નરેન્દ્ર મોદી : 'ચૂંટણી વખતે લાગ્યું કે દરેક ઘરમાંથી મોદી ચૂંટણી લડે છે'

લોકસભા ચૂંટણીમાં મળેલા ઐતિહાસિક વિજય બાદ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાસણી પહોંચ્યા.

મોદીએ અહીં કાશી વિશ્વનાથમંદિરમાં પૂજા-અર્ચના કરી. તેઓ અહીં પોતાના વિજય બદલ લોકોનું અભિવાદન કર્યું.

વારણસીમાં મોદી ભાજપના કાર્યકરો સાથે બેઠક કરી. ભારતીય જનતા પક્ષના કાર્યકરોનો આભાર વ્યક્ત કરતા મોદીએ પોતાના ભાજપને કાર્યકર ગણાવ્યા હતા.

ભાજપના કાર્યકરોને સંબોધતાં મોદીએ કહ્યું,

  • દેશે ભલે મને વડા પ્રધાન બનાવ્યો હોય પણ હું તમારા માટે કાર્યકર છું અને મારા માટે તમારો આદેશ સર્વોચ્ચ છે.
  • જ્યારે મતદાન થઈ રહ્યું ત્યારે પણ હું નિશ્ચિત હતો અને જ્યારે પરિણામ આવી રહ્યું હતું ત્યારે પણ હું નિશ્ચિત હતો.
  • ચૂંટણી વખતે એવું લાગી રહ્યું હતું કે એક નહીં, દરેક ઘરમાંથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડશે.
  • કાશીના લોકોએ આ ચૂંટણીને જય અને પરાજયના ત્રાજવે ન તોળી પણ લોકશિક્ષણ, લોકસંપર્કનું પર્વ ગણી.
  • ઉત્તર પ્રદેશના ગામડાંની ગરીબ વ્યક્તિ પણ ભારતના વિકાસની દિશા અંગે વિચારે છે અને દેશને પ્રેરિત પણ કરે છે.
  • ઉત્તર પ્રદેશની 2014, 2017 અને 2019ની ચૂંટણીની બાદ પણ જો રાજકીય પંડિતોની આંખો ઊઘડતી નથી તો એનો અર્થ એવો થયો કે તેઓ 21મી સદીમાં નહીં, 20મી સદીમાં જીવે છે.
  • ઉત્તર પ્રદેશ લોકતંત્રનો પાયો મજબૂત કરી રહ્યું છે.
  • પારદર્શક્તા અને પરિશ્રમના કોઈ વિકલ્પ નથી.
  • કાર્ય અને કાર્યકર ચમત્કાર સર્જી શકે.

ગુજરાત પહોંચેલા નરેન્દ્ર મોદીએ માતાના આશીર્વાદ લીધા

આ પહેલાં લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતની મુલાકાત લીધી હતી. અહીં તેઓ ખાનપુર ખાતે સભા સંબોધ્યા બાદ માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા.

ગાંધીનગર ખાતે પહોંચેલા નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા.

માતાને મળવા પહોંચેલા મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

નરેન્દ્ર મોદીએ પણ હાથ જોડીને લોકોનું અભિવાદન કર્યું હતું.

મોદીએ ઍરપૉર્ટ પર ઊતરતાની સાથે જ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ તેઓ અમદાવાદમાં ભાજપની ઑફિસ પહોંચ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ગુજરાતમાં જનસભા કરી હતી. અહીં મંચ પર તેમની સાથે અમિત શાહની સિવાય ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, ગુજરાત ભાજપના અધ્યક્ષ જિતુ વાઘાણી પણ હાજર હતા.

મોદીએ ભાષણની શરૂઆત સુરતની ઘટનાથી કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં સુરતની ઘટનાને યાદ કરી હતી. તેમણે આગમાં માર્યાં ગયેલાં બાળકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે જેટલી પણ સંવેદના વ્યક્ત કરીએ તે ઓછી છે, આવા સંકટમાં આપણે ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ કે આ આઘાતમાં ટકી રહેવાની પરિવારને શક્તિ આપે.

મોદીએ કહ્યું કે તેઓ આ ઘટનાને લઈને હું રાજ્યના સતત સંપર્કમાં હતો. રાજ્ય સરકારે તાત્કાલિક સક્રિયતા દાખવી છે. આ સક્રિયતા તેમને ભવિષ્યમાં જરૂર કામ આવશે.

તેમણે કહ્યું, "હું દુવિધામાં હતો કે આ કાર્યક્રમમાં આવવું કે નહીં. સુરતની કરુણ ઘટના અને જે રાજ્યે મને મોટો કર્યો ત્યાં ના જાવ તો ઊણો ઊતર્યો હોવ એવું લાગે."

મોદીના ભાષણ અંશ

મોદીએ પોતાના ભાષણમાં કહ્યું, "હું આ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતના દર્શન કરવા માટે આવ્યો છું. ગુજરાતના આટલા પ્રેમ સામે આભારના શબ્દો ટૂંકા પડે."

વિશ્વભરમાં ગુજરાતીઓ અને ભારતીયોએ કરેલી ઉજવણીનો પણ તેમણે ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. વિશ્વમાં ભાજપની જીતની થયેલી ઉજવણીને તેમણે બિરદાવી હતી.

ખાનપુરના ભાજપના કાર્યાલયના પોતાના દિવસો યાદ કરતા તેમણે કહ્યું કે અહીંથી જ તેમને સંગઠનના સંસ્કાર મળ્યા અને અનેક બાબતો શીખવા મળી.

2014ની ચૂંટણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે એ ચૂંટણીના વિજયમાં ગુજરાતની વિકાસગાથા હતી, ગૌરવગાથા હતી.

મોદીએ એક મહિલાના ઉદાહરણ સાથે આડકતરી રીતે બંગાળની હિંસાનો પણ ઉલ્લેખ કર્યો અને બંગાળની ગુજરાતના વિકાસ સાથે સરખામણી કરી હતી.

2019ની ચૂંટણી અંગે વાત કરતા તેમણે કહ્યું કે એક સરકારે કરેલા કામને અનુમોદન આપવા માટે લોકો મત આપતા હતા.

આઝાદી બાદ સૌથી વધારે થયેલા મતદાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે વેવ શબ્દ પણ નાનો પડે એના કરતાં પણ મોટું પરિણામ આવ્યું. બીજી વખત ગુજરાતમાં આવેલી 26 બેઠકોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

શનિવારે સંસદહોલમાં કરેલા ભાષણને દોહરાવતા તેમણે કહ્યું કે વિજયની સાથે જવાબદારીઓ પણ આવે છે. વિજયને પચાવવાની તાકાત જોઈએ, જે તાકાત અમારી પાસે છે.

મોદીએ કહ્યું કે આ આવતાં પાંચ વર્ષમાં ભારતને અનેક મુશ્કેલીઓમાંથી મુક્ત કરવાનો સંકલ્પ છે અને કામ કરવું જ રહ્યું. વિશ્વની અંદર ભારતનું જે સ્થાન છે તે વૈશ્વિક પરિબળોને પ્રભાવિત કરનારું છે.

ઍરપૉર્ટ પર ભવ્ય સ્વાગત

નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઍરપૉર્ટ પર પહોંચ્યા ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

જોકે, સુરતમાં થયેલી દુર્ઘટનાને જોતાં તેમના કાર્યક્રમને વધારે ભવ્યતા દેખાઈ ન હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે સુરતમાં બાળકોનાં મોતને કારણે વડા પ્રધાનના સ્વાગતમાં ફૂલની મોટી માળા અને ફૂલના ગુલદસ્તા રાખવામાં આવ્યા ન હતા.

અમિત શાહે પણ પોતાના ભાષણમાં સુરતના અગ્નિકાંડનો ઉલ્લેખ કર્યો હતો.

લોકસભામાં જીત્યા બાદ પ્રથમ વખત વડા પ્રધાન અમદાવાદના ખાનપુર ખાતે આવેલા ભાજપના કાર્યાલયે પહોંચ્યા હતા.

વર્ષ 2014માં પ્રથમ વખત વડા પ્રધાન તરીકે ચૂંટાયા બાદ તેઓ પોતાનાં માતા હીરાબાને મળવા ગુજરાત આવ્યા હતા.

ગુજરાતમાં ભાજપે લોકસભાની તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો છે.

30 મેના રોજ શપથગ્રહણ

શનિવારે સાંજે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના નામ પર એનડીએના સાંસદોએ સર્વસંમતિથી મહોર મારી હતી. ઉપરાંત તેમને એનડીએના નેતા તરીકે પણ ચૂંટવામાં આવ્યા હતા.

ભાજપ એકલા હાથે લોકસભામાં બહુમત મેળવી લીધો છે, ભાજપે કુલ 303 બેઠકો જીતી છે અને એનડીએની 350થી પણ વધારે બેઠકો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 30 મેના રોજ સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓને પોતાના પદ અને ગોપનીયતાના શપથગ્રહણ કરાવશે.

બીજી ટર્મમાં નરેન્દ્ર મોદીની કૅબિનેટમાં અમિત શાહને કયો હોદ્દો આપવામાં આવશે તેના પર સૌની નજર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો