You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુલભૂષણ જાધવ કેસ : ભારતે કહ્યું અજમલ કસાબની સુનાવણી ન્યાયિક સમીક્ષાનો ખરો નમૂનો
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે હૅગની આંતરરાષ્ટ્રીય અદાલતમાં ભારતે મુંબઈ હુમલા અને કસાબના ઉલ્લેખ સાથે પોતાની દલીલો પૂરી કરી લીધી છે.
ગત સોમવારે આ મામલે ચાર દિવસની સુનાવણીની શરુઆત થઈ હતી.
અદાલતમાં ભારત વતી વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેએ પાકિસ્તાન સૈન્ય અદાલતે આપેલા મૃત્યુદંડને રદ કરવાની, સિવિલ કોર્ટમાં મામલાની નિષ્પક્ષ સુનાવણીની અને કુલભૂષણ જાધવને દૂતાવાસના અધિકારીને મળવાની અનુમતિ આપવાની અપીલ કરી છે.
સુનાવણીના પ્રથમ ચરણમાં હરિશ સાલ્વેએ કુલભૂષણ જાધવની સજા રદ કરવાની અને તત્કાળ મુક્ત કરવાની માગ કરી.
તેમણે કહ્યું કે પાકિસ્તાન પાસે જાધવને દોષિત ઠેરવવા માટે બળપૂર્વક લેવામાં આવેલા તેમના સ્વનિવેદન સિવાય કોઈ સાબિતી નથી.
તેમણે એમ પણ કહ્યું કે કુલભૂષણ જાધવનો મહોરાં તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને પાકિસ્તાન સુનાવણીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી ચૂકયુ છે.
ભારતે કહ્યું કસાબ કેસની સુનાવણી ન્યાયિક સમીક્ષાનો ખરો નમૂનો
હરિશ સાલ્વેએ કહ્યું કુલભૂષણ જાધવ સામેની સુનાવણી ચાર-પાંચ મહિનામાં પૂરી કરી દેવામાં આવી. એમણે મુંબઈ હુમલામાં માર્યા ગયેલા 150 લોકોનું શું એવો સવાલ પણ કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાલ્વેએ ન્યાયિક સમીક્ષાની વ્યાખ્યા કરતી વખતે ભારતીય સુપ્રીમ કોર્ટની અજમલ કસાબની સુનાવણીનો ઉલ્લેખ કર્યો.
એમણે કહ્યું કે કસાબના કેસમાં સુપ્રીમ કોર્ટે મૃત્યુની સજાને ધ્યાનમાં લઈને નીચલી અદાલતોમાં રજૂ કરવામાં આવેલા પાયાના સાક્ષી-પુરાવાઓની પણ તપાસ કરી હતી. આને ખરા અર્થમાં ન્યાયિક સમીક્ષા કહેવાય છે.
પાકિસ્તાને ભારતની દલીલોના જવાબમાં કહ્યું કે જાધવની મુક્તિની ભારતની માગણી અજબ છે.
પાકિસ્તાનની અભદ્ર ભાષાનો ઉલ્લેખ
હરિશ સાલ્વેએ સુનાવણી દરમિયાન અદાલતનું એ ધ્યાન એ વાત ઉપર પણ દોર્યુ કે પાકિસ્તાન તરફથી રજૂઆતમાં બેશર્મ અને ઘંમંડી જેવા શબ્દોનો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે.
સાલ્વેએ કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રીય અદાલતમાં અપમાન સામે વિરોધ વ્યકત કરે છે. જોકે, ભારતીય સંસ્કૃતિ મને આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાથી રોકે છે.
હાલ આંતરરાષ્ટ્રીય અદાલતે સુનાવણી એક દિવસ માટે સ્થગિત કરી છે.
ક્યારે કુલભૂષણ જાધવની ધરપકડ થઈ હતી?
3 માર્ચ 2016ના રોજ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીએ જાધવની બલૂચિસ્તાનથી જાસૂસીના આરોપસર ધરપકડ કરી હતી.
પાકિસ્તાનની સૈન્ય કોર્ટે જાસૂસી અને ઉગ્રવાદ મામલે 2017ના એપ્રિલ મહિનામાં જાધવને ફાંસીની સજા સંભળાવી હતી.
પરંતુ મે મહિનામાં ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે ભારતની અપીલ પર આ સજા પર રોક લગાવી દીધી હતી.
એ વખતે હૅગ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલતે જ્યાં સુધી તેઓ ચુકાદો ન આપે, ત્યાં સુધી મૃત્યુની સજા ન આપવી એમ કહ્યું હતું.
ભારતે કરેલી અરજી પર આજથી જાહેર સુનાવણી શરુ થઈ.
શું છે હૅગની અદાલત અને પ્રક્રિયા?
બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય મામલાઓને ઉકેલવા માટે આ અદાલવતની સ્થાપના કરવામાં આવી હતી.
ભારતના વકીલોની ટીમ આજે પોતાનો પક્ષ રજૂ કરશે અને ત્યારબાદ મંગળવારે પાકિસ્તાનના વકીલોની ટીમ પોતાનો પક્ષ રજૂ કરશે.
ભારતનો દાવો એવો છે કે કુલભૂષણ જાધવ ભારતની નૌસેનાના અધિકારી છે અને તેમનું ભારતથી અપહરણ કરીને પાકિસ્તાન લઈ જવામાં આવ્યા હતા.
ભારતનો એવો પણ આરોપ છે કે કુલભૂષણની કાનૂની મદદ રોકીને પાકિસ્તાને વિએના સમજૂતી કરાર અને માનવઅધિકારોનું ઉલ્લંઘન કર્યુ છે.
ઇસ્લામાબાદમાં પરિવારની મુલાકાત
2017માં સજા જાહેર થયા બાદ કુલભૂષણ જાધવનો પરિવાર તેમને મળ્યો હતો. એ વખતે કુલભૂષણ જાધવની તેમનાં મા અને પત્ની સાથે મુલાકાત બાદ પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કુલભૂષણ જાધવને એક આતંકવાદી અને વિદ્રોહી ગણાવ્યા હતા.
તેમણે કહ્યુ હતું કે જાધવ પાકિસ્તાનમાં ભારતીય આતંકવાદનો ચહેરો છે. તેમની પાકિસ્તાનમાં મુસ્લિમ નામ ધરાવતા નકલી ઓળખપત્ર સાથે ધરપકડ કરાઈ હતી.
કુલભૂષણ જાધવને RAWએ હુમલો કરવાની યોજના બનાવવાનું કામ સોંપ્યું હોવાની વાત પણ તેમણે જણાવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો