ગુજરાત ચૂંટણી : પાટીદાર નેતા હાર્દિક પટેલના ગઢમાં ભાજપનો પરાજય

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના હોમ ટાઉન વિરમગામની બેઠક પર કોંગ્રેસના લાખા ભરવાડનો 6548 મતોથી વિજય થયો છે.
ગુજરાતની ચૂંટણીમાં ભાજપને પડકાર આપનાર હાર્દિક પટેલ જ્યાં રહે છે, તે અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર સૌની નજર હતી.
તમામને સવાલ હતો કે હાર્દિક પટેલ ગુજરાતમાં ભાજપની સત્તાને ઉખાડી ફેંકવાની વાત કરે છે, પણ વિરમગામ બેઠક કોણ જીતશે?
હવે આખરે અહીંનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વિરમગામ બેઠક પર ભાજપ તરફથી તેજશ્રીબેન પટેલ ચૂંટણી લડ્યાં હતાં, પણ તેઓ કોંગ્રેસનાં વર્તમાન MLA (ધારાસભ્ય) હતા.
ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણીઓ પૂર્વે તેઓ ભાજપમાં જોડાઈ ગયાં હતાં.
કોંગ્રેસે તેમની સામે ઓબીસી નેતા લાખા ભરવાડને મેદાને ઉતાર્યા હતા. લાખા ભરવાડ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે.

વિરમગામમાં પાટીદાર-ઓબીસી મતદારોનું પ્રભુત્વ

ઇમેજ સ્રોત, Getty Images
ગત 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેજશ્રીબેને ભાજપના નારણભાઈ પટેલને હરાવીને ચૂંટણી જીતી હતી, પણ આ વખતે તે ભાજપ તરફથી લડ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2012ની ચૂંટણીમાં તેજશ્રીબેન પટેલે ભાજપના ઉમેદવારને હરાવી ચૂંટણી જીતીને સૌને ચોંકાવી દીધા હતા.
આ વખતે કોંગ્રેસના લાખા ભરવાડનો વિજય થયો છે.

ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પણ વિરમગામના મતદાર

ઇમેજ સ્રોત, Getty Images
પાટીદાર અનામત આંદોલનથી ગુજરાતની રાજનીતિમાં એક અલગ પ્રકારના જ્ઞાતિ આધારિત રાજકારણની શરૂઆત કરનારા યુવા હાર્દિક પટેલના માતાપિતા વિરમગામમાં જ રહે છે.
જોકે, હાર્દિક પટેલ સતત ઘરથી દૂર રહે છે. વિરમગામમાં કુલ 2.71 લાખ મતદારો છે, જેમાંથી 1.83 લાખ મતદારોએ મતાધિકારનો પ્રયોગ કર્યો હતો, એટલે કે 67.69 ટકા મતદાન થયું હતું.
અત્રે નોંધવું રહ્યું કે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ બન્ને વિરમગામના મતદાર છે અને અલ્પેશ ઠાકોરનો પણ રાધનપુરની બેઠક પરથી 14857 મતોથી વિજયી થયા છે.
અલ્પેશ ઠાકોરની સામે ભાજપના ઉમેદવાર લવિંગજી સોલંકી હતા, જેમનો પરાજય થયો છે.

ઇમેજ સ્રોત, Getty Images
પાટીદાર નેતા હાર્દિક પટેલ મધ્યમવર્ગીય છે. ભારતના કાયદા મુજબ ચૂંટણી લડવા માટે હાર્દિકની ઉંમર હજી યોગ્ય નથી થઈ, પરંતુ પાટીદાર આંદોલન ચલાવનાર હાર્દિક માટે વિરમગામની બેઠક પણ એક રીતે પ્રતિષ્ઠાનો જંગ તરીકે જોવામાં આવી હતી.
વળી વિરમગામમાં રજપૂત સમુદાયના એક અપક્ષ ઉમેદવારે પણ ચૂંટણી લડી હતી. હાદિક પટેલના પોતાના ગઢ વિરમગામમાં પાટીદાર અને ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે.

વિરમગામ વિશે
અમદાવાદ જિલ્લામાં આવેલા વિરમગામમાં મારુતિ સુઝુકી અને જાપાનીઝ ઔદ્યોગિક પાર્કની સાઇટ આવેલી છે.
અમદાવાદ શહેરથી 60 કિમી દૂર આવેલા વિરમગામની સ્થાપના વિરમદેવ નામના રાજાએ કરી હતી.
સોલંકી યુગનું મુનસર તળાવ પણ અહીં જ આવેલું છે. સિદ્ધરાજ જયસિંહના માતા મિનળદેવીએ આ તળાવ બંધાવેલું હતું.
વિરમગામ મૂળભૂત સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરતું આવ્યું છે. તદુપરાંત વિરમગામના ઇતિહાસમાં રમખાણો પણ એક બાબત રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












