You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત સરકાર કેમ ખેડૂતોનાં દેવાં માફ કરતી નથી?
- લેેખક, હરેશ ઝાલા
- પદ, બીબીસી ગુજરાતી માટે
પાટીદાર નેતા હાર્દિક પટેલે હાલમાં જ તેમના આમરણ ઉપવાસના 19માં દિવસે પારણાં કર્યાં. હાર્દિકના ઉપવાસ 19 દિવસ સુધી ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બની રહ્યા.
હાર્દિક પટેલ બે મુખ્ય માંગોને લઈને આ ઉપવાસ કરી રહ્યા હતા.
તેમાંની પ્રથમ માગ એટલે કે પાટીદારોને અનામત મળવી જોઈએ.
હાર્દિકની બીજી માગ હતી કે ગુજરાતના ખેડૂતોનાં દેવાં સરકારે માફ કરી દેવાં જોઈએ.
આ મામલે ઉપવાસના 11મા દિવસે પ્રથમ વખત રાજ્ય સરકારનો પ્રતિભાવ આવ્યો હતો.
જોકે, ખેડૂતોની દેવામાફી વિશે સરકારે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો ન હતો.
સરકારે તો એવો આક્ષેપ કર્યો હતો કે હાર્દિકનું આંદોલન રાજકીય છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાર્દિક પટેલ 25મી ઑગસ્ટથી આમરણ ઉપવાસ પર ઊતર્યા હતા.
આ વર્ષે વરસાદ અસામાન્ય હતો. ગત વર્ષે ઘણા વિસ્તારમાં પૂરનો પ્રકોપ હતો, તેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી હતી.
એવા સંજોગોમાં ખેડૂતોનાં દેવાં રાજ્ય સરકારે માફ કરવાં જોઈએ એવો મત પ્રગટ કરાતો હતો.
હાર્દિક પટેલ ખેડૂતોની દેવામાફીની માગ કરી રહ્યા છે, ત્યારે બીબીસીએ ચકાસણી કરી કે ગુજરાતમાં ખેડૂતોનાં દેવાંની શું સ્થિતિ છે?
સરકાર ખરેખર દેવાં નાબૂદ કરી શકે?
સરકારે ન્યૂનતમ પોષણક્ષમ ભાવ પણ આપવાની જરૂર ન પડે.
ઝાલાની એવી પણ ફરિયાદ હતી કે રાજ્ય સરકાર જો ટાટા કંપનીને નેનો કારનું ઉત્પાદન એકમ સ્થાપવા માટે રૂપિયા 30,000 કરોડની સહાય કરી શકે તો રૂપિયા 60,000 રોકડા ન આપી શકે.
જો આટલી રકમ આપવામાં આવે તો પણ સરકાર પર વાર્ષિક બોજો માત્ર રૂપિયા ચાર હજાર કરોડ જ પડશે.
આર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહનો વેધક સવાલ છે કે શા માટે દેવા નાબૂદી નહીં?
તેમણે રાજ્યની આર્થિક સ્થિતિના આંકડા આપતાં કહ્યું કે રાજ્યનું વર્ષ 2018-19નું અંદાજપત્ર 1,83,000 કરોડનું હતું. 2017-18માં જીએસટીની આવક રૂપિયા 23,000 કરોડ થઈ હતી, તેના આગળના વર્ષે કરવેરાની આવક રૂપિયા 14,000 કરોડ હતી.
બે વર્ષની કરવેરાની આવક લગભગ રૂપિયા 38,000 કરોડ હતી. તે જોતા સરકાર ખેડૂતો માટે રૂપિયા 5000 કરોડના દેવા નાબૂદી ન કરી શકે?
તેમણે એવી દલીલ કરી હતી કે રાજ્યમાં કુલ 54,40,000 ખેડૂતો છે, જ્યારે ખેતમજૂરોની સંખ્યા 68,30,000 છે.
આમ રાજ્યની 50 ટકા વસ્તી આજે પણ સીધી કે પરોક્ષ રીતે ખેતી પર નિર્ભર છે.
જો, રાજ્ય સરકાર 25,00,000 ખેડૂતોના ખાતામાં માત્ર રૂપિયા 20,000 રોકડા ડિપૉઝીટ કરે તો પણ રાજ્ય સરકાર ઉપર રૂપિયા 5000 કરોડથી વધારે બોજો પડે નહીં.
તેવા સંજોગોમાં ખેડૂતો માટે દેવામાફી રાજ્ય સરકાર માટે કોઈ મોટો આર્થિક બોજો સાબિત નહીં થાય.
દેવા માફીના આંકડા સમજાવવા સાથે હેમંત શાહ ઉમેરે છે, "સમગ્ર સમસ્યાના મૂળ કૃષિ પેદાશના પોષણક્ષમ ભાવમાં છે. જો ખેડૂતોને યોગ્ય ભાવ મળે તો તેમને કોઈ અન્ય આર્થિક મદદની જરૂર નથી.
ખેડૂતોની દેવામાફીથી ઉકેલ આવશે?
સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન રમેશભાઈ ભોરણિયાએ પોતાના અનુભવ વિશે વાત કરતાં એક દાખલો ટાંકયો.
સૌરાષ્ટ્ર વેરાવળના કૃષિ ખરીદ-વેચાણ સંઘમાં એક વિધવા મહિલા ખેડૂત તેમની પાંચ વીઘા જમીન પર પાકેલી મગફળી વેચવા આવ્યાં હતાં.
જ્યારે તેમને પૂછ્યું કે બજારમાં 713 રૂપિયા ભાવ છે અને દિવાળી પછી સરકાર 900 રૂપિયાના ભાવે ખરીદવાની છે. તો ઉતાવળ કેમ કરો છો.
ત્યારે તેમણે કહ્યું કે આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે ત્યાં સુધી રાહ જોઈ શકાય.
ભોરણિયાએ કહ્યું કે નાના સિમાંત ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે બજારમાં ભાવ ઊંચકાય ત્યાં સુધી રાહ જોઈ ન શકે.
તેમને આર્થિક રીતે પગભર કરવા જરૂરી છે, જેનો આધાર તેમની કૃષિ પેદાશની સારી આવક ઉપર છે.
સરકારે એ માટે પ્રયત્ન કરવા જોઈએ. ખેડૂતોને જો સારી આવક મળે તો તેમને કોઈ નાણાકીય સહાય કે દેવામાફીની જરૂર ન પડે.
તેમના મતે દેવામાફી એ તાત્કાલિક સારવાર જેવું છે, જ્યારે કાયમી ઉકેલ તો લઘુતમ પોષણક્ષમ ભાવ જ છે.
તેમને એ ચિંતા સતાવે છે દેવામાફી કદાચ ખેડૂતોને ખોટી આદત પણ પાડી શકે છે. તેથી સરકારે અસાધારણ સ્થિતિમાં જ ખેડૂતોનાં દેવાં માફ કરવા જોઈએ.
ખેડૂત આગેવાન અને 'ક્રાંતિ' સંસ્થાના કાર્યકર ભરતસિંહ ઝાલા સ્પષ્ટપણે માને છે કે કોઈ વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવે તો આઈસીયૂમાં સારવાર અપાય છે. જરૂર પડે તો બાયપાસ સર્જરી કરવી પડે છે.
તેઓ કહે છે, "બસ દેવામાફીને આઈસીયૂની સારવાર સમાન ગણવું જોઈએ, સરકારે ગુજરાતના ખેડૂતોનાં દેવાં માફ એ પ્રકારની અસાધારણ સ્થિતિમાં જ કરવા જોઈએ."
ઝાલાએ એવી પણ દલીલ કરી હતી કે 2018માં રાજ્યના 21 લાખ ખેડૂતોએ એસબીઆઈ અને દેના બૅન્ક પાસેથી રૂપિયા 2200 કરોડનું પાક ધિરાણ (ક્રોપ લોન) લીધું છે, જો તે માફ કરી દે તો પણ ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓ હલ થઈ શકે છે.
ઝાલા લાંબા ગાળાના ઉકેલ સ્વરૂપે એવું સૂચન કરે છે કે જો સરકાર દરેક ખેડૂત પરિવાર દીઠ(ચાર સભ્યોનો પરીવાર) મહિને રૂપિયા 5000 લેખે વર્ષે રૂપિયા 60,000 તેમના ખાતામાં આપી દે, તો ખેડૂતોને કોઈ અન્ય આર્થિક મદદની જરૂર ના પડે.
તેઓ કહે છે કે જે સમયે દેશમાં પાકનું ઉત્પાદન સારું હોય તેવા સમયે સરકાર કૃષિ પેદાશની આયાતની છૂટ આપી સ્થાનિક બજારમાં ભાવ તોડી ખેડૂતોને નુકસાન કરે છે.
સરકાર શું કહી રહી છે?
બીજી બાજુ ખેડૂતોના મૂદ્દે ઉપવાસ પર ઊતરેલા પાસ નેતા હાર્દિક પટેલના ઉપવાસ અંગે રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે અનામત શક્ય નથી, પરંતુ રાજ્ય સરકારે એક બોર્ડની રચના કરી છે.
પત્રકારોના ખેડૂતોના દેવાનાબૂદીનો પ્રશ્ન ટાળી, નાણામંત્રીએ એવો દાવો કર્યો કે ખેડૂતોની આવક વધારવા માટે સરકાર પ્રયત્નશીલ છે.
તેમણે કહ્યું કે સરકાર દ્વારા ખેડૂતોને વગર વ્યાજે રૂપિયા ત્રણ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોને ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પાક બજારમાં આવે તે પહેલાં જાહેર કરવામાં આવે છે.
ઉપરાંત તેમણે કહ્યું કે ગત વર્ષે રૂપિયા 3000 કરોડની મગફળી ખેડૂતો પાસેથી ખરીદી અને તે નાણાં સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવ્યાં છે. સરકારની નેમ છે અને એ દિશામાં જ કામ કરે છે કે ખેડૂતોની આવક વધે અને તેમનો ખર્ચ ઘટે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો