You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોંડલ : પોપટ સોરઠિયા હત્યાકેસમાં સજા બાદ અનિરુદ્ધસિંહ જાડેજા ફરી ભૂગર્ભમાં ઊતર્યા, નવા પ્રકરણ બાદ હવે શું થશે?
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
ગોંડલના રીબડાવાળા અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધારે કસાયો છે. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ધરપકડથી બચવા માટે રાજદીપસિંહ જાડેજાએ કરેલી આગોતરા જામીનની અરજી ગુજરાત હાઈકોર્ટે મંગળવારે નકારી કાઢતાં પોલીસ રાજદીપસિંહની ધરપકડ કરી શકે છે.
તે જ રીતે અનિરુદ્ધસિંહને પોપટ સોરઠિયા મર્ડર કેસમાં 2018માં આપવામાં આવેલ સજામાફી ગુજરાત હાઇકોર્ટે ગત 22 ઑગસ્ટે ગેરકાયદેસર ઠેરવી રદબાતલ કરતાં અનિરુદ્ધસિંહને 18 સપ્ટેમ્બર સુધીમાં આત્મસમર્પણ કરવા આદેશ કર્યો છે.
આ મામલે હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અનિરુદ્ધસિંહની અરજી સુપ્રીમ કોર્ટે રદ કરતાં અનિરુદ્ધસિંહ પાસે જેલવાસથી બચવા માટેના કાયદાકીય વિકલ્પો જૂજ થઈ ગયા છે.
બીજી બાજુ રાજકોટ રૂરલ પોલીસ કહે છે કે અનિરુદ્ધસિંહ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ વૉન્ટેડ છે. હાઇકોર્ટે પોપટ સોરઠિયા મર્ડર કેસમાં સજા માફી રદ કરતાં 22 ઑગસ્ટના હુકમમાં એવો આદેશ આપ્યો છે કે અનિરુદ્ધસિંહ 18 સપ્ટેમ્બરે આત્મસમર્પણ કરે તે પહેલાં સંલગ્ન પોલીસ સ્ટેશનમાં દર અઠવાડિયે એક વાર હાજરી પુરાવે, પરંતુ રાજકોટ રૂરલ પોલીસના અધિકારીઓ કહે છે કે અનિરુદ્ધસિંહે એકેય વાર હાજરી પુરાવી નથી, પણ કોર્ટના આદેશ મુજબ તેમના વકીલ મારફતે પાસપૉર્ટ જમા કરાવી દીધો છે.
અનિરુદ્ધસિંહ 1990ના દાયકાની જેમ ફરી એક વાર ભૂગર્ભમાં ઊતરી ગયા છે અને ચાર મહિના પછી પણ પોલીસના હાથમાં નથી આવ્યા. શું છે આ સમગ્ર મામલો?
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ સામે શું આરોપ છે?
આવા સંજોગોમાં ક્ષત્રિય સમાજનો એક વર્ગ અનિરુદ્ધસિંહના સમર્થનમાં આવ્યો છે. પી. ટી. જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિયોએ 4 સમ્પ્ટેમ્બરે રીબડામાં એક સભા કરી અને દાવો કર્યો કે અનિરુદ્ધસિંહ સજાના ભાગરૂપે લાંબા સંજય સુધી જેલમાં રહી ચૂક્યા છે. તેમણે માગણી કરી છે કે સરકાર અનિરુદ્ધસિંહની સજા માફ કરે.
આ વર્ષે 5 મેના રોજ રીબડા ગામના અમિત ખૂંટ નામના ખેડૂતે રીબડાની સીમમાં એક નાટ્યાત્મક ઘટનાક્રમમાં આત્મહત્યા કરી લીધી. 3 મેના રોજ રાજકોટમાં રહેતી એક સગીરાએ રાજકોટ શહેરના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે અમિત ખૂંટે તેમની પર બળાત્કાર કર્યો છે. 16 વર્ષની એ સગીરાએ રાજકોટ શહેર પોલીસને જણાવ્યું કે તે મૉડલિંગ કરે છે અને દસેક દિવસ અગાઉ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમિત ખૂંટના સંપર્કમાં આવી હતી.
જોકે, પોલીસ ફરિયાદ નોંધાયાના બે દિવસ બાદ અમિત ખૂંટ રીબડા ગામે જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ કહે છે કે પ્રાથમિક રીતે જણાય છે કે અમિત ખૂંટે આત્મહત્યા કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસને તેમના ખિસ્સામાંથી એક કથિત સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. કથિત સ્યૂસાઇડ નોટમાં અમિત ખૂંટે જણાવ્યું છે કે ચાર છોકરીઓ, અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું એક ગ્રૂપ છે અને આ ગ્રૂપે તેમને હની ટ્રેપમાં ફસાવ્યો હતો, કારણ કે તેમણે અનિરુદ્ધસિંહ અને તેમના પુત્રો વિરુદ્ધ હુમલો કર્યાની ફરિયાદ કરી હતી.
અમિત ખૂંટે વધારે આક્ષેપ કરતાં આ કથિત સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે: "અનિરુદ્ધસિંહ મહીપતસિંહે અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહે (મને) બદનામ કરવામાં કોઈ કસર નથી છોડી. એટલે આવી બદનામી જિંદગી મારે નથી જીવવી."
અમિત ખૂંટના મોટા ભાઈ મનીષ ખૂંટની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, અમિત ખૂંટ સામે બળાત્કારની ફરિયાદ કરનાર સગીરા અને તેમની સાથે રહેતાં એક મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો 108, , 61(2) અને 54 હેઠળ 6 મેના રોજ ગુનો નોંધ્યો હતો.
આક્ષેપો બાદ અનિરુદ્ધસિંહે શું કહેલું?
અમિત ખૂંટની કથિત આત્મહત્યા અને તેની કથિત સ્યૂસાઇડ નોટમાં થયેલા આક્ષેપો જાહેર થતાં અનિરુદ્ધસિંહે 5 મેના રોજ એક વીડિયો નિવેદન આપી તેમની સામે કરાયેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
તેમણે કહ્યું હતું, "એ બાબતે હું કે મારો પરિવાર ક્યાંય સામેલ નથી. મારા ત્રાસથી કે મારા પરિવારના ત્રાસથી કે મારાં બાળકોના ત્રાસથી તેને મજબૂરીથી આપઘાત કરવો પડ્યો તેવી કોઈ વાત નથી. મેં, કે મારાં બાળકોએ કે મારા મિત્રો જો એમાં ક્યાંય સામેલ હોય અને અમારું ક્યાંય નામ આવે તો હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું."
અનિરુદ્ધસિંહે કહ્યું હતું, "રહી વાત બળાત્કારની અને પોક્સોની, તો જે મહિલાએ કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી છે તે હયાત જ છે. તે પોલીસ તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરે."
સાથે જ અનિરુદ્ધસિંહે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તરફ અંગુલિનિર્દેશ કર્યો હતો. તેમણે આરોપ લગાવતાં કહ્યું, "આ આખું કાવતરું જયરાજનું છે, ગોંડલના માજી ધારાસભ્યનું."
અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે શું ગજગ્રાહ છે?
અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે લગભગ ત્રણ દાયકાથી ગજગ્રાહ ચાલ્યો આવે છે. અનિરુદ્ધસિંહના પિતા મહીપતસિંહ જાડેજા અને ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા વચ્ચે ગોંડલમાં રાજકીય વર્ચસ્વ માટે 1980ના દાયકામાં હરીફાઈ ચાલુ થઈ હતી.
ગોંડલ વિધાનસભામાં પાટીદાર મતદાતાઓની બહુમતી છે અને કૉંગ્રેસ નેતા પોપટ સોરઠિયા ગોંડલમાં એક લોકપ્રિય પાટીદાર નેતા હતા. આ રાજકીય હરીફાઈ વચ્ચે અનિરુદ્ધસિંહે 15 ઑગસ્ટ, 1988ના રોજ ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કૂલના પટાંગણમાં સ્વતંત્રતાદિન નિમિત્તે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં સોરઠિયાને જાહેરમાં ગોળી મારી હત્યા કરી નાખી.
અનિરુદ્ધસિંહને સ્થળ પરથી જ પકડી લેવાયા હતા. તેમની સામે ભારતીય દંડ સહિતા અને ટાડા ઍક્ટ હેઠળ રાજકોટની ખાસ ટાડા કોર્ટમાં કેસ ચાલેલો, પરંતુ મહત્ત્વના સાક્ષીઓ ફરી જતાં કોર્ટે અનિરુદ્ધસિંહને નિર્દોષ છોડી મૂક્યા હતા.
તત્કાલીન ધારાસભ્યની હત્યા બાદ 1990માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આગેવાન મહીપતસિંહે ગોંડલ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું અને તેઓ જીતી ગયા. તેઓ 1995માં પણ અપક્ષ તરીકે ગોંડલમાંથી ચૂંટણી જીતી ગયા.
પરંતુ રાજકોટ ટાડા કોર્ટના ચુકાદાને રાજ્ય સરકારે સુપ્રીમે કોર્ટમાં પડકાર્યો. 10 જુલાઈ, 1997ના રોજ ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહને પોપટ સોરઠિયાની હત્યાના દોષિત ઠેરવ્યા અને આજીવન કેદની સજા ફટકારી.
આ દરમિયાન ગુજરાતમાં એ વખતની કેશુભાઈ પટેલની સરકાર બની હતી અને ભાજપે ગોંડલ બેઠક જીતવા ચોકઠાં ગોઠવવાં માંડ્યાં હતાં. તેમણે માથાભારેની છાપ ધરાવતા મહીપતસિંહ વિરુદ્ધ તેવી જ છાપ ધરાવતા જયરાજસિંહને 1998ની ચૂંટણીમાં મેદાને ઉતાર્યા. જયરાજસિંહે પ્રથમ પ્રયાસમાં જ મહીપતસિંહને હરાવ્યા. ત્યાર બાદ 2002ની ચૂંટણીમાં પણ જયરાજસિંહે મહીપતસિંહને હરાવ્યા.
હત્યાના કેસમાં અનિરુદ્ધસિંહનો જેલવાસ
1997માં સુપ્રીમ કોર્ટે સોરઠિયા હત્યાકેસમાં અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા તો ફટકારી પરંતુ અનિરુદ્ધસિંહે ન તો આત્મસમર્પણ કર્યું કે ન તો તેઓ પોલીસના હાથમાં આવ્યા. છેવટે ચારેક વર્ષ બાદ 28 એપ્રિલ, 2000ના રોજ તેમને પકડવામાં પોલીસને સફળતા મળી હતી અને તેમને જેલહવાલે કરાયા.
2000ની સલમાં પકડાઈ ગયા બાદ અનિરુદ્ધસિંહ તેમને ફટકારાયેલ સજા કાપતા અઢારેક વર્ષ જેલમાં ગાળ્યા. છેલ્લે તેઓ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ જેલમાં સજા કાપી રહ્યા હતા. દરમિયાન, 29 જનયુઆરી, 2018ના રોજ રાજ્યની જેલોના તત્કાલીન વડા અધિક પોલીસ મહાનિદેશક ટી. એસ. બિષ્ટે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ જેલના તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટને એક પત્ર લખી હુકમ કર્યો કે અનિરુદ્ધસિંને જેલમાંથી છોડી મૂકવામાં આવે. પત્રમાં જેલોના વડાએ 24 જાન્યુઆરી, 2017ના રોજ રાજ્ય સરકારે શરતોને આધીન જે ગુનેગારોએ 12 વર્ષની જેલની સજા પૂરી કરી હોય તેમની સજા માફ કરી તેમને છોડી મૂકવાના નિર્ણયનો હવાલો આપ્યો. પરિણામે અનિરુદ્ધસિંહ મુક્ત થયા. પરંતુ હાઇકોર્ટે બિષ્ટના આ પત્રને ગેરકાયદેસર ઠેરાવ્યો અને અનિરુદ્ધસિંહની સાજામાફીને રદ કરી છે.
જાડેજા વિરુદ્ધ જાડેજામાં અમિત ખૂંટનો પ્રવેશ કઈ રીતે થયો?
2022ની ચૂંટણીમાં અનિરુદ્ધસિંહે ગોંડલથી ચૂંટણી લડવા ભાજપની ટિકિટ માગી, પરંતુ ભાજપે ગીતાબાને જ બીજી વાર ટિકિટ આપી. તેથી, અનિરુદ્ધસિંહે ગોંડલ સીટમાં કૉંગ્રેસને ટેકો જાહેર કરેલ. તેમ છતાં ગીતાબા બીજી વાર પણ ચૂંટણી જીતી ગયાં.
2022ની ચૂંટણીનાં બે અઠવાડિયાં બાદ પાટીદાર સમાજના અમિત ખૂંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં 22 ડિસેમ્બર, 2022ના રોજ એક ફરિયાદ નોંધાવી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ પછી જ્યારે એ દિવસે સાંજે અમિત ખૂંટ અને તેમના કાકા ઉમેશ ખૂંટ પોલીસ ફરિયાદ લખાવવા ગોંડલ જતા હતા ત્યારે અનિરુદ્ધસિંહ અને અન્ય બે વ્યક્તિઓએ તેમને આંતરી, ગાળો દઈ ફરી વાર ધમકી આપીને કહ્યું હતું, "તમારી ગાડી પાછી વાળો નહીંતર બધાને અહીં જ પતાવી દઈશ અને તમને રીબડામાં રહેવા જેવા નહીં દઈએ."
પોતાની ફરિયાદમાં અમિત ખૂંટે જણાવ્યું હતું કે, "મારા કુટુંબીજનોએ ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પક્ષને મત આપેલ હોઈ અને આ અનિરુદ્ધસિંહ જાડેજા કૉંગ્રેસ પક્ષ તરફે હોઈ જેથી તેનો રોષ રાખીને તેઓ તથા તેના પુત્રો તથા તેની સાથેના ઉપરોક્ત માણસોએ તેની ગાડીઓમાં હથિયારો લઈ આવી, મને રસ્તામાં રોકી, બંદૂક મારા લમણે મૂકી મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી."
આ ઘટના પછી અમિત ખૂંટ જયરાજસિંહ જાડેજાના ગોંડલ શહેરમાં આવેલ રહેઠાણે જતા રહ્યા હતા અને ત્યાં પત્રકારોને તેમની પર થયેલ કથિત હુમલાની વિગતો આપી હતી.
ત્યાર બાદ જયરાજસિંહે રીબડામાં એક જાહેર સભા કરી હતી અને તેમના વિરોધીઓને ચીમકી આપતાં કહ્યું હતું કે તેઓ પહેલાંનાં વર્ષોમાં હતા તે જ જયરાજસિંહ જાડેજા છે અને જરૂર પડશે તો તેમનું રહેઠાણ રીબડા ફેરવી નાખશે.
બીબીસી માટે કલેકટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન