મનરેગાના સ્થાને મોદી સરકારની 'વિકસિત ભારત - જી રામ જી' સ્કીમ શું છે અને કેટલી જુદી છે?

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકારે 20 વર્ષથી ચાલતા આવતા મનરેગા કાયદા (મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરંટી ઍક્ટ) ના સ્થાને એક નવું બિલ રજૂ કર્યું છે.
આ ખરડાને 'વિકસિત ભારત ગૅરંટી ફૉર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' એટલે કે 'વીબી - જી રામ જી'નામ અપાયું છે.
કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે વર્ષ 2005માં મનરેગા કાયદો લાવ્યો હતો, જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના પરિવારોને વાર્ષિક 100 દિવસના રોજગારની ગૅરંટી અપાઈ હતી.
નવા ખરડામાં આ સંખ્યા વધારીને વાર્ષિક 125 દિવસની કરી દેવાનો પ્રસ્તાવ છે.
વિપક્ષનો આરોપ છે કે આ યોજનામાં કેન્દ્ર સરકારને રાજ્યોની સરખામણીએ 'વધુ અધિકાર' છે, જ્યારે રાજ્ય સરકારોએ અગાઉની સરખામણીએ 'વધુ પૈસા' ખર્ચ કરવા પડશે.
સાથે જ વિપક્ષનો આરોપ છે કે મનરેગા જેવા કાયદા જેમાં મહાત્મા ગાંધીનું નામ પણ સામેલ છે, તેને હઠાવીને, સરકારે મહાત્મા ગાંધીનું 'અપમાન' કરી રહી છે.
પરંતુ સરકારનો દાવો છે કે પ્રસ્તાવિત યોજના મનરેગા કરતાં સારી છે અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને રોજગારની સારી તકો પૂરી પાડશે.
'વીબી- જી રામ જી' બિલ શું છે અને મનરેગાથી કેવી રીતે અલગ છે?

ઇમેજ સ્રોત, ANI
જો આ ખરડો પસાર થઈને કાયદો બની ગયો તો એ બે દાયકા પુરાણી મનરેગા યોજનાનું સ્થાન લેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યોજનામાં એવા ગ્રામીણ પરિવારો માટે પ્રતિ વર્ષ 125 દિવસ રોજગાર સુનિશ્ચિત કરવાની જોગવાઈ કરાઈ છે, જેમના પુખ્ત સભ્યો સ્વેચ્છાએ અકુશળ શારીરિક શ્રમ માટે રસ દાખવે છે.
મનરેગામાં આ હેતુ માટે પ્રતિ વર્ષ 100 દિવસની રોજગારની ગૅરંટી અપાય છે.
સરકારનો દાવો છે કે આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં જળ સુરક્ષાની ગૅરંટી અપાશે અને લોકોને આની સાથે સંકળાયેલાં કામો અંતર્ગત રોજગારી પૂરી પડાશે.
જેથી આવા વિસ્તારોમાં પાણી અને સિંચાઈ માટે બહેતર સંસાધન પૂરાં પાડી શકાશે.

સાથે જ ગામલોકોને આજીવિકા સાથે સંકળાયેલાં માળખાગત કામો જેમ કે, રોડ, પાણી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેને વધુ મહત્ત્વ અપાશે.
સરકાર પ્રમાણે આનાથી ગ્રામીણ વિસ્તારોને બહેતર કનેક્ટિવિટી મળશે અને ગામના લોકો માટે બહેતર બજાર મળશે.
સરકારનો દાવો છે કે નવા ખરડાથી મજૂરોની સાથોસાથ ખેડૂતોનેય વધુ ફાયદો થશે.
સરકારનો એવો પણ દાવો છે કે નવા ખરડાથી વધુ પારદર્શિતા આવશે અને જવાબદારી વધશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારનો ભાગ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech/Dipam Bhachech/Getty Images
કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર ગ્રામીણ વિસ્તારોના લોકોનું જીવન 'બહેતર' બનાવવાના ઉદ્દેશ સાથે વર્ષ 2005માં મનરેગા કાયદો લાવી હતી. તેમાં દેશના તમામ જિલ્લા સામેલ છે.
મનરેગામાં એવી પણ જોગવાઈ છે કે મજૂરોને અપાતી મજૂરીનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે, તેમજ સામાન વગેરેનો ખર્ચ રાજ્ય સરકારો એક નિશ્ચિત પ્રમાણમાં ભોગવશે.
જ્યારે નવા ખરડાની જોગવાઈ પ્રમાણે કુલ ખર્ચનો 60 ટકા ભાગ કેન્દ્ર સરકાર ભોગવશે, જ્યારે 40 ટકા ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
પૂર્વોત્તર રાજ્યો, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્ર સરકાર આ અંતર્ગત થતા ખર્ચનો 90 ટકા ખર્ચો ઉઠાવશે.
આ યોજના અંતર્ગત અરજી કર્યાના 15 દિવસની અંદર જો કોઈ કામ ન મળે તો આવી સ્થિતિમાં દૈનિક બેરોજગરી ભથ્થું ચૂકવવામાં આવશે, જેનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ જોગવાઈ મનરેગામાં પણ છે.
સરકારના દાવા અને વિપક્ષના આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
શિવરાજસિંહે વિપક્ષનો એ આરોપ નકારી દીધો કે મનરેગા કાયદો ખતમ કરવાથી મહાત્મા ગાંધીનું 'અપમાન' થશે.
તેમણે કહ્યું, "આ બિલથી ગ્રામીણ વિસ્તારોના લોકોનું જીવન સુધરશે. તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મહાત્મા ગાંધી પણ ગામડાંનું ભલું ઇચ્છતા હતા. તો નવા બિલથી તેમનું અપમાન કેવી રીતે થશે."
શિવરાજસિંહે એવો પણ દાવો કર્યો, "આ યોજનાને લાવનાર યુપીએ કરતાં વધુ પૈસા તો અમે તેના પર ખર્ચ કરી ચૂક્યા છીએ. ગામડાંનો વિકાસ એ અમારો સંકલ્પ છે. અમે એ જ કામ કરી રહ્યા છીએ, જે મહાત્મા ગાંધી ઇચ્છતા હતા. જે દીનદયાલ ઉપાધ્યાયજીની અવધારણા હતી."
વિપક્ષનો આરોપ છે કે સરકાર 'બિલ્લીપગે' એવી યોજના લાવી રહી છે, જેનું 'સંપૂર્ણ નિયંત્રણ' કેન્દ્ર સરાકરના હાથમાં હશે. રાજ્ય સરકારોએ 'વધુ ખર્ચ' કરવો પડશે અને 'જશ કેન્દ્ર સરકારને મળશે.'

ઇમેજ સ્રોત, @INCINDIA/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લોકસભામાં કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું, "હું આ ખરડા સામે સખત વિરોધ નોંધાવું છું. અમે જ્યારે મનરેગા લાવેલા ત્યારે લગભગ બધા રાજકીય પક્ષોએ તેનું સમર્થન કર્યું હતું."
"નવા ખરડામાં કેન્દ્ર સરકારને જ બધા અધિકાર આપી દેવાયા છે અને એ કયા રાજ્યને કેટલું ફંડ મળે એ નક્કી કરશે. જ્યારે મનરેગામાં ફંડ નિર્ધારણમાં ગ્રામપંચાયતની ભૂમિકા પણ હતી."
પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું, "અગાઉની સરકારોની દરેક યોજનાનું નામ બદલવાની ધૂન સમજાતી નથી."
તેમણે આ ખરડાને સ્થાયી સમિતિ પાસે મોકલવાની માગ કરતાં કહ્યું, "ચર્ચા વગર અને ગૃહની સલાહ લીધા વિના આ ખરડો પસાર ન થવો જોઈએ. એ પાછો ખેંચાવો જોઈએ અને સરકારે નવો ખરડો લાવવો જોઈએ. આ ખરડાને ગહન તપાસ અને વ્યાપક ચર્ચા માટે ઓછામાં ઓછું સ્થાયી સમિતિ પાસે તો મોકલવો જ જોઈએ."
રાહુલ ગાંધીએ પણ સરકારને આ બિલ મામલે ઘેરી છે.
એક્સ પર પોસ્ટ કરીને તેમણે લખ્યું, "આ નવો ખરડો એ મહાત્મા ગાંધીના આદર્શોનું અપમાન છે - મોદી સરકારે પહેલાંથી જ ભયંકર બેરોજગારીથી ભારતના યુવાનોના ભવિષ્યને તબાહ કરી દીધા છે, અને હવે આ ખરડો ગ્રામીણ ગરીબોની સુરક્ષિત રોજીરોટીનેય ખતમ કરવાનું માધ્યમ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












