નોટબંધી : એડીસી બૅંક કેસ મામલે રાહુલ ગાંધીને અમદાવાદની કોર્ટમાં હાજર થવા સમન્સ

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાને અમદાવાદની મેટ્રો કોર્ટે બદનક્ષી કેસમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.

નોટબંધી દરમિયાન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ બૅંક દ્નારા પાંચ દિવસમાં 745 કરોડની નોટ બદલવાને મુદ્દે રાહુલ ગાંધીએ ટ્ટીટ કર્યુ હતું.

આ મામલે રણદીપ સુરજેવાલાએ પણ પત્રકાર પરિષદ કરી હતી.

આ મામલે બૅંકના ચૅરમેન અજય પટેલ દ્વારા એડીસી બૅંક અને હોદ્દેદારોની બદનક્ષી થઈ હોવાનો અદાલતમાં દાવો કર્યો હતો.

મેટ્રો કોર્ટે પ્રથમ દર્શનીય રીતે બદનક્ષી દાવો માન્ય રાખી 27 મેના રોજ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાને હાજર થવા સમન્સ પાઠવ્યુ છે.

એડીસી બૅંકે અદાલત સમક્ષ રાહુલ ગાંધીની ટ્ટીટને કારણે બદનામી થઈ હોવાનું કહ્યું હતું. ઉપરાંત બૅંક પાસે એટલા પૈસા જ નહોતા એવી માહિતી પણ કોર્ટને આપી હતી.

આ કેસમાં એડિશનલ ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ એસ. કે. ગઢવીએ રાહુલ ગાંધીને અને રણદીપ સુરજેવાલાને સમન્સ પાઠવી આગળની સુનાવણી 27 મેને દિવસે નિયત કરી છે.

ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી મોદી સરકારે લાગુ કરેલી નોટબંધીને સૌથી મોટું કૌભાંડ ગણાવી ચૂક્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો