You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના નિશાના પર રામમંદિર છે કે બીજું જ કંઈ?
મોદી સરકારનો બીજો કાર્યકાળ શરૂ થયો એવું તરત જ એનડીએ સંગઠનના સહયોગી પક્ષ શિવસેનાએ અયોધ્યામાં રામમંદિર મુદ્દે નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે.
પાર્ટી પ્રવક્તા સંજય રાઉતે ટ્વીટ કર્યું હતું, "ભાજપ પાસે 303 સાંસદ, શિવસેનાના 18 સાંસદ. રામ મંદિર નિર્માણ માટે બીજું શું જોઈએ?"
આ લોકસભા ચૂંટણીમાં ભાજપને પહેલાં કરતાં પણ વધુ બહુમત મળ્યો છે તેમજ શિવસેનાના પણ 18 સાંસદો જીતીને આવ્યા છે.સામાન્ય રીતે ચૂંટણી પરિણામો બાદ ઉદ્ધવ ઠાકરે એકવીરા દેવીના દર્શન માટે જાય છે, પણ આ વખતે તેઓ અયોધ્યા જઈ રહ્યા છે. કહેવાય છે કે આ મારફતે ઉદ્ધવ રાજકીય સંદેશ આપવા માગે છે.
બીજી તરફ ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ ગુરુવારે રામ મંદિર નિર્માણ શરૂ કરવાની અપીલ કરી.
તેમણે ટ્વિટર પર લખ્યું, "નમો સરકારે રામજન્મભૂમિ ન્યાસ સમિતિ કે વિશ્વ હિંદુ પરુષદની મદદથી રામ મંદિર નિર્માણ શરૂ કરી દેવા માટે આ યોગ્ય સમય છે. 67.703 એકરની સમગ્ર જમીન સરકારની છે. જ્યારે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે તો જીતનારને રકમ મળી શકશે પણ જમીન નહીં. તેથી નિર્માણ શરૂ કરી શકાય છે."
તેમણે અન્ય એક ટ્વીટને રિટ્વીટ કર્યું, જેમાં લખ્યું, "વડા પ્રધાન પાસે રામ મંદિર નિર્માણને વધુ ટાળવાની કોઈ કાયદાકીય અનુમતિ નથી, આભાર ડૉક્ટર સ્વામી."
લોકસભા ચૂંટણીઓ માટે ભાજપ સાથે સંગઠનની જાહેરાત કરતાં પહેલાં શિવસેનાએ ભાજપ પર પણ હુમલો કરતી હતી, ત્યારે પાર્ટીના નેતા પોતાના ભાષણોમાં સતત રામમંદિરનો મુદ્દો ઉઠાવતા હતા. પાર્ટી તરફથી 'હર હિંદુ કી યહી પુકાર, પહલે મંદિર ફિર સરકાર' એવા નારા પણ આપ્યા હતા.
એ વખતે ખુદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું, "મંદિર બનાવીશું પણ તારીખ નહીં કહીએ. રામમંદિર એક જુમલો હતો અને જો આ વાત સાચી હોય તો ભારત સરકારના ડીએનએમાં દોષ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
25 નવેમ્બર 2018ના રોજ ઉદ્ધવ ઠાકરે અયોધ્યા પણ ગયા હતા. જો કે, શિવસેના તેને બિનરાજકીય મુલાકાત ગણાવી હતી. પરંતુ વિશ્લેષકોનું માનવું છે કે શિવસેના પોતાને હિંદુત્વના મુદ્દે ભાજપથી પણ ગંભીર દર્શાવવા માગે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
જો કે, શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની યાત્રામાં કોઈ રાજનીતિ નહોતી.
તેમણે કહ્યું, "ચૂંટણી પહેલાં અમે બધા ઉદ્ધવ ઠાકરે સાથે અયોધ્યા ગયા. ચૂંટણી પછી પણ અમે કહ્યું કે અમે ફરી આવીશું. ચૂંટણી પૂરી થઈ, અમને બહુમતી મળી ગઈ તો શું હવે અમે રામલલાને ભૂલી જઈએ? અમારી પ્રતિબદ્ધતા એવી છે?"
લોકમતના વરિષ્ઠ સહાયક સંપાદક સંદીપ પ્રધાન માને છે કે શિવસેના રામમંદિર મુદ્દે આક્રમક વલણ જાળવી રાખશે. તેઓ માને છે કે ઠાકરેની બીજી અયોધ્યા મુલાકાત ભાજપ પર દબાણ વધારવાની રાજનીતિનો ભાગ છે.
સંદીપ પ્રધાન કહે છે, "શિવસેના સરકારનો ભાગ છે પણ મનગમતા મંત્રી પદ ન મળવાથી પાર્ટીમાં એક પ્રકારનો અસંતોષ પણ છે. ભાજપને જે પ્રચંડ બહુમત મળ્યો છે, તેના પછી શિવસેના ખુલીને વિરોધ કરી શકવાની સ્થિતિમાં નથી. છેલ્લી વખતની જેમ શિવસેના 'ચોકીદાર ચોર હે' જેવા નારાનો ઉપયોગ નહીં કરી શકે. પરંતુ તે કોઈક કોઈ રીતે ભાજ પર દબાણ જાળવી રાખવાના પ્રયત્નો કરશે. તેના માટે તેઓ હિંદુત્વ અને રામમંદિર મુદ્દાનો ઉપયોગ કરશે."
મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. કેટલાક જાણકારો શિવસેનાના આ પ્રયત્નોને વિધાનસભા ચૂંટણીની તૈયારી રૂપે જુએ છે.
સંદિપ પ્રધાન કહે છે, "લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદ અને હિંદુત્વનો મુદ્દો મહત્ત્વનો રહ્યો. વિધાનસભા ચૂંટણીમાં પણ એવું થઈ શકે છે. રામમંદિર તરફી મતદારોને આકર્ષવા માટે શિવસેના ઉદ્ધવની અયોધ્યા મુલાકાતની મદદ લેશે."
નવેમ્બર 2018માં જ્યારકે ઉદ્ધવ અયોધ્યા ગયા હતા તો બીબીસી સંવાદદાતા નિરંજન છાનવાલ પણ ત્યાં હાજર હતા. તેમના મતે, ઉદ્ધવની મુલાકાતને સ્થાનિક સ્તરે સારુ સમર્થન મળ્યું હતું.
નિરંજન કહે છે, "પહેલા ઉદ્ધવ સત્તા પર હોવા છતા વિરોધી જેવું વર્તન કરતાં હતાં. તેથી વિશ્વ હિંદુ પરિષદે પણ એ જ દિવસે અયોધ્યામાં ધર્મસભાનું આયોજન કર્યું હતું."
"ત્યારે મીડિયામાં એવા સમાચાર હતા કે શિવસેનાની સભામાં ભીડ જમા ન થાય તે માટે ભાજપ અને વિહિપે મળીને આ સભાનું આયોજન કર્યું છે. વિહિપે આ વાતને નકારી કાઢી હતી પરંતુ લખનઉથી અયોધ્યા જનારા હાઇવે પર બંને પક્ષોમાં પોસ્ટર વૉર અને હિંદુત્વની રાજનીતિની હોડ દેખીતી હતી."
નિરંજન કહે છે કે શિવસેનાની દબાણની રાજનીતિનું એક કારણ સમજાય છે.
તેઓ કહે છે, "મહારાષ્ટ્રમાં 18 બેઠકો પર જીતવા છતા શિવસેનાને એક જ મંત્રીપદ મળ્યું છે. જ્યારે 16 સાંસદોવાળી જેડીયૂને એક મંત્રીપદનો પ્રસ્તાવ આપવામાં આવ્યા છતાં તેમણે કૅબિનેટમાંથી બહાર રહેવાનું પસંદ કર્યું. તેથી શિવસેનાની જેડીયૂ સાથે સીધી સરખામણી થઈ રહી છે. આની ભરપાઈ કરવા માટે શિવસેનાએ લોકસભામાં ઉપાધ્યક્ષનું પદ માંગ્યું છે."
આ માગ પર ઉદ્ધવ ઠાકરેએ મીડિયા સાથે વાત કરતાં સ્પષ્ટતા આપી હતી.
તેમણે કોલ્હાપુરમાં કહ્યું, "કોઈ ઇચ્છા દર્શાવીએ એનો અર્થ એવો નથી કે અમે નારાજ છીએ. જે આપણા પોતાના હોય તેની પાસે હકથી કંઈ માગીએ તો તેને નારાજગી ન ગણવી જોઈએ. જે ચીજ આપણી છે તે આપણે હકથી માગીશું. અમે આ જોડાણ કોઈ રીતે તૂટવા દઈશું નહીં, અમે 16 તારીખે અયોધ્યા જવા માટે મક્કમ છીએ."
ઉપસભાપતિ પદની માગને લઈને પણ શિવસેના નેતા અને સાંસદ રાઉતનું કહેવુ છે કે પાર્ટી પાસે 18 સાંસદ છે અને તે એનડીએનું બીજુ મોટું દળ છે. તેથી અહીં તેમનો સ્વાભાવિક અધિકાર છે.
સંજય રાઉત કહે છે, "ઉપસભાપતિ પદ બીજેડીના ખાતામાં જવાની ચર્ચા છે. જે ઓડિશામાં એનડીએ વિરુદ્ધ ચૂંટણી લડતા હતા. તેથી તેમના બદલે શિવસેનાને મળવું જોઈએ. એવી અમારી માગ છે."
હિંદુત્વ અને રામમંદિરના મુદ્દે શિવસેનાની સક્રિયતા ભાજપને અસહજ કરે છે કે નહીં તે આવનારો સમય જ બતાવશે.
આપને આ પણ વાચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો