આત્મદાહની કોશિશ કરનાર યુવતીનો દસ હજારમાં થયો હતો સોદો, સોળ લોકો સામે બળાત્કારનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભૂમિકા રાય
- પદ, બીબીસી સંવાદદાતા
વીસ વર્ષીય ગીતા (બદલાયેલું નામ) સંપૂર્ણપણે સળગેલી હાલતમાં દિલ્હીની હૉસ્પિટલમાં દાખલ છે. ગત મહિનાની 28 તારીખને તેમણે સળગીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.
તેમની કહાણી હાપુડથી શરૂ થઈને વાયા મુરાદાબાદથી દિલ્હી સુધી આવી પહોંચી છે.
ત્રણ પતિ... દસ હજારમાં સોદો.... ત્રણ બાળકો... બળાત્કારના 16 આરોપી અને આત્મહત્યાનો પ્રયાસ. ગીતાની હાલત હાલ સ્થિર છે.
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના શાયમપુરજટ્ટ ગામનાં રહેવાસી 20 વર્ષીય ગીતાએ હાપુડ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમના વારંવાર કહેવાં છતાં FIR ન લખી જેનાથી દુઃખી થઈને તેમણે પોતાને આગ લગાવી દીધી.
જોકે, પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા છે. હાપુડ પોલીસના જણાવ્યા પ્રમાણે આખો મામલો જ શંકાસ્પદ છે અને તપાસ ચાલી રહી છે.
આ મામલાની નોંધ લઈ દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે અને આ મામલે તુરંત ધ્યાન દોરવા નિવેદન કર્યું છે.
સાથે જ FIR નોંધાય એ સુનિશ્ચિત કરવાનો આગ્રહ કરતા આરોપીઓની ધરપકડની માગ કરી છે. સ્વાતિ માલીવાલના આ પત્ર પર તારીખ 11 મે છે.

ઇમેજ સ્રોત, TWITTER
એ પછી બીજે દિવસે એટલે કે 12 મેના રોજ હાપુડના પોલીસ સ્ટેશન બાબૂગઢમાં FIR નોંધાઈ ગઈ છે. FIRમાં 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
13 મેના રોજ રાષ્ટ્રિય માનવઅધિકાર પંચે પણ આ મામલે નોંધ લીધી અને મીડિયા રિપોર્ટને આધાર ગણાવતા મુખ્ય સચિવ અને ડીજીપી પાસે રિપોર્ટ માગ્યો છે.
રાષ્ટ્રીય મહિલા પંચે પણ આની નોંધ લીધી છે પરંતુ આ કહાણીના બીજા ઘણા પક્ષ અને પાત્રો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કોણ છે ગીતા અને તેઓ શ્યામપુરજટ્ટ કેવી રીતે પહોંચ્યાં?

ઇમેજ સ્રોત, NCW
હાપુડના શૈસપુરા ગામનાં રહેવાસી ગીતાનાં પહેલા લગ્ન 14 વર્ષની વયે મોનુ (બદલાયેલું નામ) સાથે થયા હતા જે આશરે એક વર્ષ સુધી ટક્યા.
ગીતા પોતાના પહેલા દીકરાને લઈને પોતાનાં પિયર આવી ગયાં અને થોડાં સમય બાદ મોનુ પાસેથી તેમણે છૂટાછેડા લઈ લીધા
ત્યારબાદ ગીતાનાં લગ્ન શ્યામપુરજટ્ટ ગામના રહેવાસી વિનોદ (બદલાયેલું નામ) સાથે કરાવી દેવામાં આવ્યા.
ગીતાનો આરોપ છે કે તેમના પિતા રામ (બદલાયેલું નામ)એ દસ હજાર રૂપિયા લઈને 33 વર્ષીય વિનોદ સાથે એમનો સોદો કર્યો હતો.
જોકે, ગીતાના પિતા રામ અને વિનોદ, બન્ને સોદો થયો હોવાની વાતને ફગાવે છે.
વિનોદે બીબીસીને કહ્યું કે તેમણે ક્યારેય પૈસા આપ્યા નથી. આ દાવો રામ અને તેમનાં પત્નીનો પણ છે.
વિનોદ કહે છે, "હું મજૂર છું. એક મહિને માંડ માંડ છ હજાર કમાવું છું. દસ હજાર ક્યાંથી લાવીશ.. તેમના પિતા જ આવ્યા હતા મારી પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને."
બાબૂગઢ પોલીસ સ્ટેશનમાં ગીતા તરફથી નોંધવામાં આવેલી FIRમાં ક્યાંય પણ વિનોદ સાથે વિધિવત લગ્નનો ઉલ્લેખ નથી.
FIRના પ્રમાણે આ એક સોદો હતો. સ્ટેમ્પ પેપર લખ્યું - શિક્ષિત ગીતાને તેમના દીકરા સાથે વિનોદને સોંપી દેવાયાં હતાં.


બળાત્કારના આરોપ

ઇમેજ સ્રોત, iStock
FIRમાં 16 લોકોને બળાત્કારના આરોપમાં આરોપી ગણાવવામાં આવ્યા છે.
ગીતાનો આરોપ છે કે આ 16 લોકોએ છેલ્લા પાંચ વર્ષોમાં તેમની સાથે બળાત્કાર કર્યો છે.
ગીતાના નિવેદન મૂજબ, વિનોદે ગામની જ એક વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લીધા હતા. ગમે તે રીતે પતિ પત્નીએ મળીને મૂળ રકમ તો ચૂકવી દીધી પરંતુ વ્યાજ ચૂકવી શક્યા નહીં.
આ જ દબાણમાં આવીને એ વ્યક્તિએ ગીતા સાથે બળાત્કાર કર્યો. એક વખત નહીં, ઘણી વખત તેમને ડરાવી- ધમકાવીને તેમનાં પર બળાત્કાર કર્યો.
આ દરમિયાન ગીતા ગર્ભવતી બન્યાં અને તેમણે એક દીકરાને જન્મ આપ્યો.
જોકે, વિનોદ આ વાતને નકારે છે અને તે દીકરાને પોતાનો ગણાવે છે.
ગીતાએ નોંધાવેલી FIRમાં ઘટનાસ્થળના વિવરણ સાથે બળાત્કારનો ઉલ્લેખ છે.
FIR પ્રમાણે ગીતા ઘરોમાં કામ કરતાં હતાં અને આ દરમિયાન અલગ અલગ લોકોએ તેમનું શોષણ કર્યું.
ગીતાનો દાવો છે કે તેમણે પોતાના પતિ વિનોદને ઘણી વખત પોતાનાં પર થઈ રહેલા અત્યાચાર અંગે જણાવ્યું પરંતુ પતિએ દર વખતે તેમને શાંત રહેવા કહ્યું અને તેમની વાતને સાંભળી નહીં.
જોકે, વિનોદ કહે છે, "ગીતાએ ક્યારેય એ કહ્યું નથી કે તેમની સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે."
આ તરફ વિનોદ ગીતા પર જ આરોપ લગાવે છે.
તેમનું કહેવું છે કે ગીતામાં જ ખોટ છે. નહીં તો તેઓ ગામના જ એક ત્રીજા યુવક ભુવન (બદલાયેલું નામ) સાથે કેમ જતાં? એ પણ પોતાના ત્રણ નાના નાના બાળકોને તેમની પાસે છોડીને.
એક તરફ જ્યાં વિનોદ, ગીતા પર ભુવન સાથે જતા રહેવાને અયોગ્ય ગણાવે છે ત્યાં ભુવન સાથે જ્યારે અમે વાત કરી તો તેમણે કહ્યું કે ગીતાની વાત કોઈ સાંભળી રહ્યું ન હતું, એ માટે તેમણે ગીતાને સાથ આપવાનો નિર્ણય લીધો.


ત્રીજા પતિ અને મુરાદાબાદ

FIRમાં ભુવનને ગીતાના વર્તમાન પતિ ગણાવવામાં આવ્યા છે એટલે કે ત્રીજા પતિ.
તો શું ગીતા અને વિનોદ વચ્ચે છૂટાછેડા લેવાઈ ગયા છે?
આ સવાલ જ્યારે અમે ભુવનને પૂછ્યો તો તેમણે કહ્યું કે છૂટાછેડા થયા નથી પરંતુ ગીતાએ સાદા કાગળ પર લખીને આપી દીધું હતું કે કેઓ વિનોદ સાથે રહેવા માગતાં નથી.
અમારા લગ્નની વાત કરીએ તો અમે સ્ટેમ્પ પેપર પર લેખિતમાં લગ્ન કર્યાં છે.
ભુવન કહે છે કે ગીતાએ પોતાની આપવીતી સંભળાવી જ્યારબાદ તેમણે નક્કી કર્યું કે કોઈ તેમનો સાથ આપે ન આપે પરંતુ તેઓ ગીતાની સાથે ઊભા રહેશે.
પરંતુ તમે ગીતાને લઈને મુરાદાબાદ કેમ જતા રહ્યા?
આ સવાલના જવાબમાં ભુવન કહે છે, "મેં મારા ઘરમાં ગીતા મામલે વાત કરી તો કોઈએ મારો સાથ ન આપ્યો. સૌએ વિરોધ કર્યો. સરપંચે પણ અમારી મદદ ન કરી. બીજી તરફ તેમને સતત ધમકીઓ મળી રહી હતી. તેવામાં અમને લાગ્યું કે આ ગામ છોડી દેવામાં જ ભલાઈ છે."
એક તરફ જ્યાં FIRમાં લખાયું છે કે ભુવન અને ગીતા 23 નવેમ્બર 2018થી મુરાદાબાદમાં લિવ-ઇન રિલેશનશીપમાં રહી રહ્યાં હતાં ત્યાં ભુવનના પિતા કહે છે કે ગીતા અને ભુવન છેલ્લા દોઢ વર્ષથી સાથે રહે છે.


આત્મહત્યાનો પ્રયાસ અને પોલીસનું નિવેદન

ભુવન અને ગીતા મુરાદાબાદમાં સાથે રહેતા હતા. ગીતાના ત્રણેય બાળકો વિનોદ પાસે શ્યામપુરજટ્ટ ગામમાં.
ભુવને બીબીસીને જણાવ્યું કે જ્યારે ગીતાએ તેમને બધી વાત જણાવી ત્યારે જ બન્નેએ ન્યાય માટે લડત કરવાનો નિર્ણય લીધો હતો.
તેઓ જણાવે છે, "અમે ઘણી વખત પોલીસને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેમની વાત ન સાંભળી. ગત વર્ષે 23 નવેમ્બર 2018 બાદ ગીતાએ એપ્રિલ મહિનામાં પણ FIR નોંધવાનો આગ્રહ કર્યો હતો પરંતુ પોલીસે કહ્યું કે તપાસ બાદ લખવામાં આવશે. તેનાથી તેઓ ખૂબ દુઃખી થયાં હતાં."
ભુવનનો દાવો છે કે ગીતા માનસિક રૂપે એટલી હદે પરેશાન થયા કે તેમણે 28 એપ્રિલના રોજ પોતાનાં પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.
આ સંદર્ભે અમે જ્યારે હાપુડ જિલ્લાના પોલીસ અધિક્ષક યશવીર સિંહ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે દસ હજાર રૂપિયામાં સોદાની વાત સામે આવી છે તેનું હજુ સુધી કોઈ પ્રમાણ નથી.
યશવીર સિંહ જમાવે છે કે પોલીસે ગીતા દ્વારા બતાવવામાં આવેલી અલગ અલગ બળાત્કારની ઘટનાઓની તપાસ કરાવી છે પરંતુ એવી કોઈ વાત હજુ સુધી પ્રમાણિત થઈ નથી.
જ્યારે અમે યશવીર સિંહને પૂછ્યું કે શું આ આરોપ સાચા છે કે ગીતાની FIR લખવામાં આવી ન હતી તો તેમણે જણાવ્યું કે પહેલા ગીતા વિરુદ્ધ ઘણા કેસ સામે આવ્યા છે અને ગીતાએ પણ ઘણી વખત અલગ અલગ લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. પરંતુ બન્ને પ્રકરણ તપાસ બાદ ખોટા સાબિત થયા છે.
જોકે, તેમણે એ ચોક્કસ કહ્યું કે મામલો શંકાસ્પદ છે અને હજુ તપાસ ચાલી રહી છે.


ગ્રામજનોની પ્રતિક્રિયા

જ્યારે અમે શ્યામપુરજટ્ટ ગામ પહોંચ્યાં, ત્યારે ગામ લગભગ ખાલી હતું. એક ગુંબજ નીચે કેટલાક લોકો હાજર હતા જેમને ગીતા-વિનોદ-ભુવન વિશે પૂછ્યું તો પહેલા તો તેમણે વાત કરવાની ના પાડી દીધી પરંતુ ઓળખ જાહેર ન કરવાનું આશ્વાસન મળતા તેઓ વાત કરવા તૈયાર થયા.
ત્યાં ગામની કેટલીક મહિલાઓ પણ હાજર હતી. તેમણે ગીતાને જ આરોપી ગણાવી.
તેમાંથી કેટલીક મહિલાઓ એ પરિવારમાંથી હતી જેમના ઘરના પુરૂષોને આરોપી ગણાવવામાં આવ્યા છે. તેમનું કહેવું હતું કે બધા નામ ખોટા લખાવવામાં આવ્યા છે.
કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે પૈસા જ આ આખા ઘટનાક્રમનું કારણ છે.
આ સમગ્ર મામલે હજુ ઘણા સવાલ છે જેમના જવાબ મળ્યા નથી.
પરંતુ સૌથી મહત્ત્તવનો સવાલ... સંબંધ, સમાજ અને કાયદાની આ લડાઈમાં ત્રણ બાળકોનાં ભવિષ્યનું શું થશે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












