 કેસ જોવા મળ્યા છે.
ઈરાનમાં પણ કોરોના વાઇરસને લીધે 34 મૃત્યુ નોંધવામાં આવ્યાં છે અને 388 કેસ નોંધાયા છે.
ભારત સરકારે ભારતીયોને બિનજરૂરી રીતે ચીન, ઈરાન, કોરિયા, સિંગાપોર અને ઇટાલીમાં ન જવાની સલાહ આપીએ છીએ.
તેમજ વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ 21 ઍરપૉર્ટ, 12 મોટાં અને 65 નાનાં બંદરો પર હાથ ધરાયું છે. અત્યાર સુધી ઍરપૉર્ટ પર 5,57,431 અને બંદરો પર 12,431 મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયું છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













