ભીમા, કોરેગાંવ હિંસાની તપાસનો આદેશ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે પુનાની નજીક ભીમા, કોરેગાંવ અને આસપાસના વિસ્તારોમાં થઈ રહેલી હિંસા અને પથ્થરબાજીની ઘટનાઓ અંગે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

ભીમા કોરેગાંવની લડાઈને 200 વર્ષ પૂરા થયા નિમિત્તની ઉજવણી માટે હજારો દલિતો સોમવારે વિજયસ્થંભે અભિવાદન આપવા માટ ભેગાં થયાં હતાં. તે સમયે જ પથ્થરબાજી થઈ હતી.

ઘટનામાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હતી. કેટલાક વાહનોને પણ નુકસાન થયું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

મુખ્યમંત્રીએ મૃતકના સંબંધીઓને વળતર-સહાય રૂપે 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

સોશિઅલ મીડિયા પર આ ઘટના અંગેની અફવાઓ પર ધ્યાન નહીં આપવાની વિનંતી ફડણવીસે કરી છે.

તેમણે જણાવ્યું છે કે અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.

આ ઘટના બાદ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 'રસ્તા રોકો' આંદોલન થયાં હતાં.

ઔરંગાબાદમાં જાહેર સભાને પ્રતિબંધિત કરવામાં આવી હતી.

મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં પણ 'રસ્તા રોકો' આંદોલન થયું હતું.

ગોવંડી સ્ટેશન પર ટ્રેનો રોકવાના કારણે મુંબઈ હાર્બર લાઈનની સ્થાનિક ટ્રેનો પર પણ અસર થઈ છે.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને એન.સી.પી.ના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે આ ઘટના અંગે સરકારે સાવચેતી રાખવી જોઈએ.

વધુમાં તેમણે જણાવ્યું છે કે રાજકીય અને સામાજિક ક્ષેત્રોમાં કામ કરનારા લોકોએ આ ઘટના પર રાજકારણ રમવું જોઈએ નહીં.

લોકોએ શાંતિ રાખવી જોઇએ અને શાંતિનું ઉલ્લંઘન કરનારાઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ, એવું કેંદ્રીય સામાજિક ન્યાયમંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું.

ભારિપ બહુજન મહાસંઘના નેતા પ્રકાશ આંબેડકરે આ ઘટનાની ટીકા કરી છે અને ત્રીજી જાન્યુઆરીએ 'મહારાષ્ટ્ર બંધ'ની અપીલ કરી છે.

વિરોધીઓએ મુંબઇના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર વિરોધ કરવા માટે ઊમરી આવ્યા હતા અને પથ્થરબાજી કરી હતી.

મોટાભાગે મુંબઈના પૂર્વીય ઉપનગરો અસરગ્રસ્ત છે.

ચેમ્બુર અને ગોવંડી વિસ્તારમાં દુકાનો બંધ હતી. શહેરના તે વિસ્તારોમાં ટ્રાફિકજામની સ્થિતિ પણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો