અલીગઢમાં અઢી વર્ષની બાળકીની ક્રૂર હત્યા, રાહુલ ગાંધી અને પ્રિયંકાની ન્યાયની માગણી

ઉત્તર પ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની બાળકીની ઘાતકીની હત્યાના કેસમાં કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ન્યાયની માગણી કરી છે.

આ ઘટના પાછળ ઉત્તર પ્રદેશના ટપ્પલ શહેરમાં કથિત રીતે 10,000 રૂપિયાના કરજનો મામલો ગણાવાઈ રહ્યો છે.

ગત શુક્રવારે બાળકી તેમના સંબંધીના ઘરેથી ગાયબ થઈ પછી અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. એ પછી રવિવારે બાળકીનો મૃતદેહ ક્ષતવિક્ષત સ્થિતિમાં મળી આવ્યો હતો.

આ કેસને લઈને પોલીસે ઝાહિદ અને અસલમ નામની વ્યક્તિઓની ધરપકડ કરી છે.

આ મામલે ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન (રાસુકા) કામ ચલાવવામાં આવશે એવું પોલીસનું કહેવું છે.

પોસ્ટમૉર્ટમ મુજબ બાળકી પર દુષ્કર્મ થયું હોય એવી કોઈ માહિતી નથી. બાળકીનું મૃત્યુ શ્વાસ રૂંધાઈ જવાને કારણે થયું હોવાનું પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સોશિયલ મીડિયામાં ચર્ચા

આ મુદ્દો સોશિયલ મીડિયામાં છવાયો હતો. અનેક લોકોએ કઠુઆ સામૂહિક દુષ્કર્મ કેસ સાથે તેની સરખામણી પણ કરી હતી.

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ અંગે ટ્ટીટ કરીને કહ્યું, "આ ક્રૂર હત્યાથી હું આઘાતમાં છું અને પરેશાન છું. કોઈ માણસ બાળક સાથે આવી ક્રૂરતાથી કઈ રીતે આચરી શકે? આ અમાનવીય કૃત્યમાં ન્યાય મળવો જ જોઈએ. ઉત્તર પ્રદેશ પોલીસ ન્યાય માટે યોગ્ય પગલાં ભરે."

કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ અંગે ટ્ટીટ કર્યું હતું.

એમણે કહ્યું કે "અલીગઢમાં થયું છે તે નિર્દોષ બાળક પરની એક ક્રૂર અને નિઃશબ્દ કરી દેનારી ઘટના છે. હું એ બાળકીનાં માતાપિતાના દર્દની કલ્પના પણ નથી કરી શકતી. આપણને શું થઈ ગયું છે?"

એમણે આરોપીઓને સખતમાં સખત સજાની માગ કરી છે.

સની લિયોનીથી લઈને અનુપમ ખેર સુધી અનેક કલાકારોએ પણ આ મુદ્દે સોશિયલ મીડિયામાં આકરી ટીકા કરી હતી.

સની લિયોનીએ બાળકીના નામજોગ લખ્યું કે 'આઈ એમ સોરી ટ્વિન્કલ.'

અનુપમ ખેરે લખ્યું કે આરોપીએને જાહેરમાં ફાંસી આપી દેવી જોઈએ.

સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થતાં અલીગઢ પોલીસે પણ પોતાના અધિકૃત ટ્ટિટર પર કેસની માહિતી શૅર કરી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

શું છે મામલો?

પોલીસના કહેવા મુજબ 31-05-2019ના રોજ 2 વર્ષ અને 6 માસની બાળકીનું અજાણ્યા લોકોએ અપહરણ કર્યું હોવાની ફરિયાદ ટપ્પલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

તારીખ 2-06-2019ના બાળકીનો મૃતદેહ મળી આવ્યો.

સ્થાનિક પોલીસની પ્રાથમિક તપાસને અંતે બે આરોપીઓ ઝાહિદ અને અસલમની 4 જૂનના રોજ ધરપકડ કરવામાં આવી છે અને બેઉને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

પોલીસનું કહેવું છે કે બાળકીની હત્યાનું કારણ કથિત રીતે આરોપી અને બાળકીના પિતા વચ્ચે નાણાકીય લેતીદેતી છે.

પોલીસનું કહેવું છે કે પોસ્ટમૉર્ટમ પ્રમાણે અત્યાર સુધી બાળકી સાથે દુષ્કર્મ થયું હોય એવી માહિતી નથી.

પોલીસે આરોપી સામે રાસુકા કાયદો લાગુ કરી કેસને ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં દાખલ કરાયો છે.

ટીકા અને ટ્રૉલિંગ

અલબત્ત, લોકો ફક્ત આ ઘટનાની નિંદા જ નથી કરી રહ્યાં, પરંતુ આ ઘટનાની સરખામણી કરીને કઠુઆ સામૂહિક દુષ્કર્મની જે તે વખતે ટીકા કરનારા લોકોને અત્યારે મૌન રહેવા પર ટ્રોલ પણ કરી રહ્યા છે.

અનેક લોકો સોનમ કપૂરથી લઈને સ્વરા ભાસ્કરને ટાર્ગેટ કરી રહ્યા છે.

શેફાલી વૈદ્ય નામનાં મહિલાએ ટ્ટીટમાં ઉદારમતવાદીઓ ચૂપ છે એવો સવાલ કર્યોં.

પ્રીતિ ગાંધી નામનાં મહિલા આ કેસમાં સોનમ કપૂરને ટ્રૉલ કર્યાં.

ભાજપના મેજર સુરેન્દ્ર પુનિયાએ પણ એવી જ એક ટ્ટીટ કરી.

આ મામલે તહેસીન પૂનાવાલાએ કહ્યું, "ભાજપ જે રીતે કઠુઆમાં આરોપીઓનો બચાવ કરતું હતું એ રીતે કોઈ ગ્રૂપ બચાવ નહીં કરે."

"સરકાર અને અદાલતે કડક હાથે કામ લેવું જોઈએ. આવું કૃત્ય કરનારા સાચા મુસ્લિમ નથી અને એક પણ મુસ્લિમ આરોપીઓનો બચાવ નહીં કરે."

અસદુદ્દીન ઔવેસીએ પણ આ કેસમાં ન્યાયની માગણી કરી છે.

એમણે લખ્યું, "ફક્ત પૈસાને કારણે બાળકની હત્યા એ કંપાવી દેનારી વાત છે. એમને આકરી સજા થવી જોઈએ."

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો