You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છત્તીસગઢ: સુકમામાં 16 માઓવાદીઓને ઠાર માર્યાનો સુરક્ષાદળનો દાવો, બે સૈનિકો ઘાયલ - ન્યૂઝ અપડેટ
છત્તીસગઢના માઓવાદી પ્રભાવિત સુકમા જિલ્લામાં શંકાસ્પદ માઓવાદીઓ સાથેની ઍન્કાઉન્ટરમાં 16 માઓવાદીઓનાં મૃત્યુ થયાં હોવાનો પોલીસે દાવો કર્યો છે.
પોલીસે એ વાતનો ઇનકાર નથી કર્યો કે મૃત્યુ પામેલા માઓવાદીઓની સંખ્યા વધી શકે છે.
સુકમામાં ઍન્કાઉન્ટરની ઘટના એવા સમયે બની છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ પછી છત્તીસગઢની મુલાકાતે જવાના છે.
બસ્તર પોલીસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સીઆરપીએફ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની સંયુક્ત ટીમ માઓવાદીઓ સામે ઑપરેશન માટે નીકળી હતી. જ્યાં શનિવારે સવારે આઠ વાગ્યાની આસપાસ કેરળપાલ વિસ્તારમાં માઓવાદીઓ સાથે ઍન્કાઉન્ટર થયું હતું.
પોલીસનો દાવો છે કે આ ઍન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 16 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.
ઘટનાસ્થળેથી મોટી માત્રામાં AK-47,SLR, INSAS રાઇફલ્સ, રૉકેટ લૉન્ચર, BGL લૉન્ચર અને વિસ્ફોટકો મળી આવ્યા હતા.
આ ઍન્કાઉન્ટરમાં બે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ જવાન પણ ઘાયલ થયા હતા. જોકે, સૈનિકોની સ્થિતિ હાલ સામાન્ય અને ખતરાથી બહાર છે.
મ્યાનમારમાં ભૂકંપ બાદ ભારતે મદદ મોકલી
મ્યાનમારમાં આવેલા ભૂકંપ પછી, ભારતે તાત્કાલિક મદદ મોકલી છે. ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે શનિવારે આ માહિતી આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર જણાવ્યું હતું કે, "મ્યાનમારના લોકોને તાત્કાલિક માનવીય સહાયનો પહેલો જથ્થો મોકલવામાં આવ્યો છે."
તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાનું C-130 ધાબળા, તાડપત્રી, સ્વચ્છતા કિટ, સ્લીપિંગ બૅગ, સૌર લૅમ્પ, ફૂડ પૅકેટ અને રસોડાના સેટ લઈ જઈ રહ્યું છે.
ભારતીય વિદેશમંત્રીએ કહ્યું કે વિમાનમાં શોધ અને બચાવ ટીમ ઉપરાંત એક તબીબી ટીમ પણ છે.
એસ જયશંકરે કહ્યું કે, "અમે પરિસ્થિતિ પર નજર રાખીશું અને વધુ મદદ મોકલવામાં આવશે."
શુક્રવારે મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા એક હજાર કરતાં વધુ લોકોનાં મોત અને સેંકડો લોકો ઘાયલ થયાની પુષ્ટિ થઈ છે.
કૅનેડાના વડા પ્રધાને ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા પછી શું કહ્યું?
કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ કહ્યું છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ફોન પર કહ્યું હતું કે તેઓ કૅનેડાની સાર્વભૌમત્વનો આદર કરે છે.
આ પહેલી વાર છે જ્યારે બંને નેતાઓએ ફોન પર વાત કરી છે.
અમેરિકા અને કૅનેડા વચ્ચે વેપારયુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માર્ક કાર્ની સાથે વાત કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી વખત કૅનેડાને અમેરિકાનું 51મું રાજ્ય ગણાવ્યું છે.
કાર્નીએ ટ્રમ્પ સાથેની તેમની ફોન પરની વાતચીતને "ખૂબ જ હકારાત્મક" ગણાવી અને ટ્રમ્પે આ વાતચીતને "ખૂબ જ ઉપયોગી" ગણાવી છે.
ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ આયાતી વાહનોના ભાગો પર 25 ટકા ટૅક્સ લાદશે. આ નિર્ણય કૅનેડિયન કારઉદ્યોગ માટે ખૂબ જ નુકસાનકારક માનવામાં આવી રહ્યો છે.
કૅનેડાના વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે બંને નેતાઓ ચૂંટણી (28 એપ્રિલે યોજાનારી) પછી તરત જ નવા આર્થિક અને સુરક્ષા સંબંધો પર વ્યાપક વાટાઘાટો શરૂ કરવા સહમત થયા હતા.
માર્ક કાર્નીએ એક દિવસ પહેલાં કહ્યું હતું કે કૅનેડાના અમેરિકા સાથેના જૂના સંબંધો, જે મૂળભૂત રીતે અર્થતંત્રને એકીકૃત કરવા અને સુરક્ષા અને લશ્કરી સહયોગને ગાઢ બનાવવા પર આધારિત હતા, તે હવે પૂરા થઈ ગયા છે.
નેપાળમાં રાજાશાહીની પુનઃસ્થાપનાની માંગ સાથે વિરોધપ્રદર્શન, અથડામણમાં બેનાં મોત
નેપાળમાં રાજાશાહી સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં એક પત્રકાર સહિત બે લોકોનાં મોત થયાં છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે.
શુક્રવારે કાઠમંડુમાં રાજાશાહી સમર્થકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું ત્યારે એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં આ પ્રદર્શનના નેતા, દુર્ગા પ્રસાઈ, પૂરપાટ ઝડપે કાર ચલાવીને બેરિકેડ તોડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
આસપાસના વિસ્તારોમાં દુકાનો, ઘરો અને રાજકીય પક્ષની ઑફિસોમાં આગચંપી અને લૂંટફાટની ઘટના બની હતી.
પોલીસ દ્વારા બળપ્રયોગના ફૂટેજ પણ સતત બહાર આવી રહ્યા છે.
આખરે શહેરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. અથડામણ દરમિયાન બે લોકોનાં મોતની પણ પુષ્ટિ થઈ છે.
ગુરુવારે પત્રકારો સાથે વાત કરતાં પ્રસાઈએ પોતાને ઉત્તરાધિકારી તરીકે રજૂ કર્યા છે.
ભૂતપૂર્વ માઓવાદી અને યુએમએલના છેલ્લા મહાસંમેલનના કેન્દ્રીય સભ્ય પ્રસાઈ, ટૂંકા સમયમાં, રાજાશાહી ચળવળનો અગ્રણી ચહેરો બની ગયા છે.
શુક્રવારે ફાટી નીકળેલા રાજાશાહી તરફી વિરોધપ્રદર્શનમાં ખાનગી અને જાહેર સંપત્તિને નુકસાન થયા બાદ તેમના નેતૃત્વ પર પ્રશ્નો ઊભા થયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન