You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હોમ લૉન મોંઘી થવાની શક્યતાઓની વચ્ચે 2023માં કેવું રહેશે ભારતીય અર્થતંત્ર?
- લેેખક, અર્ચના શુક્લા
- પદ, બિઝનેસ સંવાદદાતા, બીબીસી ન્યૂઝ
- 2022માં પ્રગતિથી આશા બંધાવતા ભારત માટે વિકાસ દર જાળવી રાખવો વધુને વધુ મુશ્કેલ થઈ રહ્યો છે
- દેશના જીડીપીમાં 20 ટકાનું યોગદાન આપતી ભારતની નિકાસ નબળી સ્થિતિમાં જઈ રહી છે
- વર્તમાનમાં ભારત તેની આવક કરતાં વધુ ખર્ચ કરી રહ્યું છે
- 2023માં, વધતી કિંમતો અને ધીમા પડતા વિકાસદરને સંતુલિત કરવાના પડકારમાં વધારો થશે
- સામાન્ય ભારતીયો માટે હોમ લૉન અને પર્સનલ લૉન મોંઘી થશે અને સાથે કૉર્પોરેટ લૉનને પણ અસર થશે
- સરકાર અને આરબીઆઈ બંનેને આશા છે કે 2023માં ખાનગી ક્ષેત્રના રોકાણમાં તેજી આવશે અને તેનાથી વિકાસદર પણ વધશે
પશ્ચિમી દેશો ગંભીર મંદી તરફ જઈ રહ્યા છે, તો બીજી તરફ 2022માં પ્રગતિથી આશા બંધાવતા ભારત માટે વિકાસદર જાળવી રાખવો વધુને વધુ મુશ્કેલ થઈ રહ્યો છે.
જોકે કેટલાક અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે 2023માં વૈશ્વિક વિકાસદર માટે દુનિયાની નજર ભારત પર રહેશે અને વિશ્વ બૅંકે પણ વધુ સારી આર્થિક પ્રવૃત્તિઓને કારણે ભારતના જીડીપીના અનુમાનને સુધારીને 6.9 ટકા કરી દીધું છે.
જોકે સાવ એવું નથી કે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને વૈશ્વિક મંદીની અસર નથી થઈ.
જોકે, અત્યાર સુધી ભારતના સ્થાનિક વપરાશે અર્થતંત્રને મોટો ટેકો આપ્યો છે.
રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાએ તાજેતરમાં જ અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગેનો એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં કહ્યું હતું કે, "જોખમનું સંતુલન સતત ગંભીર થઈ રહેલી વૈશ્વિક કટોકટી તરફ નમી રહ્યું છે અને પ્રગતિ કરી રહેલાં બજાર અર્થતંત્રો તેને લઈને ભારે સંવેદનશીલ દેખાઈ રહી છે."
દેશના જીડીપીમાં 20 ટકાનું યોગદાન આપતી ભારતની નિકાસ નબળી સ્થિતિમાં જઈ રહી છે અને વૈશ્વિક મંદી તેને વધુ નબળી બનાવશે.
શ્રમમંત્રી ઉદ્યોગો જેવા કે ઇજનેરીના સામાન, જ્વેલરી, ટૅક્સટાઇલ અને ફાર્માસ્યુટિકલ્સ વગેરેના નિકાસ ક્ષેત્રો પર તેની અસર પડશે.
વર્તમાનમાં ભારત તેની આવક કરતાં વધુ ખર્ચ કરી રહ્યું છે. ચાલુ ખાતાની ખાધ અને રાજકોષીય ખાધ બંને ઝડપથી વધી રહી છે અને તે ચિંતાનું મોટું કારણ બની રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોંઘવારી અને વિકાસદર વચ્ચે સંતુલનનો પડકાર
છેલ્લા કેટલાક મહિનામાં ખાદ્યપદાર્થો, ઊર્જા અને અન્ય ચીજવસ્તુઓના વૈશ્વિક ભાવમાં નરમાઈ છતાં ઊંચા સ્તરે મોંઘવારી ચાલુ રહેતાં તે પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવી છે.
પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત પર નિર્ભરતા એ ભારત માટે એક મુખ્ય 'જોખમી પરિબળ' છે કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચેનાં યુદ્ધ અને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપને કારણે તેની કિંમતમાં વધઘટ થઈ રહી છે.
આ કારણે એવી પૂરી સંભાવના છે કે 2023માં, વધતી કિંમતો અને ધીમા પડતા વિકાસદરને સંતુલિત કરવાના પડકારમાં વધારો થશે.
જોકે, સતત ચાર વખત વ્યાજદરમાં વધારો કર્યા બાદ મોંઘવારીમાં થોડી રાહત મળી છે અને રિઝર્વ બૅંકે સંકેત આપ્યો છે કે તેને અંકુશમાં રાખવો એ હાલની તેમની પ્રાથમિકતા છે અને જરૂર પડ્યે વ્યાજદરમાં વધારો કરવામાં પાછીપાની નહીં કરે.
આનાથી સામાન્ય ભારતીયો માટે હોમ લૉન અને પર્સનલ લૉન મોંઘી થશે અને સાથે કૉર્પોરેટ લૉનને પણ અસર થશે.
સરકાર અને આરબીઆઈ બંનેને આશા છે કે 2023માં ખાનગી ક્ષેત્રના રોકાણમાં તેજી આવશે અને તેનાથી વિકાસદર પણ વધશે.
જોકે ભારતના કૉર્પોરેટ જગતના એક વર્ગ દ્વારા નવા રોકાણના કેટલાક પ્રારંભિક સંકેતો મળ્યા છે, જોકે તે હજુ સુધી આંકડાઓમાં તબદીલ થઈ શક્યા નથી.
ભારત માટે તક
ફેકટરી ઉત્પાદન પર નજર રાખતા ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (આઈઆઈપી) અનુસાર ઑક્ટોબર 2022માં ફેકટરી ઉત્પાદન 26 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું હતું. પરંતુ તકો સતત વધી રહી છે.
એક તરફ, બાકીનું વિશ્વ તેની સપ્લાય ચેઇનને ચીનથી અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી તરફ મોદી સરકાર મુક્ત વેપારને વેગ આપવાનો પ્રયાસ કરી રહી છે, આવી સ્થિતિમાં ભારત ખાનગી ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોકાણ આકર્ષવાની સ્થિતિમાં છે.
સરકારે પર્ફૉર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) જેવી મૅન્યુફૅક્ચરિંગ યોજનાઓમાં રસ દાખવ્યો છે.
રિસર્ચ ઍન્ડ આઉટરીચ (ઈસીઆરએ)ના વડા રોહિત આહુજાએ તેમના નવેમ્બરના અહેવાલમાં જણાવ્યું હતું કે, "વર્ષ 2024 ભારતના ઉત્પાદનક્ષેત્રમાં તેજી લાવી શકે છે."
નિષ્ણાતો કહે છે કે આ સ્થિતિ હોવા છતાં વિકાસદર વધારવા માટે સરકારે જાહેર ખર્ચમાં વધારો કરવો પડશે.
તાજેતરના અહેવાલમાં, ક્રેડિટ સુઈસના ઇન્ડિયા રિસર્ચ હેડ અને એશિયા પેસિફિક ક્ષેત્રના ઇક્વિટી સ્ટ્રેટેજીના સહપ્રબંધક નીલકાંત મિશ્રાએ જણાવ્યું હતું કે, "સરકારી ખર્ચ, ઓછા વેતનની નોકરીઓમાં વૃદ્ધિ અને પુરવઠા શૃંખલાની અડચણો દૂર કરવાથી મોંઘવારી અને વૈશ્વિક મંદીની અસરોને આંશિક રીતે ઘટાડી શકાય છે."
તેમનું એમ પણ કહેવું છે કે બૅલેન્સ ઑફ પેમેન્ટ ડેફિસિટ ઘટાડવાની જરૂર છે.
વધુને વધુ વેપાર કરારોની મદદથી ભારત વધતા વૈશ્વિક બજારમાં તેની પહોંચ વધારવા માટે તેની સંપૂર્ણ તાકતનો ઉપયોગ કરશે.
બજેટમાં પ્રજાલક્ષી જાહેરાતો હશે?
જી-20ના પ્રમુખપદ સાથે, ભારત 2023માં વૈશ્વિક મંચ પર આવશે. જોકે, ચિંતાની વાત એ છે કે વૈશ્વિક મંદી વચ્ચે સમગ્ર વિશ્વમાં સંરક્ષણવાદ (વિદેશી વેપાર પર પ્રતિબંધ)ની પણ બોલબાલા રહેશે.
નિકાસ વધારવા અને વિદેશી રોકાણકારોને આકર્ષવાના પ્રયાસો વચ્ચે ભારતે ભારે ચતુરાઈથી કામ કરવું પડશે અને આ એક મોટો પડકાર સાબિત થઈ શકે છે.
યોગાનુયોગ આ એ જ વર્ષ છે જેના તરત જ 2024માં આગામી સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી તેમની ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડશે.
ફેબ્રુઆરીમાં રજૂ થનારા આગામી બજેટમાં કેટલીક લોકપ્રિય જાહેરાતો અપેક્ષિત છે. લોકસભા ચૂંટણી પહેલાનું આ છેલ્લું પૂર્ણ બજેટ પણ હશે.
પરંતુ સમસ્યા એ છે કે વધતી જતી રાજકોષીય ખાધને કારણે સરકાર પાસે નાણાં ખર્ચવાની ખૂબ જ ઓછી ક્ષમતા બચી છે.