બિનસચિવાલય પરીક્ષા વિવાદ : ચોથા દિવસે આંદોલનકારીઓની સંખ્યા ઘટી પણ આંદોલન યથાવત્

બિનસચિવાલય કલાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિને લઈને ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનનો આજે ચોથો દિવસ છે. આંદોલનની ત્રીજી રાત પણ વિદ્યાર્થીઓએ રસ્તા પર વિતાવી હતી.
આ દરમિયાન આજે કૉંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ગુજરાતની શાળાઓ અને કૉલેજોમાં બંધનું એલાન આપ્યું હતું. જેના મિશ્ર પ્રતિસાદ સાપડ્યો છે.
કેટલીક જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓએ બંધ પાળીને વિરોધને સમર્થન આપ્યું હતું તો કેટલીક શૈક્ષણિક સંસ્થાઓને કૉંગ્રેસ અને એનએસયુઆઈએ ફરજિયાત બંધ પળાવ્યો હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.
બિનસચિવાલય કલાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં આચરવામાં આવેલી ગેરરીતિને પગલે પરીક્ષાને રદ કરવાની કૉંગ્રેસ અને એનએસયુઆઈ માગ કરી રહ્યાં છે. પરીક્ષા રદ જાહેર ન કરાય ત્યાં સુધી તેમણે આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બંધના એલાનને પગલે અમદાવાદમાં જીએલએસ, એસ.વી. વિવેકાનંદ, નેશનલ જેવી કૉલેજોએ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો હતો તો ભરૂચમાં કૉલેજો બંધ કરાવવા પ્રયાસ કરાવી રહેલા કૉંગ્રેસ અને એનએસયુઆઈના કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
અમદાવાદ, ભરૂચ ઉપરાંત પાટણ, રાજકોટ, જામનગરમાં પણ કૉલેજો બંધ કરાવવા કૉંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો પહોંચ્યા હતા. આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં કેટલાક વિદ્યાર્થીઓએ બંધની અપીલથી અજાણ હોવાની વાત પણ કરી હતી.
કૉંગ્રેસે 9મી ડિસેમ્બરે ગાંધીનગરમાં વિરોધપ્રદર્શન માટે વિદ્યાર્થીઓ અને નાગરિકોને એકઠા થવાની પણ હાકલ કરી છે. કૉંગ્રેસ વિધાનસબાના સત્રના પ્રથમ દિવસે જ રાજ્ય સરકારને ઘેરવા માગે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેળાણીએ પણ 9મી ડિસેમ્બરે બંધનો કોલ આપ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીના સંવાદદાતા તેજસ વૈદ્યના જણાવ્યા અનુસાર "ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્ક 20થી 40 જેટલા વિદ્યાર્થીઓ હજુ પણ ધરણાં પર બેઠા છે. વિદ્યાર્થીઓના વિરોધને ટેકો આપતા ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા પણ પહોંચ્યા છે. આ પહેલાં ગઈ કાલે પણ તેઓ વિદ્યાર્થીઓ સાથે રહ્યા હતા."
તેજસે વધુમાં જણાવ્યું, "ગુજરાતની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં પરીક્ષાઓ ચાલી રહી હોવાને લીધે કૉંગ્રેસે ફરજિયાત બંધને બદલે બંધની અપીલ કરી હતી. જેને આજે મિશ્ર પ્રતિસાદ સાપડ્યો હતો."
"જોકે, અમદાવાદની કેટલીક કૉલેજોને બંધ કરાવવા માટે કૉંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો પહોંચ્યા હતા અને પરિસ્થિતિ ન બગડે એ માટે પોલીસ પણ તહેનાત થઈ ગઈ હતી. "
અહીં એ વાત પણ મહત્ત્વની છે કે આવતી કાલે કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળવાની છે, જેમાં આ મામલે આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે.
તો આ દરમિયાન રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મુદ્દાના અભાવે કૉંગ્રેસ વિરોધપ્રદર્શનો કરી રહી હોવાનો આરોપ લગાવ્યો છે.
આ પહેલાં તેજસ વૈદ્યે ગૌણ સેવા પસંદગી બોર્ડના પ્રમુખ અસિત વોરા સાથે ટેલિફોન પર વાત કરી. જેમાં વોરાએ આ મામલે કશું જ કહેવાનો ઇન્કાર કરતાં કહ્યું હતું, "આ મુદ્દે હું કઈ નહીં કહું, સરકાર કહેશે."

ત્રીજા દિવસે સાંજે આંદોલનનો ઘટનાસ્થળથી અહેવાલ જુઓ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 1
આ પહેલાં ત્રીજા દિવસે સવારે વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી આંદોલનના સ્થળે શુક્રવારે સવારે પહોંચ્યા હતા. હાર્દિક પટેલે પ્રતીક ઉપવાસ કરવાની જાહેરાત પણ કરી છે.
હાર્દિક પટેલે વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું, "લોકતંત્રમાં માથાંઓની કિંમત હોય છે એટલે આપણે ભેગા થઈને લડવું પડશે."
"સરકાર ત્યારે જ વાત સાંભળશે જો એમને વોટ ગુમાવવાની ચિંતા થશે."
"વિજયભાઈ સામે લડી લેવામાં અમે તમારી સાથે છીએ. છેલ્લાં 15-20 વર્ષમાં ગુજરાતમાં લડવાની તાકાત ઓછી થઈ ગઈ છે."

હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી સહિત અનેક પ્રતીક ઉપવાસ પર

ગુજરાત સરકારે એસઆઈટીની રચના કરવાની બાંયધરી આપી છે, પરંતુ વિદ્યાર્થીઓ પરીક્ષાને રદ કરવાની માગણી પર અડગ છે.
આંદોલનના બીજા દિવસે મોડી રાત્રે કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ આંદોલનકારીઓ વિદ્યાર્થીઓને મળવા માટે પહોંચ્યા હતા.
પરીક્ષાર્થીઓના પ્રતિનિધિ એવા યુવરાજસિંહને પોલીસ અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે. આ દરમિયાન ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારપરિષદ યોજી હતી.
એમણે કહ્યું કે સરકારે આંદોલન કરનારા વિદ્યાર્થીઓની માગ સ્વીકારી છે અને સીટની રચના કરી છે. 10 દિવસમાં સીટ પરીક્ષામાં ગેરરીતિની તપાસ કરશે અને સરકારને અહેવાલ આપશે.
એમણે એમ પણ કહ્યું કે પરીક્ષાનું પરિણામ હાલ જાહેર નહીં કરાય. સીટનો અહેવાલ આવ્યા પછી જ પરિણામ જાહેરાત કરવામાં આવશે.
એમણે કહ્યું કે અગ્રસચિવ કમલ દયાણી આ ખાસ તપાસ ટીમની આગેવાની કરશે.
જોકે, વિદ્યાર્થીઓ હજી પણ આ પરીક્ષા રદ કરવાની વાત પર અડગ છે. એમનું કહેવું છે કે સીટની રચના તો પરીક્ષા રદ કરીને પણ કરી શકાય છે.
આંદોલનને સમર્થન આપવા પહોંચેલા કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલનો વિરોધ થતાં તેમને અગાઉ સ્થળ છોડી દેવાની ફરજ પડી હતી.
હાર્દિક પટેલ સમર્થન આપવા ગયા ત્યારે કેટલાક લોકોએ ગૉ બૅકના નારા પણ લગાવ્યા હતા તેમજ હાર્દિક પટેલ સાથે ધક્કામુક્કી પણ થઈ હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
હાર્દિક પટેલે કહ્યું હતું કે હું કોઈ રાજકીય પક્ષ તરફથી નહીં પરંતુ વ્યક્તિગત રીતે મળવા આવ્યો છું.
જોકે, આંદોલનકારીઓ એમની એક પણ વાત સાંભળવા તૈયાર નહોતા.
હાર્દિકે કહ્યું હતું કે 10 લાખ લોકોને નુકસાન થયું છે. હું આંદોલનનો માણસ છું એટલે ટેકો આપવા આવ્યો છું. આમાં પણ તમે ભાગલા પાડશો તો થશે શું?
એમણે કહ્યું કે સરકારનો વિરોધ કરવાને બદલે વિરોધપક્ષનો વિરોધ કરશો કે વ્યકિતગત સમર્થન આપવાવાળાને ગૉ બૅક કહેશો તે ઠીક નથી. નુકસાન તો 10 લાખ લોકોને ગયું છે. હજી લોકો જાગૃત નથી.
હાર્દિક પટેલે બીબીસી ગુજરાતીને કહ્યું કે હું આંદોલનનો માણસ છું એટલે ટેકો આપવા આવ્યો છું. કદાચ લોકો મજબૂત હોય અને મારી જરૂર ન હોય એનો પણ વાંધો નથી. લડાઈ સફળ થાય એ જરૂરી છે.

હાર્દિક પટેલના વિરોધ પર પરીક્ષાર્થીઓના પ્રતિનિધિ યુવરાજસિંહે શું કહ્યું?
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 2
ગુરુવારે બપોરે આંદોલનકારીઓના ચાર પ્રતિનિધિઓની અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠક પછી પ્રતિનિધિઓ પૈકી યુવરાજસિંહે SITનું ગઠન થાય તો આંદોલનને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
જોકે બીજી તરફ આંદોલનકારીઓ ધરણાં પર જ છે અને તેમણે લડત ચાલુ રાખવાની તૈયારી બતાવી છે.
યુવરાજસિંહનું કહેવું છે કે સરકારે તમામ માગણીઓ સ્વીકારવાની અને SITની રચના કરીને યોગ્ય તપાસ કરવાની બાંયધરી આપી છે પણ અમારો ઉદ્દેશ પરીક્ષા રદ કરાવવાનો છે અને રહેશે.
મુલાકાત બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અધિકારીઓ સાથેની વાતચીત હકારાત્મક રહી છે. એસઆઈટી દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવાની બાંયધરી પણ આપવામાં આવી છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, "ગેરરીતિ કરનારા લોકો નોકરી ન લઈ જાય એનું ધ્યાન રાખવામાં આવશે."
"ભરતીની પ્રક્રિયા પારદર્શક રીતે થાય એ જરૂરી છે અને વિદ્યાર્થીઓ સાથે અધિકારીઓની બેઠક થઈ હતી. સરકાર વિદ્યાર્થીઓનું સારું જ ઇચ્છે છે."

હાર્દિક પટેલ અને અમિત ચાવડાનું સમર્થન

વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે હાર્દિક પટેલ, કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, શંકરસિંહ વાઘેલા અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા પહોંચ્યાં હતાં.
રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબાએ કહ્યું, "હજી સરકારની આંખો ઊઘડતી નથી ત્યારે નાગરિક તરીકે હું સમર્થન આપવા માટે આવી છું."
"વિદ્યાર્થીઓ ભૂખ્યા-તરસ્યા અહીં ગઈ કાલથી બેઠા છે છતાં સરકાર જોતી નથી."
"ચૂંટણી વખતે મેં ભી ચોકીદાર અને વિકાસની વાતો કરનારા નેતાઓએ આપણને શું આપ્યું? ખેડૂતોનાં આંદોલન, બળાત્કારની ઘટનાઓ અને વિદ્યાર્થીઓનાં આંદોલનો જ જોવાં પડ્યાં છે."
અમિત ચાવડાએ કહ્યું હતું કે કૉંગ્રેસ વિદ્યાર્થીઓની લડતને સમર્થન આપી રહી છે અને હું વિદ્યાર્થીઓને મળવા માટે અહીં આવ્યો છું.

'રાજકીય હાથો ન બનવાની અપીલ'

પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, "કેટલાક રાજકીય ઍજન્ટો વિદ્યાર્થીઓને ભરમાવવાનો પ્રયાસ રકી રહ્યા છે. વિદ્યાર્થીઓને રાજકીય હાથો ન બનવાની હું અપીલ કરું છું"
જાડેજાએ કહ્યું, "આંદોલનકારીઓ વિદ્યાર્થીઓના પ્રત્યે સરકારને સહાનુભૂતિ છે. વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણ અને બળપ્રયોગ ન કરવા માટે પોલીસને આદેશ આપવામાં આવ્યા છે."
"સરકાર વિદ્યાર્થીઓ સાથે મળીને સમાધાન લાવવા માટે તૈયાર છે."
આંદોલનમાં મંદીની વાત

બિનસચિવાલયની પરીક્ષા રદ કરવવાના આંદોલનમાં અર્થતંત્રની મંદીની વાત પણ પરીક્ષાર્થીઓ કટાક્ષ દ્વારા કહી રહ્યા છે. એક આંદોલનકારીએ પ્લે કાર્ડ પર લખ્યું કે ''કોણ કહે છે કે મંદી છે, પરીક્ષાનું પેપર લાખોમાં વેચાય છે.''
ઉલ્લેખનીય છે કે જીડીપી વિકાસદરમાં ઘટાડો અને અર્થતંત્રમાં મંદી દેશમાં ચર્ચાનો વિષય છે.
અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ એવું કહી ચૂક્યાં છે કે આ મંદી નથી.
બુધવારે ભાજપના નેતા વીરેન્દ્ર સિંહે લોકસભામાં એવું નિવેદન પણ આપ્યું હતું કે ''લોકો સરકારને અને દેશને શરમમાં મૂકવા માટે ઑટોમોબાઇલ સેક્ટરમાં મંદીની વાતો કરે છે. જો ઑટોમોબાઇલ સેકટરમાં મંદી છે તો રસ્તા પર ટ્રાફિક જામ કેમ થાય છે?''
ઉલ્લેખનીય છે કે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહથી માંડીને રાહુલ બજાજ સુધી અનેક નામાંકિત લોકો તેમજ અર્થશાસ્ત્રીઓ દેશના અર્થતંત્ર અને મંદીને લઈને ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

SIT તપાસની બાંયધરી, આંદોલન યથાવત્

કલેક્ટર દ્વારા SIT તપાસ કરાવવાની બાંયધરી આપવામાં આવી છે છતાં આંદોલન ચાલુ રાખવાની જાહેરાત પ્રતિનિધિઓએ મીડિયા સમક્ષ કરી છે.
કલેક્ટરને મળવા ગયેલા પ્રતિનિધિ હાર્દિકે જણાવ્યું હતું કે સત્તાવાર જાહેરાત નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.
વિદ્યાર્થીઓ દ્વારા માગ કરવામાં આવી રહી છે કે તપાસ માટે જે સમિતિ બનાવવામાં આવે તેમાં વિદ્યાર્થી પ્રતિનિધિનું પણ સ્થાન હોવું જ જોઈએ.
વિદ્યાર્થી પ્રતિનિધિઓનું કહેવું છે કે તપાસમાંથી કંઈ નક્કર ઊપજી ન આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.
બીજી તરફ કલેક્ટરે વિદ્યાર્થીઓએ રજૂ કરેલા પાંચ મુદ્દા મુખ્ય મંત્રી સુધી પહોંચાડવાની તૈયારી બતાવી છે.

અત્યાર સુધી શું થયું?
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 3
ગાંધીનગરમાં બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં થયેલી ગેરરીતિનો વિરોધ કરવા એકઠા થયેલા વિદ્યાર્થીઓની બુધવારે પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.
આ પછી પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ પાટનગરના રસ્તા પર રાત વિતાવી હતી.
આંદોલનકારીઓ એક વિદ્યાર્થી હેલ્મેટ પહેરીને વિરોધપ્રદર્શનમાં જોડાયા હતા.
તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "લાખો વિદ્યાર્થીઓ અહીં બેઠા હતા ત્યારે સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય લીધો અને અમારો અવાજ સરકારને સંભળાતો નથી."
બુધવારે સવારથી શરૂ થયેલો વિદ્યાર્થીઓનો વિરોધ હજી ચાલી રહ્યો છે અને આજે ગુરુવારે સવારથી જ વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.

NSUIના કાર્યકરોની અટકાયત

ગૌણ સેવા પસંદગી બોર્ડના પ્રમુખ અસિત વોરાના ઘરની બહાર એનએસયુઆઈ તથા યુથ કૉંગ્રેસના કાર્યકરોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિના મુદ્દે કૉંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ આજે ગૌણ સેવા પસંદગી બોર્ડના પ્રમુખ અસિત વોરાના ઘરની બહાર ધરણા કર્યા હતા.
એનએસયુઆઈના કાર્યકરોને પોલીસે રોકવાના પ્રયત્નો કર્યા હતા અને કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ હતી.
શંકરસિંહ વાઘેલા ગુરુવારે સવારે વિદ્યાર્થીઓને મળવા માટે પહોંચ્યા હતા.
તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "હું વિદ્યાર્થીઓની સાથે છું. સરકારે વિદ્યાર્થીઓ સામે ઝૂકવું જ પડશે પણ બધાએ એકઠા થઈને ઝુકાવવા માટે આગળ આવવું પડશે."
બુધવારે રાત્રે વિદ્યાર્થીઓએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમારી માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી અમે અહીંથી નહીં ખસીએ.
ઉલ્લેખનીય છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરે લેવાયેલી બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ વિદ્યાર્થીઓએ લગાવ્યા છે.
બુધવારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની પરીક્ષાનો મુદ્દો સતત ગૂંજતો રહ્યો હતો.

વિદ્યાર્થીઓની અટકાયત
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
આ મામલે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પણ પુરાવાઓ આપ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે વિદ્યાર્થીઓએ બુધવારે ગાંધીનગરમાં રેલી યોજી હતી.
વિદ્યાર્થીઓએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલી ગેરરીતિના પુરાવાઓ આપ્યા હતા, જેમાં પરીક્ષાખંડનાં સીસીટીવી ફૂટેજ અને અન્ય ક્લિપિંગ્સ સામેલ હતાં.
ગાંધીનગરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દર્શને જણાવ્યું કે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમની પોલીસે અટકાયત કરી હતી.
કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને કહ્યું કે કૉંગ્રેસે ગેરરીતિના પુરાવાઓ આપ્યા હોવા છતાં સરકારે કોઈ પગલાં ન લીધાં.

શરૂઆતથી જ વિવાદ
બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની પરીક્ષા મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
આ અગાઉ 20 ઑક્ટોબરે પરીક્ષા યોજાવાની હતી. જેને રદ્દ કરીને સરકારે 17મી નવેમ્બરે યોજવાનો નિર્ણય કર્યો હતો.
17 નવેમ્બરે યોજાયેલી પરીક્ષામાં ગેરરીતિની વિગતો સામે આવી હતી.
રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું, "પોલીસ દ્વારા કોઈ જગ્યાએ લાઠીચાર્જ કરવામાં આવ્યો નથી. જે વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરતા હતા, તોફાન કરતા હતા એમની અટકાયત કરાઈ છે. કોઈને ઈજા થઈ નથી કે પથ્થરમારો થયો નથી."
તેમણે કહ્યું કે એકઠા થયેલા વિદ્યાર્થીઓ પાસે વિરોધ-પ્રદર્શનની કોઈ મંજૂરી નહોતી.

જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
આ મામલે ગઈ કાલે જિગ્નેશ મેવાણીએ કહ્યું કે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં જે પેપર લીક થયું એમાં ચોક્કસપણે કમલમ્ અને ગાંધીનગરની સાઠગાંઠ હોવી જ જોઈએ.
મેવાણીએ કહ્યું, "આ મુદ્દે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અને તપાસ થાય અને ફરી પરીક્ષા લેવાય એવી ન્યાયી માગણી માટે જે વિદ્યાર્થીઓ આજે ગાંધીનગર પહોંચ્યા હતા અને કમલમના ઇશારે એમની પર જે દમન કરવામાં આવ્યું છે, એમાં પોલીસ કરતાં ગાંધીનગરમાં બેઠેલી સરકારનો વધુ વાંક છે. આને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું."
એમણે કહ્યું કે વિદ્યાર્થીઓને કહું છું કે ભલે તમારી પર દમન થયું પણ અમે ધારાસભ્યો તમારી સાથે છીએ.
એમણે વિધાનસભાના શિયાળુ સત્રને પ્રથમ દિવસે, 9 તારીખે વિધાનસભા પર ઊમટી પડવાની વિદ્યાર્થીઓને હાંકલ કરી હતી.
એમણે કહ્યું કે ગાંધીનગરની સરકાર અને તેમનાં મળતિયાઓને લઈને પરીક્ષામાં કૌભાંડ કરવામાં આવ્યું.
એમણે કહ્યું કે 9 તારીખે વિજય રૂપાણીની સરકારે પરીક્ષા નવેસરથી અને યોગ્ય રીતે લેવાની જાહેરાત કરવી પડશે.

વિદ્યાર્થીઓના આંદોલનથી ડાયવર્ટ કરવા હેલ્મેટ હઠાવ્યો - હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, FACEBOOK/HARDIK PATEL
બિનસચિવાલય કલાર્કની ભરતીમાં થયેલી ગેરરીતિ અને તે મામલે વિદ્યાર્થીઓ કરેલા વિરોધપ્રદર્શન બાબતે હાર્દિકે ગઈ કાલે નિવેદન આપ્યું હતું.
એમણે કહ્યું કે આજે જે રીતે યુવાનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, એમને માર મારવામાં આવ્યો.
ચિંતાનો વિષય એ છે કે 10 લાખ યુવાનોએ આપેલી પરીક્ષામાં થયેલી ગેરરીતિ બાબતે સરકાર કેમ જાગૃત ન થઈ તે સવાલ છે.
હાર્દિક પટેલે પણ પરીક્ષા રદ કરીને ફરીથી યોગ્ય રીતે પરીક્ષા લેવાય તેનું સમર્થન કર્યું. હાર્દિક પટેલે કહ્યું કે યુવાનોએ જાતે બોલવું પડશે અને એક થવું પડશે.
એમણે કહ્યું કે યુવાનોને નોકરી નથી મળતી તેથી એ અને એમનો પરિવાર નાસીપાસ થઈ જાય છે.
એમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપની સરકાર નપુંસક બનીને ગુજરાતના ભવિષ્ય એવા યુવાનો સાથે વારંવાર છેડછાડ કરી રહી છે.
એમણે કહ્યું કે દિવસે ને દિવસે પરીક્ષાઓમાં ગોટાળાઓ થઈ રહ્યા છે અને ગરીબોને નોકરી મળતી નથી. ગુજરાતના છ કરોડ લોકો આ સરકારથી ત્રાસી ગયા છે.
સરકારે યુવાનોનો વિરોધ દબાવવા અને મુદ્દાને ડાયવર્ટ કરવા માટે તાત્કાલિક ધોરણે હેલ્મેટનો કાયદો હળવો કર્યો એવો આરોપ પણ હાર્દિક પટેલે કર્યો.

સરકારે શું કહ્યું?
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 4
આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારોને કહ્યું કે પરીક્ષામાં ગેરરીતિ મામલે સીસીટીવી ફૂટેજની તપાસ ચાલી રહી છે. ડેટા ખૂબ મોટો છે અને બે દિવસમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. રાજ્યના 6 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
એમણે એમ પણ કહ્યું કે કૉંગ્રેસ તરફથી પણ સીસીટીવી ફૂટેજ અને ફરિયાદ મળી છે.
પ્રદીપસિંહે કહ્યું કે 26 જેટલા વૉટ્સએપ ચેટિંગ મળ્યા છે. 5 જિલ્લાની 39 ફરિયાદો મળી છે. જે પણ કેન્દ્રોની ફરિયાદો મળી છે તેની તપાસ થઈ રહી છે.

કેમ અગાઉ રદ કરાઈ હતી પરીક્ષા?

ઇમેજ સ્રોત, Getty Images
ગૌણ સેવા પસંદગી બોર્ડે ઑક્ટોબર 2018માં બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની 2221 જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરી હતી.
આ ભરતીમાં 10 લાખ કરતાં વધુ ઉમેદવારોએ ફૉર્મ ભર્યાં હતાં, બાદમાં આર્થિક પછાતો માટે 10 ટકા અનામતની જોગવાઈ કરાતાં તેમજ લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં ફરીવાર ભરતી રદ કરી દેવાઈ.
બાદમાં ફરી વાર જૂન 2019માં જગ્યામાં વધારો કરીને 3053 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી.
જેની પરીક્ષા 20 ઑક્ટોબરે યોજાવાનું નક્કી હતું, પરંતુ અચાનક જ સરકારના આદેશને અનુસરીને ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા 11 ઑક્ટોબરના રોજ યોજાનાર પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દેવાઈ હતી.
પહેલાં તો સરકારે આ પરીક્ષા રદ કરવા વિશે કોઈ જ સ્પષ્ટીકરણ આપ્યું નહોતું.
પરંતુ બાદમાં આ ભરતી માટેની લાયકાત વધારી 12 પાસથી ગ્રેજ્યુએશન કરવા અંગેનો સામાન્ય વહીવટી વિભાગનું નોટિફિકેશન સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ઉમેદવારો રોષે ભરાયા હતા.
જોકે, ઉમેદવારોના આક્રોશને પગલે સરકારે શૈક્ષણિક લાયકાત અંગેનો પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને 17 નવેમ્બરે પરીક્ષા યોજાશે એવી જાહેરાત કરી દેવાઈ હતી.
પરંતુ આ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આરોપ લાગ્યા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













