દિલ્હીના સિગ્નેચર બ્રિજ પર કપડાં ઉતારનારાં કોણ?

ઇમેજ સ્રોત, AFP
લોકોને વાહન વ્યવહારમાં તકલીફ ન થાય તે હેતુથી બનાવવામાં આવેલો આ બ્રિજ આજકાલ લોકોની તકલીફોનું કારણ બની રહ્યો છે.
દિલ્હીનો સિગ્નેચર બ્રિજ આમ જનતા માટે ખુલ્લો છે. લોકોને વાહન વ્યવહારમાં તકલીફ ન થાય તે હેતુથી બનાવવામાં આવેલો આ બ્રિજ વિવાદોમાં ઘેરાયો છે.
આ પુલ વચ્ચે વાહન રોકીને સેલ્ફી લેવાની ઘટનાઓ તો વારંવાર બની જ રહી છે, પરંતુ તાજેતરમાં અહીં બનેલી વિચિત્ર ઘટનાનો એક વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં કેટલાંક લોકો કપડાં ઉતારીને બ્રિજ પર મસ્તી કરતાં દેખાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ વીડિયો વિશે બે પ્રકારની વાતો થાય છે.
પહેલું કે વીડિયોમાં કપડાં ઉતારનારી યુવતીઓ છે અને બીજું કે વીડિયોમાં કપડાં ઉતારનારાં ટ્રાન્સજેન્ડર્સ છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ સિગ્નેચર બ્રિજ પર અશ્લીલ વર્તન કરવા બદલ પોલીસે આ મામલે ફરિયાદ પણ દાખલ કરી છે.

કપડાં ઉતારનારી યુવતીઓ કે ટ્રાન્સજેન્ડર્સ ?

ઇમેજ સ્રોત, AFP
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં આ લોકો કોણ છે એ સ્પષ્ટ નથી થતું કારણ કે આ વીડિયો દૂરથી બનાવવામાં આવ્યો છે.
પીટીઆઈ સાથે વાત કરતા એક વરિષ્ઠ પોલિસ અધિકારીએ જણાવ્યું, ''સિગ્નેચર બ્રિજ પર ટ્રાન્સજેન્ડર્સનો આ વીડિયો વાયરલ થયા બાદ પોલિસે જાહેર જગ્યાઓ પર અશ્લિલતા ફેલાવવા બાબતે ફરિયાદ દાખલ કરી છે.''
આ મામલે દિલ્હીના નોર્થ ઈસ્ટ ઝોનના ડીસીપી અતુલ ઠાકુરે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરાયો હોવાની પુષ્ટિ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડીસીપી ઠાકુરે જણાવ્યું, ''કલમ 294 અને 34 મુજબ આ કેસ દાખલ કરાયો છે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. આ બંને કલમ જાહેર સ્થળો પર અશ્લિલ વર્તન કરવા માટેની છે.''

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે ઉમેર્યું, ''હજૂ તપાસ ચાલે છે તેથી પરિણામો સુધી રાહ જોવાની રહી. આ કેસમાં ત્રણ મહિનાની સજા થઈ શકે છે''આ કેસમાં પોલીસ જ ફરિયાદી બની છે. જોકે, હજૂ એ નક્કી કરાઈ શકાયું નથી કે વીડિયોમાં દેખાતાં લોકો ટ્રાન્સજેન્ડર્સ છે કે યુવતીઓ.
દિલ્હી પોલીસે જણાવ્યું છે કે એ વખતે સિગ્નેચર બ્રિજ પર ત્રણ-ચાર લોકો જ હાજર હતાં એટલે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.
ઘટનાની તારીખ અને સમય વિશે પણ હજુ સુધી કોઈ ખાસ પુરાવા મળ્યા નથી.

અશ્લીલતા વિરુદ્ધનો કાયદો શું છે?
પોલીસે આ મામલે ઈન્ડિયન પીનલ કૉડની કલમ 294 અંતર્ગત અશ્લીલતા ફેલાવવાનો ગુનો દાખલ કર્યો છે.
આ અંગે સુપ્રીમ કોર્ટના વકીલ અવની બંસલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, ''કોઈ પણ વ્યક્તિ જાહેર સ્થળો પર નગ્નતા દર્શાવે છે અથવા તો અશ્લીલ વર્તન કરે ત્યારે આ કલમ લાગુ પડે છે.''
''જોકે, અશ્લીલતા શું છે તેની વ્યાખ્યા કરવી અઘરી છે અને સમય સાથે બદલાયા કરે છે. પણ જાહેર સ્થળે અશ્લીલ વર્તન કરવુ ગેરકાયદેસર છે.''
અવની બંસલના જણાવ્યા અનુસાર સમાજના નૈતિક મુલ્યોનું રક્ષણ કરવું આ કાયદાનો ઉદેશ છે.
લોકોએ સિગ્નેચર બ્રિજ પર આવુ કેમ કર્યુ એ તપાસનો વિષય છે પણ કોઈ ઝુંબેશના ભાગરૂપે આવુ કરાયું હોવાની પણ શક્યતા છે.
અવની ઉમેરે છે, 'અશ્લીલ વર્તન કરનાર છોકરો હોય, છોકરી હોય કે ટ્રાન્સજેન્ડર, આ કાયદા હેઠળ તમામ સમાન સજાને પાત્ર છે.''

એમ.એફ હુસેન વિરુદ્ધ લગાવાઈ હતી 294ની કલમ

ઇમેજ સ્રોત, AFP
વકીલ જસપ્રીતસિંહ રાય અનુસાર કોઈ પણ વ્યક્તિ જાહેર જગ્યાએ અશ્લીલ વર્તન કરે, પછી તે કળાના સ્વરૂપે હોય કે કોઈ કાર્ય સ્વરૂપે, તેના વિરુદ્ધ 294ની કલમ અંતર્ગત કેસ ચલાવી શકાય છે.
આ કલમ અનુસાર ત્રણ મહિનાની સજા થઈ શકે છે. આ અંતર્ગત નોંધાતો ગુનો જામીનપાત્ર છે.
જસપ્રીતસિંહ જણાવે છે, ''જાણીતા ચિત્રકાર એમ.એફ. હુસેનને પણ આ જ કલમ અંતર્ગત નોટિસ મળેલી, જેને તેમણે હાઈ કોર્ટમાં પડકારેલી.''
''કોર્ટે હુસેનને નિર્દોષ જાહેર કરતાં આદેશ આપેલો કે તેમણે જે પણ કલાત્મક કામ કર્યુ છે, તે જાહેરમાં નથી કર્યું. ચિત્ર બનાવીને કોઈને વેંચી દીધું. આવા કિસ્સામાં કલમ 294 નહીં લાગે.''
આ કેસ એમ.એફ. હુસેનના પ્રખ્યાત 'ભારત માતા' પેઇન્ટિંગ વિરુદ્ધ ચલાવાયો હતો.
પરંતુ કોઈ બારમાં કૅબરે ડાન્સ કરનાર ડાન્સર આ યાદીમાં આવશે?
વકીલ જસપ્રિતસિંહ જણાવે છે, ''કૅબરે ડાન્સ જોવા જતી વ્યક્તિ ટિકિટ ખરીદીને જાય છે. ત્યારે એવુ ન કહી શકાય કે તેને જોવાથી કોઈને તકલીફ થાય છે.''



સિગ્નેચર બ્રિજ બનાવવામાં કેટલો ખર્ચ થયો?

ઇમેજ સ્રોત, AFP
દિલ્હીમાં કોંગ્રેસની સરકાર વખતે વર્ષ 2004માં આ બ્રિજ બનાવવાની મંજુરી મળી હતી.
એ વખતે દિલ્હીમાં મેટ્રો શરૂ થયાંનાં હજુ બે વર્ષ જ થયાં હતાં.
એટલે એ વખતનાં દિલ્હીનાં મુખ્ય મંત્રી શિલા દિક્ષિતની સરકારે ફ્લાયઑવરની પ્રક્રિયા જલદી પૂર્ણ કરવા માગતી હતી.
એ સમયે વઝીરાબાદ બૈરાજ પાસે જ સિગ્નેચર બ્રિજ બનાવાની યોજના બની. ત્યારે ઉત્તર દિલ્હીથી ઉત્તર પૂર્વ દિલ્હીને જોડતો આ એક માત્ર બ્રિજ હતો.
જોકે, બ્રિજ પૂરો થવાની અંતિમ તારીખ વધતી રહી, 2010માં કૉમનવેલ્થ ગેમ્સ વખતે આ બ્રિજ તૈયાર થવાનો હતો, પણ તે આઠ વર્ષ બાદ લોકો માટે ખુલ્લો મૂકાઈ રહ્યો છે.
આ દેશનો પહેલો ઍસિમૅટ્રિકલ બ્રિજ છે, જે માત્ર તાર પર આધારિત છે.
તેની કુલ ઊંચાઈ 575 મીટર છે અને 154 મીટરની ઊંચાઈ પર ગ્લાસ વ્યૂઇંગ બૉક્સ છે.
જેમાંથી દિલ્હીનો નજારો જોઈ શકાય છે. આ બ્રિજને બનાવવામાં 1500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
પરંતુ બ્રિજ બન્યા બાદ જે રીતે લોકો જોખમ લઈને સેલ્ફી લે છે અને કપડાં ઉતારીને તસવીર ખેંચાવે છે, તે પોલિસ માટે ચિંતાનું કારણ બની ગયુ છે.
પીટીઆઈના જણાવ્યા અનુસાર દિલ્હી પોલિસે સિવિક ઑથોરિટીને આદેશ કર્યો છે કે, સિગ્નેચર બ્રિજ પર સેલ્ફી લેવા અને નિયમોના ઉલ્લંઘન કરતા લોકોને ચેતાવણી આપતા બૉર્ડ્ઝ લગાવવામાં આવે, જેથી સિગ્નેચર બ્રિજ અયોગ્ય કારણોસર ચર્ચામાં ન રહે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












