ગણિત શીખવું બાળકો માટે સરળ બનાવી દેતી 'સિંગાપોર મૅથ્સ' પદ્ધતિ શું છે?

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઇસારિયા પ્રેથોંગ્મેય
    • પદ, બીબીસી સંવાદદાતા

સિંગાપોરે 2022ની પીઆઈએસએ (પિસા - પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઍસેસમૅન્ટ આંતરાષ્ટ્રીય વિદ્યાર્થી મૂલ્યાંકન કાર્યક્રમ)ની પરીક્ષામાં શાળાના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનના અભ્યાસ બાબતે વૈશ્વિક રેન્કિંગમાં પહેલું સ્થાન મેળવ્યું છે.

સિંગાપોર ગણિતના અભ્યાસમાં ઘણું સફળ રહ્યું છે.

તેનો શ્રેય એ વિશિષ્ટ રીતને અપાય છે જેમાં આ વિષયને ભણાવાય છે.

શું છે સિંગાપોર મૅથ્સ અને તે આટલું સફળ કેમ છે?

ગણિત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર

15 વર્ષ સુધીના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ધોરણોની રેન્કિંગ પદ્ધતિ છે. જેને આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (ઓઈસીડી)એ શરૂ કરી હતી.

PISA 2022 ના મુખ્ય ત્રણ વિષયોમાં એક ગણિત હતો. તેમાં ભાગ લેનારા 81 દેશોનાં બાળકોએ મેળવેલા સરેરાશ 472 પૉઇન્ટની સરખામણીમાં સિંગાપોરના 15 વર્ષનાં બાળકોએ 575 પૉઇન્ટ મેળવ્યા હતા.

સિંગાપોર અધિકારીઓનું માનવું છે કે ગણિતનો અભ્યાસ લોકોને તાર્કિક અને વિશ્લેષણાત્મક રીતે વિચારવામાં સક્ષમ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ માટે સિંગાપોરના બાળકો ઓછી ઉંમરે જ રિઝનિંગ, કૉમ્યુનિકેશન અને મૉડેલિંગ જેવી મહત્ત્વપૂર્ણ ગાણિતિક પ્રક્રિયાઓને વિકસિત કરવાનું શીખે છે.

ગણિત ભણાવવા માટે સિંગાપોરના દૃષ્ટકોણને સામાન્ય રીતે 'સિંગાપોર મૅથ્સ' તરીકે ઓળખવામાં આવે છે.

તેને સિંગાપોરના શિક્ષણ વિભાગે 1980ના દાયકામાં પબ્લિક સ્કૂલો માટે વિકસાવ્યું હતું.

આ પદ્ધતિ બાળકોનું ધ્યાન, ગોખવામાંથી હઠાવી તેઓ જે કંઈ વાંચે છે તેના વિશે ઊંડી સમજ કેળવવા પર લગાવે છે.

હાલના દાયકાઓમાં અન્ય કેટલાક દેશોએ પણ તેને વિભિન્ન રૂપે અપનાવ્યું છે.

સિંગાપોર મૅથ્સ કેવી રીતે કામ કરે છે?

ગણિત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સિંગાપોર ગણિત પદ્ધતિના મૂળમાં મુખ્ય બે વિચાર છે. વિવિધ સામગ્રી સાથે જેમાં ઘન વસ્તુઓ જેમકે બ્લૉક્સ, ક્યુબ, સંખ્યાની સ્થાનકિંમત દર્શાવે તેવાં રમકડાં, ગણિતનાં વિવિધ મૉડેલ (જેમકે, વર્તુળ, ડૉટ્સ (ટપકાં) અને સંખ્યાઓનું) ચિત્રાંકન અને અમૂર્ત અભિગમ (ઍબસ્ટ્રેક્ટ ઍપ્રોચ).

સીપીએનો વિકાસ 1960ના દાયકામાં અમેરિકાના મનોવૈજ્ઞાનિક જેરોમ બ્રૂનરે કર્યો હતો.

આ એ વિચાર પર આધારિત છે કે બાળકો અને ઘણીવાર પુખ્ત વયના લોકોને પણ ગણિત અઘરું લાગી શકે છે કારણ કે તે અમૂર્ત છે.

એટલે જ સીપીએ અમૂર્ત ધારણાઓને મૂર્ત રૂપે રજૂ કરે છે. તે પછી જ તે વધારે જટિલ વિષયો તરફ આગળ વધે છે.

ડૉક્ટર ઍરિયલ લિંડોર્ફ ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલયના શિક્ષણ વિભાગમાં ઍસોસિયેટ પ્રોફેસર છે. તેમણે બીબીસીને જણાવ્યું, “સિંગાપોર મૅથ્સમાં બાળકો હંમેશાં કંઈક નક્કર કરે છે.”

તેઓ જણાવે છે, “તેમની પાસે જોડવા માટે ક્યૂબ્સ હોય છે અને તેને એક સાથે રાખી શકાય છે. તેઓ કંઈક ચિત્રાત્મક કરી શકે છે. તેમની પાસે ફૂલોની કેટલીક તસવીરો હોઈ શકે છે. જેને તેઓ એકસાથે રાખે છે અથવા કેટલાક લોકો કે પછી દેડકો કે પછી બીજું કંઈક જેને માત્ર સંખ્યાની સરખામણીમાં સાંકળવાનું અને નેવિગેટ કરવાનું સરળ છે.”

આ રીતે સીપીએ વિવિધ રીતે ગણિતને સમજવાની એક પદ્ધતિ આપે છે.

ડૉક્ટર લિંડોર્ફ કહે છે, “સિંગાપોર ગણિત પદ્ધતિ યાદ રાખવા પર આધારિત નથી.”

આ 'મહારત' કયા કારણે આવે છે?

ગણિત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર

સિંગાપોર ગણિત પદ્ધતિનો અન્ય એક મહત્ત્વપૂર્ણ પાયો છે મહારતનો નિશ્ચય. એટલે કે વર્ગના બધા વિદ્યાર્થીઓ એક સાથે આગળ વધે અને એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે, કોઈ પણ પાછળ ના રહી જાય.

ઉદાહરણ તરીકે જ્યારે બાળકો સરવાળા-બાદબાકી જેવી કોઈ ગણિતની પ્રક્રિયા શીખે ત્યારે કેટલાંક બાળકો અન્યોની સરખામણીમાં તેને વધારે ઝડપથી સમજી શકે છે.

જોકે એવા વિદ્યાર્થીઓને સંપૂર્ણ રીતે કોઈ અન્ય વિષય તરફ આગળ લઈ જવાના બદલે તેમની સમજણને વધારે પ્રમાણમાં વિકસાવવા તેમને એ વિષય સાથે સંકળાયેલી વધારે પ્રવૃત્તિઓ આપવામાં આવે છે.

ડૉ. લિંડોર્ફ કહે છે, “એનો અર્થ એ નથી કે દરેકને રોકાવું પડશે અને ત્યાં સુધી રાહ જોવી પડશે જ્યાં સુધી દરેક વિદ્યાર્થી આગળ ના વધે.”

તેઓ કહે છે, “વિચાર એ છે કે જો કેટલાંક બાળકોને સરવાળાની વધારે સારી સમજણ છે તો શિક્ષકો તે સમજણને ઘટાડવા તરફ નહીં લઈ જાય પણ તેમને કંઈક એવું અપાશે જે સરવાળાની સમજણને થોડી વધારે આગળ વધારશે.”

આ પ્રવૃત્તિ મોટી સંખ્યાઓ અથવા વિવિધ પ્રારૂપો પર કામ કરી શકે છે.

એટલાં માટે જે બાળકો પાસે વિષયની વધારે સમજણ છે તે હજી પણ વર્ગનાં બાકી બાળકોની જેમ જ સવાલોનો જવાબ શોધશે પણ અલગ રીતે.

સિંગાપોર મૅથ્સમાં એ મહત્ત્વપૂર્ણ છે કે વિદ્યાર્થી ગણિતને મહત્ત્વપૂર્ણ અને સરળ સમજે.

ડૉક્ટર લિંડોર્ફ કહે છે, “એમાં એવો વિચાર છે કે દરેક વ્યક્તિ ગણિતનો અભ્યાસ કરવા સક્ષમ છે.”

તેઓ કહે છે, “કેટલાક તેજસ્વી હોઈ શકે છે, કેટલાક પોતાની સમજણમાં ઊંડા ઊતરી શકે છે...આપણે ઘણીવાર વિચારીએ છીએ કે કેટલાક લોકોને ગણિત આવડે છે અને કેટલાકને નહીં. આ એ નથી જેના પર હું ઇમાનદારીથી વિશ્વાસ કરું છું અને આ કંઈક એવું પણ નથી જે સિંગાપોર ગણિતનો આધાર બનતું હોય.”

શું સિંગાપોર મૅથ્સ બીજે ક્યાંય અસરકારક થયું છે?

સિંગાપોર ગણિત પદ્ધતિ અમેરિકા, કૅનેડા, ઇઝરાયલ, બ્રિટન સહિત ઘણા અન્ય દેશોમાં પણ લાંબા સમયથી જ વપરાશમાં છે.

પરંતુ ડૉ. લિંડોર્ફનું માનવું છે કે સિંગાપોર ગણિત પદ્ધતિની સફળતાનો સિંગાપોરની શૈક્ષણિક સંસ્કૃતિ, સંદર્ભ અને ઇતિહાસ સાથે ઊંડો સંબંધ છે.

તેઓ કહે છે, "મને નથી લાગતું કે તમે આ પદ્ધતિ અપનાવીને તેને અન્ય દેશોમાં લાગુ કરી શકો છો."

તેમણે કહ્યું, "સિંગાપોરનો એક રસપ્રદ અને અનોખો ઇતિહાસ છે. આ એક ખૂબ નાનો વિસ્તાર છે. સિંગાપોરમાં શૈક્ષણિક પરિવર્તન વિશે વિચારવું અમેરિકા અને બ્રિટનમાં શૈક્ષણિક બદલાવ લાવવા બાબતે વિચારવા કરતાં અલગ છે."

તેઓ એમ પણ કહે છે કે, સિંગાપોરમાં શિક્ષકો પાસે અન્ય દેશોની તુલનામાં કારકિર્દીની વધુ સારી સંભાવનાઓ છે. ગણિતનાં શિક્ષણ પ્રત્યે સિંગાપોરના બાળકોનો અભિગમ પણ સિંગાપોર મૅથ્સની સફળતાને નિશ્ચિત કરનારું કારક છે.

તેઓ સવાલ કરે છે કે, "લોકો શું એવું વિચારે છે કે ગણિત શીખવાનો ફાયદો શું છે અને તેનો લાભ શું છે?"

બીબીસી
બીબીસી