મોદીએ સંસદસભ્યોને શાંતિ અને એકતાની સલાહ આપી Top News

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ સર્વોચ્ચ છે તથા વિકાસ તેમનો મંત્ર છે.

ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્યોની બેઠકમાં મોદીએ કહ્યું કે તેઓ રાષ્ટ્રહિત માટે અહીં આવ્યા છે.

સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્લાદ જોશીએ સંસદીય દળની બેઠક બાદ પત્રકારોને આ અંગે માહિતી આપી હતી.

મોદીએ કહ્યું હતું કે વિકાસ માટે શાંતિ, એકતા તથા સમરસતાની જરૂર છે, તેમણે પોતાની પાર્ટીના નેતાઓને આ દિશમાં કામ કરવા સલાહ આપી હતી.

મોદીએ કહ્યું હતું કે ભાજપ દેશને સૌથી ઉપર રાખે છે. અન્ય કેટલાક પક્ષ છે, જે દેશથી ઉપર પાર્ટીના હિતને રાખે છે.

મોદીએ કહ્યું હતું કે જે લોકો દેશને તોડવા માગે છે, તેમની સામે લડવું પડશે.

આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્રસિંહ સહિતના નેતા હાજર હતા.

ગુજરાતમાં ગૌમાંસ

ડેક્કન હેરાલ્ડના અહેવાલ અનુસાર ગુજરાત વિધાનસભામાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં 1 લાખ કિલોથી પણ વધારનું ગૌમાંસ ઝડપાયું છે.

રાજ્યના ગૃહ પ્રધાન તરીકેનો પદભાર સંભાળતા રૂપાણીએ કહ્યું કે 1,00, 490 કિલો ગૌમાંસ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પકડવામાં આવ્યું છે.

વિધાનસભામાં પ્રશ્નનો જવાબ આપતાં સંભાળતા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જવાબ આપતા કહ્યું, "આરોપીઓ પાસેથી 3462 ગાય ઉપરાંત બળદ અને વાછરડાંને જીવતાં પકડવામાં આવ્યાં છે."

સુરતમાંથી સૌથી વધુ 55,162 કિલો, અમદાવાદમાં 18,345 કિલો અને દાહોદમાં 5,934 કિલો ગૌમાંસ પકડાયું છે.

કૉંગ્રેસે 2017માં લાવવામાં આવેલાં ગૌહત્યાના કાયદાની અસરકારકતા અંગે વિધાનસભામાં સોમવારે પ્રશ્ન પૂછ્યા હતા.

ગુજરાતમાં દરરોજ 20 લોકો કરે છે આત્મહત્યાનો પ્રયાસ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 14,702 આત્મહત્યાના કેસ નોંધાયા છે.

જે મુજબ રાજ્યમાં દરરોજ સરેરાશ 20 લોકો આત્મહત્યાના પ્રયાસ કરે છે.

ગુજરાતમાં સૌથી વધુ આત્મહત્યાના કેસ સુરત (2153)માં ત્યારબાદ અમદાવાદ(1941)માં અને પછી રાજકોટ(1651)માં નોંધાયા છે.

કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આક્ષેપ મૂક્યો હતો કે આત્મહત્યાને આકસ્મિક મૃત્યુમાં ગણાવવા એ આત્મહત્યાના કેસને કંટ્રોલ કરવા માટે છે.

પરેશ ધાનાણીએ કેટલાં ખેડૂતોએ આત્મહત્યા કરી તેની પણ વિગતો માગી હતી.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે પ્રશ્નમાં રાજકીય ગંધ જણાય છે અને ગૃહના સભ્યોને જણાવ્યું, "જો આત્મહત્યાના કેસની એફ.આઈ.આર.માં ખેતી લખવામાં આવ્યું હોય તો તેનો અર્થ એ નથી થતો કે આ આત્મહત્યા ખેતી વિષયક કારણે આત્મહત્યા કરી છે.

તેમણે વધુમાં કહ્યુ, "રાજ્ય સરકાર દ્વારા 3795 કરોડ રૂપિયાનું ખેડૂત પૅકેજ જાહેર કરવામાં આવ્યું છે."

દિલ્હીની હિંસાએ 'આયોજિત નરસંહાર' છે - મમતા બેનરજી

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીનું કહેવું છે કે દિલ્હીની હિંસાએ 'આયોજિત નરસંહાર' છે, જેને બાદમાં 'કોમવાદી હિંસા'નું સ્વરૂપ આપી દેવામાં આવ્યું.

ધ હિન્દુના અહેવાલ મુજબ, બેનરજીએ દિલ્હીની હિંસા માટે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ઠેરવી હતી અને કહ્યું હતું કે હિંસા અંગે માફી માગવાને બદલે પાર્ટી 'નવા આતંકવાદીઓને પકડવામાં મશગૂલ છે.'

મમતા બેનરજીએ કહ્યું હતું કે 'દેશ કે ગદ્દારો કો....' જેવી ભાષા દિલ્હીની ભાષા છે, તેને બંગાળમાં ચલાવી લેવામાં નહીં આવે, કોલકાતામાં આ મુદ્દે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

તૃણમુલ કૉંગ્રેસ દ્વારા 90 દિવસીય જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પાર્ટીના નેતા તથા કાર્યકરો જનતાની વચ્ચે જઈને તેમને મળશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો