વિરાટ કોહલી સહિતનાં ખેલાડીઓ શા માટે દૂધ છોડી રહ્યા છે?

ઇમેજ સ્રોત, NURPHOTO
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
આજે 'આંતરરાષ્ટ્રીય દૂધ દિવસ' છે. વિશ્વમાં ખોરાક તરીકે દૂધની સ્વીકાર્યતા વધે તે માટે સંયુક્ત રાષ્ટ્રોની પાંખ ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસ ઊજવવામાં આવે છે, છતાં સમાજનો એક તબક્કો દૂધને ત્યજી રહ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી લગભગ એક વર્ષથી વીગન બની ગયા છે. એટલે કે તેમણે દૂધ, દહીં, ઘી, માખણ, છાસ, મલાઈ અને પનીર પણ ખાવાનું છોડી દીધું છે. તેમાં મધ પણ ત્યજી દેવામાં આવે છે.
ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ ગર્ભવતી થયાં બાદ તેમણે પોતાનો આહાર બદલીને 'વીગન' કરી દીધો છે એટલે એક રીતે તેઓ શાકાહારી થઈ ગયાં છે.
આર્જેન્ટિનાના વિશ્વ પ્રસિદ્ધ ફૂટબૉલ ખેલાડી લિયોનેલ મેસીનું ગેમ સિઝન દરમિયાન વીગન આહાર પર રહે છે.
આ બાબત આશ્ચર્યજનક છે, કારણ કે દક્ષિણ અમેરિકામાં શાકાહારી ભોજન મળવું મુશ્કેલ છે. આથી વીગન રહેવું એક પડકાર છે.
આથી સવાલ એ ઉઠે છે કે આ બધું થઈ શું રહ્યું છે. આખરે ખેલાડીઓ વીગન આહાર કેમ અપનાવી રહ્યા છે?
ખેલાડીઓના આહારનાં નિષ્ણાત દીક્ષા છાબડાનું કહેવું છે કે વીગન આહાર બે પ્રકારે અપનાવી શકાય છે.
- ફળાહાર અને ઘીમાં આંચ પર રાંધેલાં શાકભાજી
- જુવાર, બાજરી, મકાઈ અને દાળ તથા સાથે વધુ ફૅટ ધરાવતાં ફળ એવોકાડો આહારમાં લેવાં
વળી આ બન્નેનું મિશ્રણ પણ હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઈજાને ઠીક કરવામાં

ઇમેજ સ્રોત, Getty Images
છાબડાનું કહેવું છે કે ખેલાડીઓમાં આ આહારનું પ્રમાણ એટલા માટે વધુ જોવા મળે છે, કેમ કે તેનાથી ઈજા ઝડપથી મટી શકે છે.
ઈજા થતાં આપણું શરીર સોજાના મારફતે કિટાણુઓ સામે પ્રતિરોધ સર્જે છે, જેથી આપણા શરીરને નુકસાન ન પહોંચી શકે.
જોકે, નાની હળવી ઈજામાં આવો સોજો ઠીક છે, પરંતુ જો ઈજા ખતરનાક હોય તો સોજો નુકસાનકારક છે.
આથી ખેલાડીઓએ ઍન્ટિ-ઑક્સિડન્ટ અને વિટામિનયુક્ત આહાર લેવો જોઈએ.
જેમ કે બોર, લીલાં શાકભાજી, ઓછી સુગર ધરાવતા ફળ. તેને ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી ફૂડ પણ કહેવામાં આવે છે.
તેનાથી શરીરમાં સોજો ઓછો આવે છે અને શરીરને ડિટૉક્સ કરવામાં પણ મદદ મળે છે.
જ્યારે ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી ફૂડ, જેમ કે હાઈ-સુગર ફૂડ, લાલ માંસ શરીરને ઈજાના સમયે ખૂબ જ નુકસાન કરતાં હોય છે.

વજન ઓછું કરવામાં કારગત

ઇમેજ સ્રોત, MITCHELL GUNN
વીગન આહારમાં વિટામિનની સાથે સાથે ફાઇબરની માત્રા પણ વધુ હોય છે તો તે મેદસ્વીતા ઓછી કરવામાં પણ કારગત નીવડે છે.
ફાઈબરયુક્ત આહાર તમે ઓછો ખાવ તેમ છતાં તમારું પેટ ભરેલું હોય એવું અનુભવ કરાવે છે. આથી તમે જરૂર કરતા વધારે ખાવાનું નહીં ખાવ.
બીજી તરફ જાનવરોમાંથી ઉત્પન થતાં પદાર્થો ન ખાવાથી સૌથી મોટું નુકસાન પ્રોટીનની ઊણપ આવવાનું હોય છે.
કેમ કે ખેલાડી માટે પ્રોટીનનું સેવન ખૂબ જ જરૂરી હોય છે. તો પછી તેનું પ્રમાણ કેવી રીતે જાળવી શકાય?

પ્રોટીનની કમી કઈ રીતે પૂરી કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂટ્રિશનિસ્ટ અને વેલનેસ કોચ અવનિ કૌલનું કહેવું છે કે દરેક ખેલાડીને પોતાના ખેલ મુજબ અને પોતાના શરીર મુજબ ખોરાકની જરૂરીયાત પડે છે.
એક વેઇટલિફ્ટર અથવા બોડી-બિલ્ડર માટે પ્રોટીનની જરૂર વધારે હોય છે.
જ્યારે રેસમાં ભાગતા ખેલાડીને તાકતની સાથે સાથે ઊર્જાની પણ જરૂર હોય છે અને તમણે કાર્બોહાઇડ્રેટયુક્ત આહારની જરૂર હોય છે.
જેનો અર્થ કે તાકત અને પાવર માટે રમતવીરની આહારની જરૂરિયાત અલગ અલગ હોય છે.
આ મામલે અવનિ કૌલ કહે છે કે યોગ્ય માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટનું ખોરાકમાં હોવું જરૂરી છે.


ઇમેજ સ્રોત, NURPHOTO
વીગન આહારથી તમારું બ્લડ સુગર લેવલ, કોલેસ્ટ્રૉલનું લેવલ ઓછું થઈ જાય છે.
જેમાં તમને ડાયાબિટીસની બીમારીનું જોખમ એકદમ ઓછું થઈ જાય છે, પરંતુ જે પ્રોટીન તમને જાનવરોથી ઉત્પન થતા પદાર્થોમાંથી મળે છે તેની ભરપાઈ કેવી રીતે થશે?
કેમ કે માંસ, દૂધ, ઈંડા અને માછલીમાં પૉઝિટિવ નાઇટ્રોજનની ઊણપ નથી હોતી, ઉપરાંત તેમાંથી નવ એમિનો ઍસિડ પણ મળે છે.
આ પ્રકારની કમી દૂર કરવા તમને ખબર હોવી જોઈએ કે ક્યા પ્રકારના વીગન આહારમાં પ્રોટીનની માત્રા કેટલી છે.
તેને તમે વીગન આહારમાં લઈ શકો છો. વિરાટ કોહલી જેવા ખેલાડીઓ પાસે આ મામલે આહાર બાબતોના નિષ્ણાતોની ટીમ રહેતી હોય છે.
પરંતુ એક સામાન્ય વ્યક્તિ માટે એક સમતોલ વીગન આહાર તૈયાર કરવો મુશ્કેલ છે.

શું પર્યાવરણ માટે ખેલાડીઓ વીગન બની રહ્યાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
યૂથ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનો વર્કશૉપ લઈ ચૂકેલાં અવનિ કૌલનું એવું પણ માનવું છે કે આજકાલ લોકો એટલા માટે પણ વીગન થઈ રહ્યા છે કેમ કે તેનાથી પર્યાવરણને જરાય નુકસાન નથી થતું.
સંયુક્ત રાષ્ટ્રના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર, પર્યાવરણમાં માંસ રાંધવાના કારણે કાર્બન ફુટપ્રિન્ટ વધી રહ્યા છે.
આથી વીગન આહારથી આ બાબતમાં સુધારો આવે છે. આનાથી ખેતી અને ખેડૂત બન્નેને ફાયદો થાય છે.
વીગન આહારમાં જો પ્રોટીનની કમી પૂરી કરવા માંગો તો દાળ, સેમ, સોયાબીન, ચિયા સીડ્સ, ચણા, ફૂલગોભી તમામનું સેવન કરી શકો છો.

શું વીગન આહાર જ એકમાત્ર ઉપાય?

ઇમેજ સ્રોત, DEAN MOUHTAROPOULOS
ઇન્ડિયન ફેડરેશન ઑફ સ્પોર્ટ્સ મેડિસિનનાં અધ્યક્ષ ડૉ. પીએસએમ ચંદ્રન અને ન્યૂટ્રિશનિસ્ટ અને મેટાબોલિક બૅલેન્સ કોચ હર્ષિતા દિલાવરીનું કહેવું છે કે કોઈ પણ ખેલાડીએ વીગન આહાર લેવાનું નક્કી કરવું તેમની વ્યક્તિગત પસંદગી હોય છે.
જે લાભ અન્ય આહારમાં મળે છે તે વીગન આહારમાં પણ મળી શકે છે.
આથી આહારમાં પૌષ્ટિક ભોજન અને સમતોલ આહારને સ્થાન આપવું જોઈએ.
હર્ષિતા દિલાવરી કહે છે કે વીગન આહારમાં તમને કેટલાક માઇક્રો-ન્યૂટ્રિઅન્ટ્સની જરૂર પૂરી કરવા માટે વધારાના વિટામિન માટે તેની ગોળીઓનું સેવન કરવું જોઈએ.


ઇમેજ સ્રોત, Getty Images
તેમના અનુસાર આમ તો વીગન આહારમાં ફાઇટોકેમિકલ્સ પણ હોય છે, જે કૅન્સર જેવી બીમારીઓ માટે રોધકની ભૂમિકા પણ નિભાવે છે.
પરંતુ વિટામિન બી-12 જાનવરોમાંથી ઉત્પન્ન પદાર્થમાં સરળતાથી મળતા હોય છે અને તેની ભરપાઈ કરવી જરૂરી છે.
આ માટે તેઓ જણાવે છે કે વીગન આહારમાં દલિયા, અનાજ અને સોયાબિન ખાવું જરૂરી છે.
તેમણે જણાવ્યું કે એક ખેલાડી માટે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કૅલ્શિયમ, વિટામિન ડી અને ફૅટી ઍસિડ સૌથી વધુ જરૂરી હોય છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












