'તારક મહેતા' સિરિયલમાંથી એક પછી એક કલાકારો કેમ જઈ રહ્યા છે?

ઇમેજ સ્રોત, raj_anadkat
- લેેખક, મધુ પાલ
- પદ, બીબીસી માટે

- દિશા વાકાણી, ગુરચરણ સિંહ અને શૈલેશ લોઢા જેવા મોટા કલાકારો બાદ હવે તારક મહેતાના નિર્દેશક માલવ રાજડાએ પણ આ સિરિયલને અલવિદા કહી દીધું છે
- માલવ રાજડાનો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ સાથે 14 વર્ષનો સંબંધ છે
- આ સિરિયલ 2008માં શરૂ થઈ હતી અને માલવ રાજડા શરૂઆતથી જ તેની સાથે જોડાયેલા હતા
- દર્શકોના ફેવરિટ ટપ્પૂ એટલે કે ઍક્ટર રાજ અનડકટ પણ શો છોડી રહ્યા છે

સબ ટીવી પર પ્રસારિત થતી સિરિયલ ‘‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’’ દર્શકોની પ્રિય સિરિયલ પૈકીની એક છે. પરંતુ એક પછી એક કલાકારો સિરિયલને અલવિદા કહી રહ્યા છે, જેને લઈને પણ આ સિરિયલ થોડાં વર્ષોથી સમાચારમાં છે.
દિશા વાકાણી, ગુરચરણસિંહ અને શૈલેશ લોઢા જેવા મોટા કલાકારો બાદ હવે તારક મહેતાના ડિરેક્ટર માલવ રાજડાએ પણ આ સિરિયલ છોડી દીધી છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ સાથેનો તેમનો સંબંધ ઘણો જૂનો હતો.

કોણ છે માલવ રાજડા?

ઇમેજ સ્રોત, malavrajda/instagram
માલવ રાજડાનો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ સાથે 14 વર્ષનો સંબંધ છે.
આ સિરિયલ 2008માં શરૂ થઈ હતી અને માલવ રાજડા શરૂઆતથી જ તેની સાથે જોડાયેલા હતા. માલવ માટે આ સિરિયલ ઘણી વિશેષ હતી.
આ સિરિયલે તેમને ખૂબ જ ખ્યાતિ અને નામ અપાવ્યું એટલું જ નહીં, પરંતુ તેના દ્વારા તેમને પ્રેમ પણ મળ્યો હતો.
આ સિરિયલના શૂટિંગ દરમિયાન જ તેમની મુલાકાત અભિનેત્રી પ્રિયા આહુજા સાથે થઈ હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’માં પ્રિયા આહુજા રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવી રહ્યાં છે. તેઓ આ સિરિયલ દરમિયાન જ મળ્યાં હતાં અને ત્યાંથી તેમની લવસ્ટોરી શરૂ થઈ હતી.
બંનેએ 2011માં લગ્ન કર્યાં હતાં અને આજે તેમને એક પુત્ર છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’નું નિર્દેશન કરતા પહેલાં માલવ રાજડાએ ઝી ટીવીના શો ‘તીન બહુરાનિયાં’નું નિર્દેશન પણ કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ માટે તેમને શ્રેષ્ઠ દિગ્દર્શકનો ટેલિ જ્યૂરી ઍવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

શા માટે નિર્દેશકે સિરિયલ છોડી?

ઇમેજ સ્રોત, MANISH SHUKLA
માલવ રાજડા છેલ્લાં 14 વર્ષથી તેમના શો દ્વારા દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ અને માલવ રાજડાના પ્રોડક્શન હાઉસ વચ્ચે અણબનાવ હતો.
માલવ રાજડા શોના પ્રોડક્શન હાઉસથી નારાજ હતા પરંતુ બીબીસી સાથે વાત કરતા માલવે આ બધી વાતોને નકારી કાઢી.
તેમણે કહ્યું કે હા, મેં શો છોડી દીધો છે. શો છોડવાનું કારણ એ છે કે 14 વર્ષ સુધી શો સાથે જોડાયેલા રહ્યા પછી મને લાગ્યું કે હું મારા કમ્ફર્ટ ઝોનમાં આવી ગયો છું.
"સર્જનાત્મક રીતે વિકાસ કરવા માટે મેં શો છોડીને મારી જાતને પડકાર આપવાનું યોગ્ય માન્યું છે. 14 વર્ષ મારા જીવનનાં સૌથી સુંદર વર્ષો હતાં."

ટપ્પૂએ સિરિયલ છોડી

ઇમેજ સ્રોત, raj_anadkat
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના દરેક પાત્રે દર્શકોમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. દરેક પાત્ર લોકો સાથે જોડાયેલું હોવાની સાથે લોકો તે પાત્રના દરેક નાના-મોટા સમાચારની જાણકારી રાખવાનું પસંદ કરે છે.
આ સિરિયલના ચાહકો માટે સમયાંતરે શોને લઈને ઝટકાઓ લાગતા રહે છે.
નિર્દેશકે સિરિયલ છોડી તેના થોડા દિવસો પહેલાં તેમને પણ એ જાણીને ઝટકો લાગ્યો હતો કે દર્શકોના ફેવરિટ ટપ્પૂ એટલે કે ઍક્ટર રાજ અનડકટ પણ સિરિયલ રહ્યા છે.
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
રાજ અનડકટે સિરિયલ છોડવાની જાહેરાત ઈન્સ્ટાગ્રામ પર કરી છે.
તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું કે, હવે સમય આવી ગયો છે કે દરેક પ્રકારની અફવાઓ અને સવાલોનો અંત લાવવો.
પોસ્ટમાં તેમણે જણાવ્યું કે નીલા ફિલ્મ્સ અને તારક મહેતા સાથેનો તેમનો કરાર સત્તાવાર રીતે ખતમ થઈ ગયો છે.
રાજ અનડકટે પોસ્ટમાં આગળ લખ્યું કે, 'તેણે આ સિરિયલમાંથી ઘણું શીખ્યું છે, ઘણા મિત્રો પણ બનાવ્યા છે. તેણે સિરિયલ સાથે કામ કર્યું તે બધાં વર્ષો તેના માટે ખૂબ જ સારા રહ્યા હતા.’
પોસ્ટમાં તેમણે તે બધા લોકોનો પણ આભાર માન્યો જેમણે આ સમગ્ર સફરમાં તેમનો સાથ આપ્યો.
પોસ્ટના અંતે, રાજ અનડકટે લોકોને ટપ્પૂ તરીકે સ્વીકારવા બદલ અને નિર્માતાઓને સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

અગાઉ આ આઠ કલાકારો શો છોડી ગયાં

ઇમેજ સ્રોત, MANISH SHUKLA
દિશા વાકાણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના મુખ્ય પાત્રોમાંનાં એક હતાં. તેમની એન્ટ્રી અને બોલવાના લહેકાના દર્શકો ફેન હતા. તેમની (દયા) અને જેઠાલાલ વચ્ચેની કૅમેસ્ટ્રી જબરદસ્ત મનાતી હતી.
2017માં તેમણે સિરિયલમાં આવવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તેઓ 2017માં બાળકની માતા બન્યાં હતાં. તેઓ પ્રસૂતિની રજા પર ગયાં હતાં. પરંતુ તે પછી તે ક્યારેય સિરિયલમાં પાછાં ફર્યાં નહીં.
તો શૈલેશ લોઢાને સિરિયલનું હૃદય ગણવામાં આવતું હતું, કારણ કે તેઓ સિરિયલમાં તારક મહેતાનું સૌથી મહત્ત્વપૂર્ણ પાત્ર ભજવતા હતા. તેઓ તેમના પરમ મિત્ર જેઠાલાલના ફાયર બ્રિગેડ તરીકે પણ જાણીતા હતા.
સિરિયલમાંથી વિદાય બાદ નવા તારક મહેતા સચીન શ્રોફે સિરિયલમાં પ્રવેશ કર્યો હતો. અભિનેતા ભવ્ય ગાંધી, જે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’માં જેઠાલાલના પુત્ર ટપ્પૂનું બાળપણનું પાત્ર ભજવતા હતા. તેમના અને ટપ્પૂના મિત્ર સોનુની ભૂમિકા ભજવતા ઝીલ મહેતાના અચાનક સિરિયલમાંથી બહાર નીકળી જવાથી તેમના ચાહકો ઘણા નવાઈ પામ્યા હતા.

જૂનાં પાત્રોમાં નવા કલાકારોનો પ્રવેશ

ઇમેજ સ્રોત, NEHA MEHTA/INSTAGRAM
આ સિરિયલમાં તારક મહેતાનાં પત્નીની ભૂમિકા ભજવતાં નેહા મહેતાને બધાં અંજલિ મહેતા તરીકે ઓળખતાં હતાં. તેમણે 12 વર્ષ સુધી સિરિયલમાં કામ કર્યું અને હવે તેમણે પણ સિરિયલ છોડી દીધી છે.
આ સિરિયલમાં રોશનસિંહ સોઢીની ભૂમિકા ભજવતા અભિનેતા ગુરચરણસિંહે પણ સિરિયલને અલવિદા કહ્યું અને તેમની જગ્યાએ અભિનેતા બલવિંદરસિંહ સૂરીને લેવામાં આવ્યા છે.
તેમનાં પત્નીની ભૂમિકા નિભાવતાં અભિનેત્રી દિલખુશ પણ આ સિરિયલ સાથે જોડાયેલાં હતાં. તેઓ 2013માં અભિનેત્રી જેનિફર મિસ્ત્રીનાં સ્થાને આવ્યાં હતાં.
જેનિફરે 2013માં થોડો સમય વિરામ લીધો હતો અને 2016માં પાછાં ફર્યાં હતાં.
આ દરમિયાન અભિનેત્રી દિલખુશે કામ કર્યું હતું, બાદમાં તેમણે સિરિયલ છોડી દીધી હતી.

આજે પણ દર્શકો એમને ભૂલી શક્યા નથી

ઇમેજ સ્રોત, NEHA MEHTA/INSTAGRAM
ડૉ. હંસરાજ હાથીની ભૂમિકા ભજવનાર અભિનેતા કવિકુમાર આઝાદના મૃત્યુ પછી તેમના સ્થાને આવ્યા અભિનેતા નિર્મલ સોની.
દર્શકો આજે પણ અભિનેતા કવિકુમાર આઝાદને ભૂલી શક્યા નથી. જ્યારે સિરિયલમાં અભિનેતા ઘનશ્યામ નાયકના મૃત્યુ પછી નટ્ટુ કાકાનું પાત્ર કિરણ ભટ્ટે ભજવ્યું હતું, પરંતુ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના ચાહકોને હજુ પણ તેમની ગેરહાજરી સાલે છે.
ઘણા અભિનેતાઓએ સિરિયલ છોડવાને કારણે સિરિયલમાં ઘણા બદલાવ આવી રહ્યા છે. નિર્દેશકના ગયા પછી સિરિયલ કઈ તરફ નવો વળાંક લે છે તે જોવું રહ્યું.

















