પ્રેસ રિવ્યૂ: કેશુભાઈ પટેલે પણ સચિવાલયમાં જ શપથ લીધા હતા

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ એકબીજાને મીઠાઈ ખવડાવતા વિજય રૂપાણી અને નીતિન પટેલ

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ ગુજરાતમાં છઠ્ઠીવાર રચાઈ રહેલી ભારતીય જનતા પક્ષની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેંદ્રીય મંત્રીઓ હાજર રહેશે.

આ અહેવાલ મુજબ મંત્રીમંડળમાં 13થી 14 નવા ચહેરા સામેલ થશે. બાકીના જૂના જોગીઓ હશે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ કેશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ભાજપની પ્રથમ સરકારની શપથવિધિ પણ 1995માં આ જ સચિવાલય કૅમ્પસમાં યોજાઈ હતી. પણ એમની એ સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરી શકી નહોતી.

અહેવાલ મુજબ આ જ કારણથી ભાજપના નેતાઓમાં પણ નવી સરકાર અંગે શંકા-કુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તમને આ વાંચવું પણ ગમશે:

સંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ વિપક્ષ કોંગ્રેસને આ સમારોહનું આમંત્રણ નથી આપવામાં આવ્યું.

ગુજરાત સમાચારમાં પ્રકાશિત અહેવાલ મુજબ શપથ ગ્રહણ પહેલા મંડપ તૈયાર કરી રહેલા મજૂર નીચે પટકાયા હતા.

જેમાંથી એક મજૂરનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય મજૂર ગંભીર રીતે ઘાયલ થયા છે.

line

જ્યારે જુનિયર અંબાણીએ શાહરૂખને ટોક્યા

શાહરૂખ ખાન

ઇમેજ સ્રોત, Getty Images

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ આકાશ અંબાણીએ બોલિવુડના દિગ્ગજ કલાકાર શાહરૂખ ખાનને ટોક્યા હતા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 40 વર્ષ પૂર્ણ થતાં મુંબઈમાં સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ઇવેન્ટમાં શાહરૂખ ખાને આકાશ તથા ઇશા અંબાણી સાથે વાત કરી હતી. પરંતુ એક જગ્યાએ શાહરૂખથી ભૂલ પડી હતી અને આકાશે તરત જ તેમની ભૂલ સુધારી હતી.

શાહરૂખ ખાને કહ્યું હતું કે જીયોના ગ્રાહકોની સંખ્યા હવે 10 કરોડ છે. આ વાત પર આકાશે તરત જ શાહરૂખને અટકાવીને કહ્યું હતું કે '16 કરોડ શાહરૂખ'.

line

દેશની પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો શરૂ

ડ્રાઇવરલેસ મેટ્રોને લીલી ઝંડી બતાવતા નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ દેશની પહેલી ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે દિલ્હી મેટ્રોની મેજેન્ટા લાઇનનું ઉદઘાટન કર્યું હતું.

નવગુજરાત સમયના પ્રકાશિત અહેવાલ મુજબ મોદી-યોગીએ બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન પર બટન દબાવીને આ મેટ્રોની શરૂઆત કરાવી હતી.

બન્નેએ મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી. આ કોરિડોરમાં મેટ્રો ટ્રેન ડ્રાઇવર વગર દોડશે.

અહેવાલ મુજબ વડાપ્રધાન મોદીએ યોગી આદિત્યનાથની ભરપૂર પ્રશંસા પણ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો