શ્રીરામ લાગુ : એ નટસમ્રાટ જેમણે ગુજરાતી નાટકો પણ કર્યાં હતાં

    • લેેખક, વંદના
    • પદ, બીબીસી ટીવી એડિટર, ભારતીય ભાષાઓ

જાણીતા નાટ્યકર્મી, ફિલ્મ અભિનેતા શ્રીરામ લાગુનું 92 વર્ષની વયે અવસાન થયું છે.

19 નવેમ્બર 1927માં મહારાષ્ટ્રના સાતારામાં જન્મેલા શ્રીરામ લાગુ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.

100થી વધારે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કરનાર શ્રીરામ લાગુના સંબંઘી સુનીલ મહાજને બીબીસીને કહ્યું કે મંગળવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે એમણે પૂણેમાં અંતિમ શ્વાસ લીધા.

સિનેમા ઉપરાંત તેઓ મરાઠી, હિન્દી અને ગુજરાતી રંગમંચ સાથે પણ સંકળાયેલા હતા. તેમણે 20થી વધારે નાટકોનું નિર્દેશન પર કર્યું હતું.

મરાઠી નાટ્યજગતમાં એમને 20મી સદીના સૌથી દિગ્ગ્જ કલાકાર માનવામાં આવે છે.

ડૉ. શ્રીરામ લાગુએ એમની આત્મકથા 'લમાણ'માં લખ્યું છે કે તેઓ જ્યારે આફ્રિકામાં હતા ત્યારે ત્યાં ગુજરાતીઓ ઘણા હતા અને તેમણે ગુજરાતી નાટક પણ કર્યાં હતાં.

અલબત્ત, તે વખતે સર્જન તરીકેની કામગીરી સાથે એ નાટક કરતા હતા અને સક્રિય રીતે ફક્ત નાટ્યપ્રવૃત્ત નહોતા થયા.

દાકતરી છોડી નાટક તરફ

42 વર્ષની વ્યક્તિ જે વ્યવસાયે નાક, કાન અને ગળાની સર્જન હોય અને પછી તે અભિનયને પોતાનો વ્યવસાય બનાવી દે, એ હતા ડૉ. શ્રીરામ લાગુ.

પૂણે અને મુંબઈમાં અભ્યાસ કરનાર ડૉ. શ્રીરામ લાગુને અભિનયનો શોખ બાળપણથી હતો. અભ્યાસ માટે એમણે મેડિકલ ક્ષેત્રની પસંદગી કરી પરંતુ નાટકોનો સિલસિલો ત્યાં પણ ચાલતો રહ્યો.

મેડિકલનો વ્યવસાય તેમને આફ્રિકા સહિત અનેક દેશોમાં લઈ ગયો. તેઓ સર્જન તરીકે કામ કરતા રહ્યા પરંતુ મન અભિનયમાં અટવાયેલું રહ્યું.

42 વર્ષે તેમણે નાટક અને ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો. 1969માં તેઓ સમગ્ર રીતે મરાઠી નાટ્યપ્રવૃત્તિ સાથે જોડાઈ ગયા.

'નટસમ્રાટ' નાટકમાં તેમણે ગણપત બેલવલકરની ભૂમિકા ભજવી જેને મરાઠી નાટ્યજગતમાં સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે.

ગણપત બેલવલકરની એ ભૂમિકા એટલી અઘરી માનવામાં આવે છે કે એ પાત્રનો અભિનય કર્યા પછી અનેક કલાકારો ગંભીર રીતે બીમાર થયા છે. નટસમ્રાટનો રોલ ભજવ્યા પછી ડૉ. શ્રીરામ લાગુને પણ હાર્ટઍટેક આવ્યો હતો.

ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ

શ્રીરામ લાગુએ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી.

1977માં ઘરોંદા ફિલ્મમાં આધેડ વયના બોસ (મિસ્ટર મોદી)ની ભૂમિકા કરી, જેમણે પોતાની ઑફિસમાં કામ કરતી યુવાન છોકરી (ઝરીના વહાબ) સાથે લગ્ન કર્યાં.

એ ફિલ્મમાં ઝરીના ખરેખર અમોલ પાલેકરને પ્રેમ કરતાં હોય છે, પરંતુ અમોલ પૈસાની લાલચમાં ઝરીનાને શ્રીરામ લાગુ સાથે લગ્ન કરવા મજબૂર કરી દે છે. છેવટે ધીમેધીમે એક આધેડ અને યુવાન છોકરી વચ્ચે પ્રણય પાંગરે છે.

આ રોલ સરળતાથી નેગેટિલ બની જાય તેમ હતો પંરતુ શ્રીરામ લાગુએ તેને ખૂબ નજાકતથી નિભાવ્યો. ઘરોંદા માટે તેમને સર્વશ્રેષ્ઠ સહઅભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર એનાયત થયો હતો.

સિંહાસન, સામના, પિંજરા જેવી મરાઠી ફિલ્મો ઉપરાંત મુકદ્દર કા સિકંદર, સૌતન, લાવારિસ જેવી અનેક હિન્દી ફિલ્મોમાં એમણે અભિનય કર્યો.

રિચર્ડ એટનબરોની ગાંધી ફિલ્મમાં એમણે ગોપાલ કૃષ્ણ ગોખલેની એક નાની ભૂમિકા કરી જે કાયમ યાદ રહેશે. આ જ ભૂમિકા એમણે બાળપણમાં પૂણેમા એમની શાળામાં ભજવી હતી.

અભિનેતા નસીરુદ્દીન શાહે એક વાર કહ્યું હતું કે શ્રીરામ લાગુની આત્મકથા લમાણ કોઈ પણ ઍક્ટર માટે બાઇબલ સમાન છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો