ગુજરાત ચૂંટણી : ભાજપના બળવાખોર નેતાઓ પક્ષને કેટલું નુકસાન પહોંચાડી શકશે?

ઇમેજ સ્રોત, @DhavalsinhZala_
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં આ સમયે ભાજપમાં અસંતોષ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. પહેલી વાર એવું બન્યું છે કે ભાજપમાંથી અપક્ષ તરીકે ઝંપલાવનારા 19 બળવાખોરોને પક્ષે સસ્પેન્ડ કર્યા છે.
તાજેતરમાં જ ભાજપે અખબારી યાદી પ્રકાશિત કરીને ભાજપ સામે બળવો કરીને અપક્ષ તરીકે ઊભા રહેલા 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.
આ પહેલા ભાજપે સાત નેતાઓને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનાં કારણો ધરીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા.
અહીં મહત્ત્વનો સવાલ એ છે કે આ 19 બળવાખોરો ભાજપને કેટલું નુકસાન પહોંચાડી શકે છે?
આ પ્રશ્નના જવાબમાં ભાજપ કહે છે કે પાર્ટીમાં કર્તવ્ય મહત્ત્વનું છે, દાયિત્વ નહીં.
ભાજપનું એમ પણ કહેવું છે કે બળવાખોરોને કારણે ચૂંટણીમાં તેમને કોઈ નુકસાન નહીં થાય.
જોકે જાણકારો કહે છે કે આ બળવાખોરો ભાજપના વોટ તોડીને એકંદરે નુકસાન તો પહોંચાડી શકે છે.

કોણ બળવાખોર બન્યા?

ઇમેજ સ્રોત, Harshad VAsava facebook
જે સસ્પેન્ડ કરાયા છે તે નેતાઓની યાદી આ પ્રમાણે છે:
- વડોદરા જિલ્લાના પાદરામાંથી અપક્ષ ઉમેદવારી કરનારા દિનુભાઈ પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા છે.
- વડોદરા જિલ્લાના વાઘોડિયામાંથી અપક્ષ ઉમેદવારી કરનારા મધુ શ્રીવાસ્તવને ભાજપે સસ્પેન્ડ કર્યા છે.
- વડોદરા જિલ્લાના સાવલીમાંથી કુલદીપસિંહ રાઉલને અપક્ષ ઉમેદવારી કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે.
- પંચમહાલ જિલ્લાના શહેરામાંથી ખતુભાઈ પગીને પણ અપક્ષ ઉમેદવારી કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે.
- મહિસાગરના લુણાવાડામાં એસ. એમ. ખાંડને અપક્ષ ઉમેદવારી કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે.
- લુણાવાડામાંથી જ જે. પી. પટેલને અપક્ષ ઉમેદવારી કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે.
- આણંદ જિલ્લાના ઉમરેઠમાંથી રમેશ ઝાલાને અપક્ષ ઉમેદવારી કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે.
- ખંભાતમાંથી અપક્ષ ઉમેદવારી કરનારા અમરશીભાઈ ઝાલાને પણ ભાજપે સસ્પેન્ડ કર્યા છે.
- અરવલ્લીના બાયડમાંથી અપક્ષ ઉમેદવારી કરનારા ધવલસિંહ ઝાલાને ભાજપે સસ્પેન્ડ કર્યા છે.
- મહેસાણાના ખેરાલુમાંથી રામસિંહ શંકરજી ઠાકોરને સસ્પેન્ડ કર્યા છે.
- ધાનેરામાંથી અપક્ષ ઉમેદવારી કરનારા માવજી દેસાઈને પણ ભાજપે સસ્પેન્ડ કર્યા છે.
- બનાસકાંઠાના ડીસામાં બેલજી ઠાકોરને પણ ભાજપે સસ્પેન્ડ કર્યા છે.
- નાંદોદથી હર્ષદ વસાવાને અપક્ષ ઉમેદવારી કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે.
- જૂનાગઢના કેશોદથી અરવિંદ લાડાણીને સસ્પેન્ડ કર્યા છે.
- સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાંથી છત્રસિંહ ગુંઝારિયાને પણ સસ્પેન્ડ કર્યા છે.
- વલસાડના પારડીથી અપક્ષ ઉમેદવારી કરનારા કેતન પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
- રાજકોટ ગ્રામ્યથી અપક્ષ ઉમેદવારી કરનારા ભરત ચાવડાને પણ સસ્પેન્ડ કર્યા છે.
- વેરાવળથી ઉદયભાઈ શાહને પણ સસ્પેન્ડ કરાયા છે.
- અમરેલીના રાજુલામાંથી ટિકિટ માગી રહેલા કરણ બારૈયાને પણ સસ્પેન્ડ કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ભાજપે 42 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી

ઇમેજ સ્રોત, Madhubhai Shrivastava fb
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાજપે આ વખતે 42 જેટલા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. જે પૈકી કેટલાક તો કૉંગ્રેસમાં ધારાસભ્ય પણ હતા અને ભાજપમાં આવ્યા છતાં તેમની ટિકિટ કપાઈ છે.
કેટલાક નેતાઓમાં ગુસ્સો અને અસંતોષનો લાવા એટલો હતો કે ટિકિટ ફાળવણીનો વિરોધ ગાંધીનગરના ભાજપના મુખ્યાલય કમલમ્ સુધી પહોંચ્યો હતો.
કાર્યકર્તાઓના રોષને જોતા પહેલી વાર એવું બન્યું કે કમલમના દરવાજા બંધ કરી દેવાયા હતા.
જાણકારોનું કહેવું છે કે આ પ્રકારે વિરોધ, વિખવાદ, રોષ અને વિવાદ કૉંગ્રેસમાં થતો હતો પરંતુ આ વખતે કૉંગ્રેસમાં આવું ઓછું છે જ્યારે ભાજપમાં વધારે.
રાજકીય વિશ્લેષક દિલીપ પટેલ કહે છે કે, “182માંથી 70 બેઠકો પર વિવાદ છે. જે પૈકી 42 બેઠકો પર જાહેરમાં વિખવાદ અને વિરોધ થયો છે. 22 બેઠકો એવી છે જ્યાં ભાજપને અસર થઈ શકે છે. 19 બળવાખોરોએ અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે જે ભાજપને મતોનું નુકસાન કરાવી શકે છે.”
પણ શું ભાજપને આ 19 બળવાખોરો કેટલું નુકસાન પહોંચાડી શકે તેવા પ્રશ્નના જવાબમાં રાજકીય વિશ્લેષક દિલીપ પટેલ કહે છે કે ભાજપના આ બળવાખોરો 5થી 6 બેઠક પર પરિણામ બદલી શકવાની અસર ધરાવે છે. જોકે ભાજપ કહે છે કે તેની કોઈ અસર નહીં પડે.
ભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા કિશોરભાઈ મકવાણા બીબીસી સાથે વાત કરતા કહે છે, “ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે. જો વિરોધ હોય તો મર્યાદામાં રજૂ કરવો જોઈએ. પણ જ્યારે આવા જૂજ અપવાદો હોય ત્યારે પાર્ટીએ તેમની સામે કાર્યવાહી કરવી પડે છે.

બળવાખોરો કહે છે કે...
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી ગુજરાતીએ આ 19 બળવાખોરો પૈકીના એક ધવલસિંહ ઝાલા સાથે વાત કરી. ધવલસિંહ ઝાલા અલ્પેશ ઠાકોર સાથે કૉંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. તેઓ પેટાચૂંટણીમાં હારી ગયા હતા. હવે તેમને ભાજપે ટિકિટ આપી નથી તેથી તેઓ ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.
ધવલસિંહ ઝાલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “બાયડથી કૉંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા લડે છે, તેની સામે ભાજપે ભીખીબહેન પરમારને કેમ ટિકિટ આપી તે સમજાતું નથી. છેલ્લે સુધી મારું નામ આગળ હતું અને ભાજપે કેમ મારી ટિકિટ કાપી તે ખબર નથી.”
ધવલસિંહને તેમના સસ્પેન્સન વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે તેમને કોઈ અફસોસ નથી. તેમના લડવાને કારણે કોને ફાયદો અને કોને નુકસાન જશે તે સમય બતાવશે. હું માત્ર મારા સમર્થકોના આગ્રહને કારણે લડું છું.”

ઇમેજ સ્રોત, Arvind Ladani facebook
જોકે ભાજપ આ વિશે બોલવાનું ટાળે છે. ભાજપના સહ-પ્રવક્તા કિશોર મકવાણા કહે છે કે, “અમે ભાજપમાં આવેલા ઘણા પૂર્વ કૉંગ્રેસી નેતાઓને ટિકિટ આપી છે. પણ ટિકિટ ન આપી હોય તેવા જૂજ અપવાદ છે.”
જોકે કૉંગ્રેસ આને ભાજપની સત્તાની ટાંટિયાખેંચ ગણાવે છે. ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી કહે છે કે, “આ બળવો કોઈ સિદ્ધાંતને કારણે નથી. આ કરપ્શન અને કમિશનની ભાગીદારી અને સાઝેદારીમાં વિખવાદ થયો છે તેનો છે.”
તો આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આ વખતે ભાજપમાં બળવો ચરમસીમાએ છે. આપના નેતા મનોજ સોરઠિયા કહે છે કે, “ભાજપ ટિકિટોનો વેપાર કરે છે. સંનિષ્ઠ કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવતી નથી અને જો તેઓ પ્રતિનિધિત્વ કરવા આગળ આવે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે.”
જોકે ભાજપ આ પ્રકારના તમામ આરોપો ફગાવે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પહેલા જ કહી ચૂક્યા છે કે 182 બેઠકો માટે કુલ 4100 કરતા વધુ દાવેદારી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે પણ 9 હજાર બેઠકો માટે બે લાખ કરતા વધુ લોકોએ દાવેદારી કરી હતી. એટલે બધાને ટિકિટ આપવી શક્ય નથી.
પાટીલે વધુમાં કહ્યું હતું કે જેમણે અપક્ષ ઉમેદવારી કરી છે તેમને સમજાવીશું અને ન માને તો તેમની સામે કાર્યવાહી કરીશું. ભાજપનો દાવો છે કે અમે આ બળવાખોરોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ ન માન્યા એટલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જોકે ધવલસિંહ ઝાલા કહે છે કે, “જ્યારે તેમણે અપક્ષ ઉમેદવારી કરી ત્યારે ઉમેદવારીપત્રક પરત ખેંચવાના છેલ્લા દિવસે એક કલાક બાકી હતો ત્યારે ભાજપ તરફથી ફોન આવ્યો હતો કે તમે આવો આપણે વાતચીત કરી લઈએ. ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.”














