પેટ પર જામેલી ચરબી કેટલી ખતરનાક છે, તેને ઘટાડવાના 5 ઉપાય કયા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુમિરનપ્રીતકૌર
- પદ, બીબીસી સંવાદદાતા
ઘણા લોકો પેટ પર જામેલી ચરબીથી પરેશાન હોય છે અને તેને ઘટાડવા માટે જિમમાં જાય છે. જ્યારે કેટલાક લોકો તેના પર બહુ ધ્યાન નથી આપતા.
આ વધારાની ચરબીને સામાન્ય બોલચાલની ભાષામાં બૅલી ફૅટ, ટમી ફૅટ અથવા બિયર બૅલી પણ કહેવામાં આવે છે. પોતાની ફિટનેસ અંગે સજાગ યુવાનો આના વિશે ખાસ ચિંતિત હોય છે.
પેટની આસપાસ ચરબી વધી જાય ત્યારે ઘણી વખત લોકો પોતાની પસંદગીનાં કપડાં પહેરી શકતાં નથી.
જોકે, તેની અસર માત્ર મનપસંદ કપડાં પહેરવા પૂરતી મર્યાદિત નથી. પેટની ચરબી તમારી તંદુરસ્તી માટે પણ ઘણી રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
પેટની ચરબીના કારણે આરોગ્યને લગતી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઈ શકે છે, જેમ કે હાઈ બ્લડપ્રેશર, હાઈ શુગર લેવલ અને કોલેસ્ટ્રૉલની સમસ્યા થઈ શકે છે.

પેટ પર વધારે પડતી ચરબી જામી હોય તો ડાયાબિટીસ અને હૃદયની બીમારી થવાનો ખતરો રહે છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચ મુજબ બૅલી ફૅટથી એક પ્રકારના પ્રોટીન એટલે કે સાઇટોકાઇનનું ઉત્પાદન વધી જાય છે, જે શરીરમાં ઇનફ્લેમેશન એટલે કે સોજો પેદા કરી શકે છે.
આ બૅલી ફૅટના કારણે બીજા એક પ્રોટીન ઍન્જિયોટેન્સિનનું ઉત્પાદન વધે છે, જેનાથી રક્તવાહિનીઓ સંકોચાવા લાગે છે અને બ્લડપ્રેશર વધી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનાથી ડિમેન્શિયા, અસ્થમા અને કેટલાંક પ્રકારનાં કૅન્સરનો ખતરો વધી જાય છે.

દિલ્હીની ફૉર્ટિસ ઍસ્કૉર્ટ્સ હૉસ્પિટલના વરિષ્ઠ હૃદયરોગના નિષ્ણાત ડૉ. શિવકુમાર ચૌધરીનું કહેવું છે કે શરીરના બીજા ભાગોમાં જામેલી ચરબીની તુલનામાં પેટની આસપાસ જામેલી ચરબી ઘણી વધારે ખતરનાક હોય છે.
ડૉ. ચૌધરી જણાવે છે કે પેટની ચરબીની કોશિકાઓ જ્યારે તૂટે છે અથવા નષ્ટ થાય છે, ત્યારે તેમાંથી અનેક પ્રકારનાં ઝેરી તત્ત્વો નીકળે છે. આ તત્ત્વો હૃદયની ધમનીઓમાં સોજો વધારે છે, જેના કારણે હૃદય રોગનું જોખમ વધી જાય છે. સાથે સાથે શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ વધે છે. તેનાથી ડાયાબિટીસ થવાના ખતરામાં વધારો થાય છે."
નિષ્ણાતોના મતે, પેટની ચરબી વધવા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે આનુવંશિક વલણ, હૉર્મોનના ફેરફારો, ઉંમર, વધારાનું વજન અને મેનોપૉઝ.
આ ઉપરાંત, અસંતુલિત જીવનશૈલી, અનિયમિત દિનચર્યા અને અસંતુલિત ભોજન પણ આનું કારણ હોઈ શકે છે.
આરોગ્યના નિષ્ણાતો સલાહ આપે છે કે સંતુલિત આહાર, નિયમિત કસરત અને સ્વસ્થ ટેવો અપનાવીને પેટની ચરબીને સમયસર નિયંત્રિત કરી શકાય છે.
પેટની ચરબીને ઘટાડવા માટે બીજી કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

તમારો ઊંઘવાનો જે સમય હોય તેનાથી લગભગ બે કે ત્રણ કલાક અગાઉ કંઈ ન ખાવ. તમે દિવસે ખાવ ત્યારે તમારું શરીર રોજના કામ માટે કૅલરીનો ઉપયોગ કરે છે અને તેમાંથી ઍનર્જી મેળવે છે.
પરંતુ રાતે ખાવાનું ખાધા પછી આ કૅલરીનો ઉપયોગ નથી થઈ શકતો.
તેથી તે ફૅટ તરીકે જમા થઈ જાય છે અને વજન વધવા લાગે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે તમે ભોજનમાં ફાઇબર વધારે લેશો તો લાંબા સમય સુધી તમને ભૂખ નહીં લાગે.
ફાઇબર તમારા ભોજનની સાથે પેટમાં રહે છે. તે પેટથી આંતરડાં સુધી પહોંચવાની ભોજનની ગતિને ઘટાડે છે.
એટલે કે તમને લાંબા સમય સુધી લાગશે કે તમારું પેટ ભરેલું છે.
ભોજનમાં પ્રોટીનનો સમાવેશ કરો, તેના કારણે લાંબા સમય સુધી તમારું પેટ ભરાયેલું લાગશે અને વારંવાર કંઈક ખાવાનું મન નહીં થાય.
સાથે સાથે ભૂખ વધારતા હૉર્મોન ઘ્રેલિનનું સ્તર પણ ઘટાડે છે અને ખાવાની ઇચ્છાને નિયંત્રિત કરે છે.
પ્રોટીન શરીરમાં માંસપેશીઓને મજબૂત બનાવે છે અને મૅટાબૉલિઝમને પણ તેજ બનાવે છે, જેથી કૅલરી બાળવાની ક્ષમતા વધી જાય છે.
ઈંડાં, દાળ, દૂઘ, પનીર, દહીં, માછલી, ચિકન અને સોયા જેવાં પ્રોટીનથી ભરપૂર ખાદ્ય પદાર્થોને રોજિંદા આહારમાં સામેલ કરો.


ઇમેજ સ્રોત, Getty Images
સફેદ બ્રેડ, ચિપ્સ અને ક્રૅકર્સ જેવી વસ્તુઓમાં લગભગ કોઈ ફાઇબર હોતું નથી, જેના કારણે તે ઝડપથી પચી જાય છે અને તમારા બ્લડ શુગરનું સ્તર અચાનક વધારી શકે છે.
બ્લડ શુગરમાં આ ઝડપી વધઘટ માત્ર ભૂખ જ નહીં, પણ વજનમાં વધારો અને ટાઇપ-2 ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ પણ વધારે છે.
તેથી તેની જગ્યાએ આખા અનાજની બ્રેડ, શેકેલા નાસ્તા, ફળો અને બદામ જેવા સ્વસ્થ વિકલ્પો અપનાવવા વધુ યોગ્ય છે.
ખાંડ અને કૅલરી વધારે હોય તેવો ખોરાક ટાળો. શરાબનું સેવન મર્યાદિત કરો અને ધૂમ્રપાન બંધ કરો.

તમે પૂરતી ઊંઘ નહીં લો તો તેનાથી ભૂખ વધારતા હૉર્મોનને અસર થાય છે. તેથી સતત ખાવાનું મન થાય છે.
લૉસ એન્જલસ સ્થિત કૅલિફોર્નિયા યુનિવર્સિટીના નિષ્ણાતો મુજબ પેટમાં બનતો એક હૉર્મોન ઘ્રેલિન ભૂખ વધારે છે અને ઊંઘ ઓછી હોય ત્યારે તેનું સ્તર વધે છે.
એક્સ્પર્ટનું કહેવું છે કે તણાવ ન લો અને સ્ટ્રેસ મૅનેજ કરો. તણાવથી લોહીમાં સ્ટ્રેસ હૉર્મોન કોર્ટિસોલ રિલીઝ થાય છે.
તેની સાથે સાથે આપણે સ્ટ્રેસ અનુભવીએ ત્યારે ભોજન પર ધ્યાન નથી આપતા અને પોતાનું ધ્યાન બીજે વાળવા માટે ગમે તે ખાઈ લઈએ છીંએ.

શારીરિક વ્યાયામ અને સક્રિય રહેવાથી કૅલરી ખર્ચ થાય છે, તેનાથી પેટ પરની ચરબી ઘટાડવામાં મદદ મળે છે.
નિયમિત રીતે ઝડપથી ચાલવું, દોડવું, સાઇકલ ચલાવવી, તરવું અથવા યોગ કરવાથી પેટની ચરબી ઘટે છે, એટલું જ નહી, મૅટાબૉલિઝમ પણ સુધરે છે.
કસરતથી માંસપેશીઓ મજબૂત બને છે. તે હૃદયને તંદુરસ્ત રાખે છે. પેટની આસપાસ જામેલી ચરબી ઘટવાથી ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને હૃદયની બીમારીઓનો ખતરો પણ ઘટે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












