સૂર્યગ્રહણ 2025 : આ વર્ષનું અંતિમ ગ્રહણ ભારતમાં જોઈ શકાશે? સૂર્ય ઢંકાઈ જાય ત્યારે ખરેખર શું થશે?

ચંદ્રગ્રહણ પછી હવે સૂર્યગ્રહણનો દિવસ નજીક આવી રહ્યો છે. વર્ષ 2025નું છેલ્લું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરે થશે જે અર્ધચંદ્રાકાર હશે.

તેનો સમય વિશેષ ગણવામાં આવે છે, કારણ કે સપ્ટેમ્બર ઇક્વિનોક્સના બરાબર એક દિવસ અગાઉ સૂર્યગ્રહણ થવાનું છે.

પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં વસંતઋતુ શરૂ થાય અને ઉત્તર ગોળાર્ધમાં પાનખર આવે તે સમયગાળો ઇક્વિનોક્સ તરીકે ઓળખાય છે.

સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે દિવસ અને રાતની લંબાઈ એકદમ સરખી હોય તેને ઇક્વિનોક્સ કહેવામાં આવે છે.

આ વખતના સૂર્યગ્રહણની કઈ કઈ વિશેષતા છે, કઈ જગ્યાએ ગ્રહણ જોઈ શકાશે અને ગ્રહણ જોતી વખતે કેવી કાળજી રાખવી તેના વિશે જાણો.

ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે કે નહીં?

ભારતમાં ખગોળપ્રેમીઓએ નિરાશ થવું પડશે, કારણ કે ભારતમાં આ સૂર્યગ્રહણ પ્રત્યક્ષ રીતે જોવા નહીં મળે. જોકે ઍન્ટાર્કટિકા, સાઉથ પેસિફિક અને ન્યૂઝીલૅન્ડમાં આંશિક સૂર્યગ્રહણ જોઈ શકાશે જેમાં સૂર્યના 86 ટકા ભાગને ચંદ્ર ઢાંકી દેશે.

આ સંપૂર્ણ નહીં, પરંતુ આંશિક ગ્રહણ હશે. ઍન્ટાર્કટિકા અને દક્ષિણ ન્યૂઝીલૅન્ડમાં જોવાં મળતાં દૃશ્યો સૌથી વિશિષ્ટ હશે, કારણ કે જ્યારે સૂર્યોદય થતો હશે, બરાબર તે સમયે સૂર્યની આગળ ચંદ્ર આવી જશે અને ગ્રહણ લગાવશે. તેના કારણે અર્ધચંદ્રાકાર સવાર સર્જાશે. પેસિફિકના કેટલાક ટાપુઓ પર પણ આ ઘટના જોવા મળશે.

ભારત અને સાઉથ એશિયાના મોટા ભાગના વિસ્તારમાં ગ્રહણ વખતે રાત હશે અને તેને પ્રત્યક્ષ રીતે નહીં જોઈ શકાય, પરંતુ તેને ઑનલાઇન જોઈ શકશે. ભારતીય સમય પ્રમાણે 21 સપ્ટેમ્બરની રાતે 10.59 વાગ્યે ગ્રહણ શરૂ થશે, 22 સપ્ટેમ્બરની રાતે 1.11 વાગ્યે ગ્રહણ તેની ચરમસીમાએ હશે અને વહેલી સવારે 3.23 વાગ્યે સૂર્યગ્રહણ પૂરું થશે.

દક્ષિણ ગોળાર્ધના પ્રદેશોની વાત કરીએ તો ઍન્ટાર્કટિકામાં ચંદ્ર દ્વારા સૂર્યનો 86 ટકા હિસ્સો ઢાંકી દેવાશે, પરંતુ કેટલાક ભાગોમાં તો માત્ર 12 ટકા સૂર્ય જોઈ શકાશે.

પેસિફિક ટાપુઓ પર અલગ-અલગ પ્રમાણમાં સૂર્યગ્રહણ જોવા મળશે. જેમ કે ટોંગામાં 32 ટકા, ફીજી ટાપુઓ પર 27 ટકા અને કૂક આઇલૅન્ડ પર માત્ર 23 ટકા સૂર્ય ઢંકાઈ જશે. દુનિયાના મોટા ભાગના વિસ્તારમાં આ સૂર્યગ્રહણ જોવા નહીં મળે, છતાં તે દુર્લભ ઘટના હોવાથી તેનું મહત્ત્વ રહેશે.

સૂર્યગ્રહણ સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

લોકોએ ખુલ્લી આંખે સૂર્યગ્રહણ ક્યારેય જોવું ન જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે.

સૂર્યગ્રહણને થોડા સમય માટે પણ ખુલ્લી આંખે ન જોવું જોઈએ. નિષ્ણાતો કહે છે કે ચંદ્રમા સૂર્યના મોટા ભાગના હિસ્સાને ઢાંકી દે ત્યારે પણ ખુલ્લી આંખે ન જુઓ, કારણ કે તેનાથી આંખને કાયમી નુકસાન પહોંચી શકે છે, અંધાપો પણ આવી શકે છે.

સૂર્યગ્રહણ જોવું હોય તો કાળા પૉલિમર કે ટેલિસ્કૉપના માધ્યમથી સફેદ પટ્ટા પર સૂર્યના છાયાનું પ્રક્ષેપણ કરીને તેને જોઈ શકો છો.

ગ્રહણ મુદ્દે લોકોમાં જાતજાતની માન્યતાઓ

ગ્રહણ એ માનવી માટે હંમેશાંથી એક રહસ્યમય ઘટના રહી છે અને ઘણા લોકો તેને જોખમનું પ્રતીક માને છે. એવું માનવામાં આવે છે કે દુનિયાના ખતમ થવાની કે પછી ભયંકર ઘટનાઓની ચેતવણી ગ્રહણ દ્વારા મળે છે.

હિંદુ પૌરાણિક કથાઓમાં ગ્રહણને અમૃતમંથન અને રાહુ-કેતુ નામક દૈત્યોની કહાણી સાથે સાંકળવામાં આવે છે.

ગ્રહણ હંમેશાં મનુષ્યને જેટલી નવાઈ પમાડે એટલું જ ડરાવતું પણ રહ્યું છે.

માનવીને જ્યાં સુધી ગ્રહણનાં વૈજ્ઞાનિક કારણોની ખબર ન હતી, ત્યાં સુધી માનવીએ સૂર્યને ઘેરતી આ અંધારી છાયા મામલે કેટલીક કલ્પનાઓ કરી અને કેટલીય કહાણીઓ રચી.

આજે પણ ઘણા લોકોને ગ્રહણની કહાણીઓ અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ પર વિશ્વાસ છે.

કૅલિફૉર્નિયાની ગ્રિફિથ સેન્ટરના નિદેશક ઍડવિન ક્રપ કહે છે, "17મી સદીનાં અંતિમ વર્ષો સુધી મોટા ભાગના લોકોને ખબર નહોતી કે ગ્રહણ કેવી રીતે થાય છે અથવા તારા તૂટે છે. જોકે આઠમી સદીથી જ ખગોળશાસ્ત્રીઓને તેના વૈજ્ઞાનિક કારણની જાણકારી હતી."

અલગ-અલગ સભ્યતામાં ગ્રહણ વિશે ધારણાઓ

પશ્ચિમી એશિયામાં એવી માન્યતા હતી કે ગ્રહણ દરમિયાન ડ્રૅગન સૂર્યને ગળી જવાનો પ્રયત્ન કરે છે અને એટલે ત્યાં ડ્રૅગનને ભગાડવા માટે ઢોલ-નગારાં વગાડવામાં આવતાં.

ચીનમાં એવી માન્યતા હતી કે સૂર્યને ગળવાનો પ્રયત્ન કરનાર ખરેખર સ્વર્ગનો એક શ્વાન છે. પેરુના લોકો માનતા હતા કે આ વિશાળ પ્યૂમા હતું અને વાઇકિંગ માનતા હતા કે ગ્રહણના સમયે આસમાની વરુઓની જોડી સૂર્ય પર હુમલો કરે છે.

ખગોળશાસ્ત્રી અને વેસ્ટર્ન કેપ યુનિવર્સિટીના પ્રોફેસર જરિટા હૉલબ્રુક કહે છે, "ગ્રહણ વિશે વિભિન્ન સભ્યતાની માન્યતાઓ એ વાત પર નિર્ભર કરે છે કે ત્યાં પ્રકૃતિ કેટલી હદે ઉદાર છે. જ્યાં જીવન મુશ્કેલ છે, ત્યાં દેવીદેવતાઓ પણ ક્રૂર અને બિહામણા હોવાની કલ્પના કરવામાં આવી છે, એટલે ગ્રહણથી જોડાયેલી કહાણીઓ પણ બિહામણી હોય છે."

તેઓ કહે છે, "જ્યાં જીવન સરળ હોય છે, ભરપૂર ભોજન પાણી હોય છે ત્યાં ઈશ્વર અને પરાશક્તિઓ સાથે મનુષ્યનો સંબંધ અતિપ્રેમપૂર્ણ હોય છે અને તેમનાં મિથક પણ એવાં જ હોય છે."

મધ્યકાલીન યુરોપમાં લોકો પ્લેગ અને યુદ્ધોથી ત્રસ્ત રહેતા હતા, એવામાં સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ તેમને બાઇબલમાં પ્રલયના વર્ણનની યાદ અપાવતું હતું.

પ્રોફેસર ક્રિસ ફ્રેન્ચ કહે છે, લોકો ગ્રહણને પ્રલય સાથે કેમ જોડે છે, આ સમજવું મુશ્કેલ નથી.

બાઇબલમાં ઉલ્લેખ છે કે કયામતના દિવસે સૂર્ય બિલકુલ કાળો થઈ જશે અને ચંદ્ર લાલ રંગનો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન