અભિનેત્રી ભૂમિ પેડનેકરને સ્કિનની કઈ બીમારી છે, જાણો આ બીમારી વિશે, શું છે તેનો ઇલાજ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અવતારસિંહ
- પદ, બીબીસી ન્યૂઝ
તાજેતરમાં બોલિવૂડનાં અભિનેત્રી ભૂમિ પેડનેકરે પોતાને એક્ઝિમા એટલે કે ખરજવાની બીમારી હોવાની વાત કરી હતી. તેમણે તેનાથી થતી સમસ્યાઓ વિશે પણ જણાવ્યું હતું.
ભૂમિ પેડનેકરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું કે તેમને એક્ઝિમાની સમસ્યા છે, જે ખૂબ જ પીડાદાયક છે. ગુજરાતીમાં એક્ઝિમાને ખરજવા તરીકે ઓળખવામાં આવે છે.
તેમણે લખ્યું હતું કે, "જ્યારે પણ હું ટ્રાવેલ કરું છું,ખાવા-પીવાની સમસ્યા હોય કે તણાવમાં હોઉં, ત્યારે મારી એક્ઝિમાની સમસ્યા વધી જતી હોય છે."
તેમણે લખ્યું હતું કે, "આનાથી ઘણી હેરાનગતિનો સામનો કરવો પડે છે, તેમાં પીડા થાય છે, અસુવિધા થાય છે. આ વિષય પર હું ટૂંક સમયમાં વધુ વાત કરીશ."
એક્ઝિમા શું છે? તેનાં લક્ષણો શું છે? તેની સારવાર કેવી રીતે કરી શકાય? ચાલો સમજીએ.

યુકેની નૅશનલ હેલ્થ સર્વિસ (NHS) અનુસાર, એક્ઝિમા એ સ્કિનની એક સ્થિતિ છે જે શુષ્ક અને ખંજવાળવાળી સ્કિનનું કારણ બને છે.
સ્કિન નિષ્ણાત ડૉ. અંજુ સિંગલા કહે છે કે એક્ઝિમાના ઘણા પ્રકારો હોય છે. તે વારસાગત હોય શકે અથવા વિટામિનની ઉણપને કારણે પણ થઈ શકે છે.
પટિયાલા જિલ્લાના પૂર્વ સિવિલ સર્જન અને ત્વચારોગ નિષ્ણાત ડૉ. હરીશ મલ્હોત્રા કહે છે કે એક્ઝિમામાં સ્કિન શુષ્ક થઈ શકે છે અને લોહી પણ નીકળી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે તે જેનેટિક કારણો અથવા શરીરમાં કોઈ ચોક્કસ ઉણપને કારણે પણ થઈ શકે છે. કપડાં, ચપ્પલ કે અન્ય વસ્તુઓના સંપર્કથી પણ એક્ઝિમા થવાની સંભાવના રહેલી છે.
ખરજવાના કેટલા પ્રકાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુકેના એનએચએસ મુજબ એક્ઝિમાના ઘણા પ્રકારો હોય છે, જેમ કે એટોપિક એક્ઝિમા, વેરિકોઝ એક્ઝિમા, ડિસ્કોઇડ એક્ઝિમા અને કોન્ટેક્ટ એક્ઝિમા.
એટોપિક એક્ઝિમા: એટોપિક એક્ઝિમા (એટોપિક ડર્મટાઇટિસ) એ સ્કિનની કૉમન સમસ્યા છે જે ખંજવાળ, શુષ્કતા અને સ્કિન ફાટવાનું કારણ બને છે. તે કોઈપણ ઉંમરના લોકોને થઈ શકે છે, પરંતુ નાનાં બાળકોમાં સૌથી સામાન્ય છે. તેની સંપૂર્ણ સારવાર શક્ય નથી, પરંતુ તેનાં લક્ષણોને દવા દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
વેરિકોઝ એક્ઝિમા: વેરિકોઝ એક્ઝિમા, જેને ગ્રેવિટેશનલ અથવા સ્ટેસીસ એક્ઝિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મોટાભાગે પગના નીચલા ભાગમાં થાય છે અને લાંબા સમય સુધી રહે છે.
તેના કારણે સ્કિનમાં શુષ્કપણું, ફોલ્લીઓ, સોજો અને ખંજવાળ આવે છે. તેનાથી સ્કિનનો રંગ પણ બદલાઈ શકે છે.
વેરિકોઝ વેન્સ ધરાવતા લોકોમાં આ સમસ્યા સામાન્ય છે. વેરિકોઝ વેન્સ એ વધારાની, વળી ગયેલી નસો છે જે સામાન્ય રીતે વાદળી અથવા જાંબલી રંગની હોય છે તે ઘણીવાર પગ પર દેખાય પણ છે.
ડિસ્કોઇડ એક્ઝિમા: ડિસ્કોઇડ એક્ઝિમામાં સ્કિન પર ગોળ કે અંડાકાર આકારની ફોલ્લીઓ, સોજો અને ખંજવાળ થતી હોય છે. આ સ્કિનની સમસ્યા લાંબા સમય સુધી રહેતી હોય છે.
કોન્ટેક્ટ એક્ઝિમા: કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ એ કોઈ વસ્તુ સંપર્કથી થાય છે, તે ખંજવાળ, શુષ્કતા, ફોલ્લા અને સ્કિનમાં તિરાડોનું કારણ બને છે.
ખરજવાનાં શું છે લક્ષણો?

ઇમેજ સ્રોત, Getty Images
એનએચએસ મુજબ, એક્ઝિમાનાં લક્ષણો કોઈપણ ઉંમરે શરૂ થઈ શકે છે, પરંતુ તે સામાન્ય રીતે શિશુઓ અને નાનાં બાળકોમાં જોવા મળે છે અને ઉંમર સાથે તે જતાં રહે છે.
આ બીમારીમાં સામાન્ય રીતે એવી પરિસ્થિતિઓ પણ આવી શકે જ્યારે હાલત વધુ ખરાબ થતી હોય છે (જેને ફ્લેયર-અપ્સ કહેવાય છે) અને એવી પરિસ્થિતિઓ પણ હોય છે જેમાં હાલત તે સુધરે છે.
તેના લક્ષણોમાં ખંજવાળ, શુષ્કતા, સ્કિનમાં તિરાડ પડવી, સ્કિન પર પોપડાનું નિર્માણ, સ્કિન લાલ, સફેદ, જાંબલી અથવા ભૂરા રંગની થઈ જવી જેવાં લક્ષણો સામેલ છે.
આ સાથે, એક્ઝિમાનાં લક્ષણોમાં ફોલ્લા અથવા રક્તસ્ત્રાવ પણ જોવા મળે છે.
ખરજવાનો ઇલાજ કઈ રીતે થાય?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. અંજુ સિંગલા કહે છે કે એક્ઝિમાની સારવાર તેના પ્રકાર પર આધાર રાખે છે.
ડૉ. સિંગલાના મતે, "દર્દીને તેની જરૂરિયાત અનુસાર સ્ટીરોઇડ આપવામાં આવે છે, પરંતુ તેની સાથે સતત મોઇશ્ચરાઈઝેશન પણ કરવામાં આવે છે, જે સારવારનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. જો શરીરમાં કોઈ ઉણપ જોવા મળે, તો તેને પૂર્ણ કરવી જરૂરી છે."
ડૉ. હરીશ મલ્હોત્રા કહે છે કે એક્ઝિમાનો વ્યાપ ખૂબ જ વિશાળ છે.
ડૉ. મલ્હોત્રાના મતે, "એકવાર આ રોગ થઈ જાય, પછી તેની સારવાર કરાવવી ખૂબ જરૂરી છે. તેમજ તેનું મૂળ કારણ શોધી તેના પર યોગ્ય ધ્યાન આપવાથી તેનાથી બચી શકાય છે. આ ઉપરાંત એ જાણવું પડે કે દર્દીને આ રોગ સાથે બીજી કોઈ ગંભીર બીમારી છે કે નહીં."
ભૂમિ પેડનેકરની ફિલ્મી સફર

ઇમેજ સ્રોત, Getty Images
ભૂમિ પેડનેકરે પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત 2015ની ફિલ્મ "દમ લગા કે હઇશા"માં આયુષ્માન ખુરાના સાથે કરી હતી. તેણે આ ફિલ્મ માટે વજન પણ વધાર્યું હતું.
આ ઉપરાંત તેઓએ "ટોઇલેટ: એક પ્રેમ કથા," "શુભ મંગલ સાવધાન," "લસ્ટ સ્ટોરીઝ," "સોનચિરીયા," "સાંડ કી આંખ," "ભીડ" અને "ભક્ષક" સહિત ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તાજેતરમાં તેઓ નેટફ્લિક્સની "ધ રૉયલ્સ"માં જોવા મળ્યાં હતાં.
ભૂમિ પેડનેકરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેમની ફિલ્મો સામાજિક મુદ્દા, નૈતિક પત્રકારત્વ અને જાતીય હિંસા તરફ ધ્યાન ખેંચે છે.
આ જ ઇન્ટરવ્યૂમાં તેમણે અત્યાર સુધીની પોતાની કારકિર્દી વિશે પણ કહ્યું હતું. તેમણે જણાવ્યું કે, "હું છેલ્લાં 10 વર્ષ માટે ખૂબ આભારી છું. હું દરરોજ સવારે એવી લાગણી સાથે જાગું છું કે હું ફિલ્મ સેટ પર જઈ રહી છું અને આ લાગણી મારા માટે બધું જ છે. આ તો ફક્ત શરૂઆત છે, હું મારા છેલ્લા શ્વાસ સુધી કામ કરવા માંગુ છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












