રાહુલ ગાંધીના ભાષણના મહત્વના મુદ્દાઓ

ઇમેજ સ્રોત, INC/FACEBOOK
ગુજરાતના પ્રવાસે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએગાંધીનગર ખાતે નવસર્જન જનાદેશ સંમેલનને સંબોધિત કર્યું હતું.
આ સંમેલનમાં તેમની સાથે અલ્પેશ ઠાકોર પણ હાજર હતા. રાહુલે જીએસટીથી લઈને ગુજરાતમાં વિકાસ અને શિક્ષણના મુદ્દાઓ પર ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી.
રાહુલે તેમના ભાષણમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને ‘ગબ્બર સિંહ ટેક્સ’ તરીકે ઓળખાવ્યું હતું, જે સોશિઅલ મીડિયામાં #GabbarSinghTax હેશ ટેગથી ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે.
તમને આ વાંચવું પણ ગમશે :
રાહુલ ગાંધીએ નોટબંધી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) જેવા સરકારી નિર્ણયોની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.


ઇમેજ સ્રોત, DIPTENDU DUTTA
રાહુલ ગાંધીનાં ભાષણની ખાસ વાતો
- નોટબંધીનો નિર્ણય એ આખા દેશના પગ પર એક પ્રકારે કુહાડીના ઘા સમાન હતો. નોટબંધીનો નિર્ણય જાહેર કર્યાના પહેલાં બે દિવસમાં તો ખુદ વડાપ્રધાનને પણ સમજણ નહોતી પડી કે શું થઇ રહ્યું છે?
- જો કાળુ-નાણું આ વ્યવસ્થામાંથી બહાર ન આવે તો મને ફાંસીએ ચડાવી દેજો, આવો સુર વડાપ્રધાને આલાપ્યો હતો, આખા રાષ્ટ્રને વડાપ્રધાને તેમના આ નિર્ણયથી હેરાન-પરેશાન કરી મૂક્યું હતું
- જીએસટીનો અમલ ઝડપભેર કરવામાં આ સરકાર બહુ મોટી થાપ ખાઈ ગઈ છે. જેને કારણે નાના ઉદ્યોગો ખતમ થઈ ગયા, લાખો યુવાનો બેરોજગાર થઈ ગયા. જીએસટી એ ખરા અર્થમાં ગબ્બર સિંહ ટેક્સ છે
- મને તો એ નથી સમજાતું કે કોઈ એક કંપનીનો ધંધો ૫૦ હજાર રૂપિયામાંથી ૮૦ કરોડ રૂપિયા સુધી કેવી રીતે પહોંચી જાય?
- અમિત શાહના પુત્ર જય શાહ પર નરેન્દ્ર મોદી એક શબ્દ નથી બોલતા.
- આ સરકાર ગરીબો અને ખેડૂત વિરોધી સરકાર છે. આ સરકારે ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓની એક લાખ ત્રીસ હજાર કરોડની લોન માફ કરી છે પણ ખેડૂતોનું દેવું માફ કરવા માગતી નથી.
- વિજય માલ્યા જ્યારે નવ હજાર કરોડ રૂપિયા લઈને છુ થઈ ગયો ત્યારે આ સરકાર શું કરી રહી હતી?
- સમગ્ર ગુજરાત આંદોલનમાં લાગ્યું છે. છેલ્લા 22 વર્ષોમાં અહીં પ્રજાની સરકાર નથી ચાલી. અહીં માત્ર પાંચ-દસ ઉદ્યોગપતિઓની સરકાર ચાલી રહી છે. એટલે ગુજરાતનો સમાજ રસ્તા પર આવી ગયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો









