સાત મુદ્દામાં સમજો કે ક્રિકેટ અમ્પાયર કોણ બની શકે અને એક દિવસની કમાણી કેટલી હોય

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રિયંકા ઝા
- પદ, બીબીસી સંવાદદાતા
બૉલ પૅડ સાથે અથડાયો.
બૉલરની જોરદાર અપીલ.
અમ્પાયરે સહમતી દર્શાવી.
અને આઉટ.
ક્રિકેટમાં જેટલા જરૂરી ખેલાડીઓ હોય છે, તેટલા જ મહત્ત્વના છે મેદાનમાં ઊભેલી બે એવી વ્યક્તિ, જેમને કોઈ ટીમ સાથે કશી લેવાદેવા નથી હોતી, પરંતુ તેમના વગર કોઈ મૅચ નથી રમાતી.
તેમનો એક સાચો કે ખોટો નિર્ણય મૅચની દિશા બદલી શકે છે.
અમે વાત કરીએ છીએ ક્રિકેટ અમ્પાયરની.
પરંતુ અમ્પાયર બનવું સરળ નથી. તે માત્ર નિયમો યાદ રાખવા પૂરતું કામ નથી. અમ્પાયર બનવા પાછળ ઘણાં વર્ષોની મહેનત, ટ્રેનિંગ, ભૂલોમાંથી મળેલી શીખ અને અનુભવ છુપાયેલાં હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે આવે છે બીજો અગત્યનો સવાલ.
અમ્પાયર કઈ રીતે બને છે? શું તેના માટે ક્રિકેટના ખેલાડી હોવું જરૂરી છે, કે કોઈ બીજો પણ રસ્તો છે? કેટલી કમાણી થાય છે અને આ પ્રોફેશનમાં ગ્રોથનો ગ્રાફ કેવો છે?
કરિયર કનેક્ટ સિરીઝની આજની કડીમાં અમે જાણીતા અમ્પાયરો પાસેથી આ જ સવાલોના જવાબ જાણ્યા.

બારમું ધોરણ પાસ હોય તે પણ અમ્પાયર બની શકે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સવાલ હંમેશાં પુછાતો રહ્યો છે કે અમ્પાયર બનવા માટે શું કોઈ ખાસ પ્રકારનો અભ્યાસ જરૂરી છે? જવાબ છે, 'ના'.
તમે કોઈ પણ સ્ટ્રીમમાં ભણ્યા હોવ, બસ તમને ક્રિકેટના નિયમોમાં રસ હોવો જોઈએ. સાથે જ, આ પ્રોફેશનમાં મેદાનમાં ઘણા કલાક ઊભા પણ રહેવાનું હોય છે, એટલે ફિઝિકલી ફિટ હોવું જરૂરી છે.
પહેલાં બીસીસીઆઇ અને પછી આઇસીસી પૅનલમાં અમ્પાયર રહી ચૂકેલા એસકે બંસલે જણાવ્યું કે અમ્પાયર બનવા માટે ફક્ત ક્રિકેટની જાણકારી હોવી જોઈએ. આ એ જ બંસલ છે, જેમણે માર્ચ 2001માં કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાયેલી ઐતિહાસિક મૅચમાં અમ્પાયરિંગ કર્યું હતું.
આ મૅચમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મૅચ રમી રહેલી ભારતીય ટીમે ફૉલોઑન રમ્યા છતાં કાંગારુ ટીમને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. આ મૅચમાં વીવીએસ લક્ષ્મણની 281 રન અને રાહુલ દ્રવિડની 180 રનની ઇનિંગ આજે પણ સીમાચિહ્નરૂપ છે.
તેમણે બીબીસીને કહ્યું, "જો કોઈ ક્રિકેટ રમતા રહ્યા છે કે હજુ પણ રમી રહ્યા હોય તો તેઓ પણ અમ્પાયરિંગમાં સારું કરી શકે છે, પરંતુ જો તેઓ ક્રિકેટ બિલકુલ નથી રમ્યા અને વિચારે કે હું અમ્પાયરિંગના ક્ષેત્રમાં આવી જઈશ, તો તે કામમાં મુશ્કેલી પડે છે."
જાણકારોનું કહેવું છે કે અમ્પાયર બનવા માટે સારું કૉમ્યુનિકેશન અને અંગ્રેજીનું જ્ઞાન જરૂરી છે. અંગ્રેજી એટલા માટે, કેમ કે, ક્રિકેટની કૉમન લૅંગ્વેજ એ જ છે. ઇન્ટરનૅશનલ મૅચમાં જુદા જુદા દેશોના ખેલાડી ભાગ લે છે અને અંગ્રેજી જ માધ્યમ હોય છે.
હવે વાત ઉંમરની. અમ્પાયર બનવા માટે જે પરીક્ષાઓ હોય છે, તે આપવા માટે ઓછામાં ઓછાં 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની ઉંમર હોવી જોઈએ.

અમ્પાયર બનવા માટેની પ્રક્રિયા શું છે?
જો તમારી ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે છે, તો તમારા રાજ્યના ક્રિકેટ ઍસોસિયેશનમાં રજિસ્ટ્રેશન કરાવી લો. જેમ કે, જો તમે દિલ્હીમાં રહો છો, તો દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ઍસોસિયેશન (DDCA) કે ઉત્તર પ્રદેશના છો, તો યુપી ક્રિકેટ ઍસોસિયેશન (UPCA) જાઓ.
ક્રિકેટ અમ્પાયર અનિલ ચૌધરીને તમે આઇપીએલ અને ઘણી ઇન્ટરનૅશનલ મૅચમાં અમ્પાયરિંગ કરતા જોઈ ચૂક્યા હશો. આજકાલ તેઓ કોમેન્ટ્રી કરી રહ્યા છે અને ક્રિકેટ અમ્પાયરિંગ વિશેના વીડિયો બનાવી રહ્યા છે.
અમે જ્યારે તેમને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વિશે પૂછ્યું તો તેમણે કહ્યું, "રજિસ્ટ્રેશન કોઈ પણ કરાવી શકે છે, કેટલું ભણ્યા છો તેના માટે કોઈ નિયમ નથી. કોઈ બારમું ધોરણ પાસ હોય તોપણ અમ્પાયર બની શકે છે. પછી સ્ટેટ ઍસોસિયેશનમાં જે સ્પૉર્ટ્સ ઑફિસર હોય છે કે પછી અમ્પાયરિંગ ઇન્ચાર્જ, તેમને મળીને જણાવો કે તમને અમ્પાયરિંગમાં રસ છે. ત્યાંથી શરૂઆત કરો અને ત્યાં સુધી કોઈ પરીક્ષા પાસ નથી કરવાની હોતી."
અનિલ ચૌધરીએ કહ્યું, "તેઓ તમને જણાવશે કે આગળ વધવા માટે કોઈ ફૉર્મ ભરવાનું છે, તો તેને ભરો, તેમની લીગ મૅચોમાં અમ્પાયરિંગનો અવસર મળે તો જરૂર કરો. કાં તો પછી તેમનું જે પણ લોકલ સેટઅપ છે, તેના પ્રમાણે આગળ પગલાં ભરો. ત્યાં સિનિયર અમ્પાયરને મળો, તેઓ તમને જણાવશે કે સમગ્ર પ્રક્રિયા શી છે. મૂળભૂત વાત એ છે કે જો તમારે આગળ જવું છે, તો તમારી સફર સ્ટેટ બૉડીથી જ શરૂ થશે."
અનિલ ચૌધરીએ જણાવ્યું કે અમ્પાયરિંગ શરૂ કરવા માટે કોઈ પરીક્ષા નથી હોતી, પરંતુ જ્યારે રાજ્યનાં ક્રિકેટ ઍસોસિયેશન પૅનલ બનાવે છે, ત્યારે તેમાં પરીક્ષા દ્વારા પસંદગી થાય છે, જે તેઓ પોતે જ કરાવે છે.
તેમણે કહ્યું, "બીસીસીઆઇ સાથે જોડાવા માટે પહેલાં લોકલ મૅચોમાં અનુભવ લેવો જરૂરી છે. ત્યાર પછી સ્ટેટ ઍસોસિયેશન જે નામ મોકલે છે તેમણે બીસીસીઆઇની પરીક્ષા આપવાની હોય છે. પહેલાં બીસીસીઆઇ લેવલ 1 અને લેવલ 2ની પરીક્ષા કરાવતું હતું, પરંતુ હવે એક જ પરીક્ષા થાય છે."

અમ્પાયરને કામ કઈ રીતે મળે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે પણ ક્રિકેટ ઍસોસિયેશન અમ્પાયરો માટે પરીક્ષા કરાવે છે, ત્યારે સામાન્ય રીતે તેઓ સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા કે બાકીનાં પ્લૅટફૉર્મ પર જણાવે છે કે પરીક્ષા ક્યારે લેવાના છે.
અનિલ ચૌધરીએ કહ્યું, "ઘણાં બધાં સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશન પહેલાં પોતાની પરીક્ષા કરાવે છે, પછી જ્યારે બીસીસીઆઇની અમ્પાયરિંગની પરીક્ષા હોય છે ત્યારે તેમના માટે નામ મોકલે છે. સામાન્ય રીતે તેમનાં જ નામ મોકલવામાં આવે છે જે અમ્પાયરિંગ કરે છે અને સાથે સ્ટેટના નવા નવા નિયમોથી માહિતગાર રહે છે."
તેઓ જણાવે છે કે પરીક્ષાની પદ્ધતિ છે કે પહેલાં થીઅરી, પછી પ્રૅક્ટિકલ અને છેલ્લે વાયવા થશે. ત્રણેય પરીક્ષાઓના મળીને 90 ટકા માર્ક લાવવાથી આગળ વધી શકાય છે.
અનિલ ચૌધરી અનુસાર બીસીસીઆઇની પરીક્ષા પાસ કર્યા પછી અમ્પાયરિંગ માટે મૅચ મળવા લાગે છે, પરંતુ શરૂઆતમાં જૂનિયર લેવલની મૅચ મળે છે, જેવી કે અન્ડર-15, અન્ડર-19. ધીમે ધીમે ગુણવત્તામાં સુધારો થયા પછી પર્ફૉર્મન્સ સારું થયા પછી બીસીસીઆઇ પ્રમોટ કરે છે.
જાણકારો અનુસાર ત્યાર પછી સિનિયર મૅચમાં અમ્પાયરિંગ શરૂ થાય છે, જેમ કે, દલીપ ટ્રૉફી, રણજી ટ્રૉફી, ટી-20, ટી-20 નૉકઆઉટ. આ સફર લગભગ પાંચ-છ વર્ષની હોય છે.
ત્યાર પછી જે સારા અમ્પાયર હોય છે, તેમને સૌથી પહેલાં આઇપીએલ મૅચ મળે છે. પછી ઇન્ટરનૅશનલ મૅચ પણ મળવા લાગે છે.
ચૌધરી અનુસાર, બીસીસીઆઇમાં લગભગ 150 અમ્પાયર છે. સરેરાશ દર ત્રણ વર્ષમાં એક વખત વૅકેન્સી બહાર પડે છે.

આઇસીસીમાં કઈ રીતે જગ્યા મળે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઇસીસીએ દુનિયાભરના બેસ્ટ અમ્પાયર્સની એક પૅનલ બનાવી છે. આ પૅનલ પહેલી વાર વર્ષ 2002માં બની હતી.
અત્યારે આ પૅનલમાં ભારતના નીતિન મેનન પણ એક સભ્ય છે. વર્લ્ડ કપ કે ટેસ્ટ સિરીઝ જેવી કોઈ પણ મોટી આઇસીસી ટૂર્નુમેન્ટમાં અમ્પાયરિંગની જવાબદારી આ પૅનલના સભ્યો પર હોય છે.
એસકે બંસલ આ પૅનલના સભ્ય રહી ચૂક્યા છે.
તેમણે જણાવ્યું, "બીસીસીઆઇના બધા અમ્પાયર્સમાંથી ફક્ત બે-ચાર જ ઇન્ટરનૅશનલ અમ્પાયર બની શકે છે. જેમ જેમ તેમનો અનુભવ વધતો જાય છે અને બીસીસીઆઇ તરફથી તેમના દરેક મૅચના પર્ફૉર્મન્સનો રિપોર્ટ તૈયાર કરાય છે, પછી તેના આધારે ઇન્ટરનૅશનલ અને ટેસ્ટ મૅચ મળે છે."
એસકે બંસલે કહ્યું, "એલીટ પૅનલનો મતલબ છે, એક્સ્ટ્રા ઑર્ડિનરી અમ્પાયરિંગ. ઇન્ટરનૅશનલ મૅચ, જેમ કે વર્લ્ડકપ હોય કે એશિયા કપ હોય, એમને જ અમ્પાયરિંગ માટે બોલાવવામાં આવે છે, કેમ કે તેમના દ્વારા ભૂલ થવાની સંભાવના નહિવત્ હોય છે."

અમ્પાયર બનવા માટે કયા વિષયનો અભ્યાસ કરવાનો?

ઇમેજ સ્રોત, Getty Images
હવે સવાલ એ પણ છે કે જો કોઈ વિશેષ ડિગ્રીની જરૂર નથી, તો પછી અમ્પાયર બનવા માટે શું ભણવું જોઈએ? તેના માટે જરૂરી સ્ટડી મટીરિયલ શું છે અને તે ક્યાંથી મળી શકે છે?
અનિલ ચૌધરીએ કહ્યું:
- સૌથી પહેલાં, તમારી પાસે એમસીસી (મેરિલેબોન ક્રિકેટ ક્લબ) લૉ બુક હોવી જોઈએ. તે ઇન્ટરનેટ કે દુકાનમાંથી સરળતાથી મળી જશે.
- એક બીજું પુસ્તક છે, જે લૉનો કૉન્સેપ્ટ સમજવામાં મદદ કરે છે. તે છે ટૉમ સ્મિથનું 'ક્રિકેટ અમ્પાયરિંગ ઍન્ડ સ્કોરિંગ'. તેની નવી આવૃત્તિ જ ખરીદવી.
- ત્યાર પછી બીસીસીઆઇની જે લેટેસ્ટ પ્લેઇંગ કન્ડિશન્સ છે, તે પણ વાંચી લો. કેમ કે, પરીક્ષા બીસીસીઆઇની પ્લેઇંગ કન્ડિશન્સ પર થશે.
- અનિલ ચૌધરી અનુસાર, બીસીસીઆઇ ઇચ્છે છે કે એવા લોકો અમ્પાયરિંગ કરે જેઓ રમે પણ છે, પરંતુ તેમની પસંદગીની પ્રક્રિયા પણ આ જ છે.

ફિટનેસ કેટલી જરૂરી?

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારો કોઈ પણ કૅન્ડિડેટ માટે મેડિકલ ફિટનેસને જરૂરી ગણાવે છે.
જો કોઈની આંખો નબળી છે, પરંતુ તે ચશ્માં સાથે જોવામાં સક્ષમ છે, તો પછી એવા લોકોની પસંદગીમાં મુશ્કેલી નથી થતી.
અનિલ ચૌધરીએ કહ્યું, "વજન, કાન, આંખ આ બધામાં કૅન્ડિડેટનું ફિટ હોવું જરૂરી છે. વધુ વજનના કોઈ અમ્પાયર કઈ રીતે સાત-આઠ કલાક મેદાનમાં ઊભા રહેશે, આજકાલ રમત એટલી ફાસ્ટ થઈ ગઈ છે. જો ફિઝિકલી ફિટ ન હોય, તો માનસિક રીતે પણ થાક લાગે છે. પછી બધી ગરબડ થાય છે."
તેઓ કહે છે કે અભ્યાસ કરતાં વધારે મહત્ત્વની સ્કિલ છે. જે જરૂરી છે. જેમ કે, આત્મવિશ્વાસ હોવો જોઈએ. જજમેન્ટનો પાવર અને સમજ હોવાં જોઈએ. મેદાન માટે સન્માન હોવું જોઈએ. કૉમ્યુનિકેશન સારું હોવું જોઈએ. પરંતુ તેનો મતલબ એ નથી કે તમે ફક્ત અંગ્રેજી જાણતા હોવ.
તો, એસકે બંસલે કહ્યું, "ચશ્માં સાથે પણ સ્પષ્ટ દેખાવું જોઈએ. કેમ કે જો બૉલ જ ન દેખાય, તો પછી શું કરી લેશો! એટલા ફિટ હોવા જોઈએ કે બૉલની સાથે સાથે મારી મૂવમેન્ટ પણ હોય. ધારો કે બૅટ્સમૅન સામેનો શૉટ મારી દે અને હું મને જ ન બચાવી શકું, તો પછી શાનો અમ્પાયર! જેમ બૅટ્સમૅનને ખબર હોય છે કે કઈ રીતે પોતાના શરીરને બચાવીને બૉલને બૅટ ફટકારવાનું છે, બિલકુલ એ રીતે જ અમ્પાયરે પણ પોતાની બૉડીનું ધ્યાન રાખવાનું હોય છે; અને એવું ફિટનેસ દ્વારા જ શક્ય છે."

અમ્પારિંગ કરવાના પૈસા કેટલા મળે છે?
જાણકારો અનુસાર, અમ્પાયરિંગ એક એવો વ્યવસાય છે, જેમાં સારા એવા પૈસા મળે છે અને સાથે સગવડો પણ.
અનિલ ચૌધરી અનુસાર, "ફાઇવ સ્ટાર કે ટૉપ ક્વૉલિટી હોટલમાં રોકાવા મળે છે, એર ફેર મળે છે. કેટલાંક બીજાં ભથ્થાં પણ મળે છે. બીસીસીઆઇ ડૉમેસ્ટિક ક્રિકેટમાં એટલી સુવિધાઓ મળે છે, જે ઘણા દેશોમાં ઇન્ટરનૅશનલ અમ્પાયરોને પણ નથી મળતી."
તેમણે જણાવ્યું કે, આજકાલ જે ક્લબ મૅચ રમાય છે, તેમાં એક અમ્પાયરને સરેરાશ એક દિવસના ત્રણ હજાર રૂપિયાની આસપાસની રકમ મળે છે. આ ઉપરાંત, મુસાફરી ખર્ચ, રહેવાનો ખર્ચ પણ મળે છે.
તેમના અનુસાર, "બીસીસીઆઇમાં જ્યારે તમે અમ્પાયરિંગ શરૂ કરો છો તો મૅચના દિવસે 40 હજાર રૂપિયા મળે છે. જો મૅચ પાંચ દિવસની હોય, તો ભલે ને મૅચ બે દિવસમાં પતી જાય, પૈસા પાંચ દિવસના જ મળે છે. બીસીસીઆઇમાં જે શરૂઆત કરે છે, તેમને વર્ષમાં લગભગ ચાલીસ દિવસ અમ્પાયરિંગ કરવા મળે છે, કેટલાક લોકો 70 દિવસ પણ કરે છે."
અનિલ ચૌધરી અનુસાર, "બસ, તમારામાં ક્ષમતા, કૌશલ હોવાં જરૂરી છે કે તમે મેદાનમાં ઠંડી-ગરમી, ધૂળ અને આક્રમક રમત વચ્ચે પણ સંયમથી ટકી રહો."
અમ્પાયરની રિટાયર થવાની ઉંમર 65 વર્ષ છે, પરંતુ સામાન્ય રીતે લોકો 60 વર્ષે રિટાયરમેન્ટ લઈ લે છે, પરંતુ ત્યાર પછી તેમને બીસીસીઆઇ તરફથી કોઈ સુવિધા નથી મળતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












