મહાકુંભમાં મચેલી નાસભાગ બાદ બીબીસી સંવાદદાતાઓએ શું-શું જોયું? તસવીરોમાં જુઓ પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, Reuters
મહાકુંભમાં બુધવારે મૌની અમાવસ્યાના અમૃત સ્નાન(શાહી સ્નાન) સમયે મચેલી નાસભાગમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મૃત્યુ થયાં હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
પ્રયાગરાજમાં ઉપસ્થિત બીબીસી સંવાદદાતા વિકાસ પાંડેએ એક સ્વાસ્થ્ય કર્મચારી સાથે વાત કરી, તેમણે આ 12 મૃત્યુની ખબરની પુષ્ટિ કરી છે.
ઓળખ ન બતાવવાની શરતે આ આરોગ્ય કર્મચારીએ જણાવ્યું કે તેમણે ઘટનાસ્થળે ઘણા મૃતદેહો જોયા છે.
જોકે, પ્રશાસને મૃતકાંક વિશે કોઈ અધિકારિક જાણકારી આપી નથી.
ઍમ્બુલંસની અવરજવર યથાવત્

ઇમેજ સ્રોત, Getty Images
પ્રયાગરાજમાં કુંભ મેળા ક્ષેત્રમાં ઉપસ્થિત બીબીસી સંવાદદાતા વિકાસ પાંડેએ જણાવ્યું છે કે ઘટનાને થયે ઘણા કલાકો વિત્યા છતાં પ્રશાસને આ વિશે ગંભીરતાથી કોઈ જાણકારી આપી નથી.
તેમણે કહ્યું, "આ દરમિયાન કુંભ ક્ષેત્રમાં ઍમ્બુલંસની અવરજવર યથાવત્ છે. પ્રશાસને ઘાયલો અને મૃતકો મામલે કોઈ આંકડો જાહેર કર્યો નથી. હું મેળાના મુખ્ય પ્રવેશદ્વાર પર છું, જ્યાંથી હજુ પણ લાખો યાત્રીઓની અવરજવર ચાલુ છે."
તેમણે એમ પણ કહ્યું કે ઘટના બાદ લગભગ 10 ઍમ્બુલંસ મુખ્ય પ્રવેશદ્વારથી અંદર આવી હતી.
વિકાસ પાંડેેએ જણાવ્યું કે ભીડને નિયંત્રિત કરવા માટે ઘણાં પગલાં ઉઠાવવામાં આવ્યાં અને ત્યાર બાદ નાના સમૂહોમાં જ લોકોને મેળામાં જવાની પરવાનગી આપવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "અમે જ્યારે પણ લોકો સાથે વાતચીત કરીએ છીએ ત્યારે તેઓ અમને પૂછે છે કે ખરેખર થયું છે શું? તેમના સવાલ એ હતા કે પોલીસ અને તંત્ર શું કરતાં હતાં, કેટલા લોકો માર્યા ગયા છે? જોકે, તેના પર તંત્રનો કોઈ જવાબ નથી આવ્યો."

ઇમેજ સ્રોત, Reuters
કુંભ મેળામાં ઉપસ્થિત અન્ય સંવાદદાતા સુમેધા પાલે જણાવ્યું કે ત્રિવેણી સંગમ ઘાટ પર નાસભાગની ઘટના થઈ, કુંભ ક્ષેત્ર 40થી 45 કિલોમીટર વિસ્તારમાં છે અને અહીં 25 સેક્ટર છે.
સુમેધા પાલે કહ્યું કે શ્રદ્ધાળુ ત્રિવેણી ઘાટ પર જ ડૂબકી લગાવવાની ઇચ્છા રાખે છે.
કુંભ મેળા ક્ષેત્રના સેક્ટર-2 ખાતેની હૉસ્પિટલમાં બીબીસી સંવાદદાતાએ કેટલાક પીડિતોના પરિવારજનો સાથે વાતચીત કરી.
તેમણે ગુડ્ડૂ નામના એક સાક્ષી સાથે વાત કરી જેમણે ઘટના વિશે જણાવતા કહ્યું કે નાસભાગની ઘટના બાદ તેમનાં પત્ની અને બહેન ગુમ થઈ ગયાં છે. તેઓ તેમને શોધી રહ્યા છે પણ તેમનો પત્તો નથી.
આ સાક્ષીએ કહ્યું કે નાસભાગની ઘટના બુધવાર રાત્રે 1થી 2 વચ્ચે થઈ કારણકે બહુ વધારે ભીડ હતી અને તે દરમિયાન ઘક્કા-મુક્કી થઈ અને લોકો વિખૂટા પડી ગયા.
સુમેધા પાલ સાથેની વાતચીતમાં એક પીડિત મહિલાએ જણાવ્યું કે તેઓ નાસભાગમાં પડી ગયાં હતાં અને તેઓ જ્યાં પડ્યાં ત્યાં ત્રણ લોકો દબાયેલા હતા જેમનું મોત થઈ ચૂક્યું હતું.
'મૃતદેહોને લઈ જતા જોયા'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કુંભમાં ઉપસ્થિત બીબીસી સંવાદદાતા સમીરા હુસૈને જણાવ્યું છે કે તેમણે બે સપ્તાહ પહેલાં કુંભ વિશે રિપોર્ટિંગ કર્યું હતું. ઉદ્ઘાટન સમયે તેમણે કહ્યું હતું કે તેમને આ વખતે કુંભના ધાર્મિક તહેવારમાં અભૂતપૂર્વ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડશે.
તેમણે કહ્યું કે બુધવારે તટ પર તેમણે લોકોની ભીડ જોઈ છે, તે ઉદ્ઘાટનના દિવસની સરખામણીએ કંઈજ નથી.
સમીરાએ કહ્યું, "અલગ-અલગ દિશાઓમાંથી લોકો સંગમ તટે પહોંચવાની કોશિશ કરી રહ્યા છે."
તેમણે જણાવ્યું, "અહીં મોટી સંખ્યામાં પોલીસ ઉપસ્થિત છે. પરંતુ આ વખતે ભીડને કારણે તેઓ પણ પરેશાન થઈ ગયા. મેં લોકોને બૅરિકેડ્સ હઠાવતા, તેમના ઉપર ચઢતા અને તેમને તોડતા જોયા છે."
નાસભાગ બાદ ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરતાં તેમણે કહ્યું કે અહીં લોકોનો સામાન પડેલો છે. જેમાં લોકોનાં જોડાં, ઘાબળા, બૅગ અને કપડાં વિખરાયેલાં પડ્યાં છે.
તેમણે વધુમાં જણાવ્યું, "સાક્ષીઓએ જણાવ્યું છે કે અહીં હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા અને બીજી તરફ ગંગાનો એ ઘાટ છે, જ્યાં લોકો જવા ઇચ્છતા હતા. અમે ત્યાંથી મૃતદેહોને સ્ટ્રેચર પર લઈ જતા જોયા છે પરંતુ તે વિશે કોઈ અધિકારિક નિવેદન આવ્યું નથી."
"મેં એક મહિલાને સ્ટ્રેચરની બાજુમાં રડતાં જોયાં. બીજા એક વ્યક્તિ સ્ટ્રેચરમાં બાજુમાંથી પસાર થતા મૃતદેહને ચાદરથી ઢાંકતી હતી. આ બધું મુખ્ય સ્નાન ઘાટ પર થયું છે."
"આ બધું બહુ અસાધારણ છે. કે ઘટના બાદ પણ ત્યાં માહોલ હવે કંઈક અલગ છે અને ફરીથી લાખો લોકો ત્યાં ઉપસ્થિત છે. આ લોકોની આસ્થાનો વિષય છે જે તેમને અહીં લાવે છે અને તેઓ પવિત્ર નદીમાં સ્નાન કરવા તૈયાર છે."

ઇમેજ સ્રોત, ANI
બીબીસી સંવાદદાતા વિકાસ પાંડેને એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે સવારે આઠ વાગ્યાથી તેઓ ચાલ્યે જાય છે. તેમની સાથેની વાતચીતમાં તેમને ત્યાં અરાજકતાની સ્થિતિ વિશેનો અંદાજ આવ્યો.
મેળામાં આવનારા તમામ શ્રદ્ધાળુઓ ઘાટ પર પહોંચનારા લોકો પરેશાન છે તથા પ્રશાસનના લોકો તેમને અલગ-અલગ જગ્યાએ મોકલતા હતા.
એક શ્રદ્ધાળુએ વિકાસ પાંડેને જણાવ્યું કે પોલીસ કર્મચારી તેમને યોગ્ય સરનામું નથી જણાવતા, સ્ટેશનથી લઈને ખોટાં સરનામાં જણાવે છે.
બીબીસીને આયેશા મિશ્રા નામનાં એક શ્રદ્ધાળુએ બુધવારે થયેલી ગંગા ઘાટ પર નાસભાગની તસવીર વર્ણવી. તેમણે કહ્યું, "એક જ રસ્તા પરથી લોકો આવ-જા કરતા હતા. આ દરમિયાન જ ધક્કા-મુક્કી થઈ જેને કારણે લોકોને સામે પડતા જોયા. પોલીસ ક્યાં તો ઘાટ પર છે અથવા તો દ્વાર પર છે, વચ્ચે પોલીસ ક્યાંય નથી."
ખોવાઈ ગયેલા લોકો માટે બનેલા કૅમ્પનો હાલ

ઇમેજ સ્રોત, Getty Images
નાસભાગ બાદ બીબીસી સંવાદદાતા વિકાસ પાંડેએ કુંભ મેળામાં ખેવાયેલા લોકો માટે બનાવાયેલા કેન્દ્રમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે અરાજકતાનો માહોલ હતો.
તેમણે જણાવ્યું કે "નાસભાગ બાદ લોકો પોતાના ખોવાયેલા સ્વજનો સાથે ત્યાં છે. ઘોષણા હજુ થતી નથી. નાનાં બાળકો સાથે જેઓ વિખૂટા પડ્યાં છે તેઓ અહીં છે, વૃદ્ધો અને મહિલાઓ પણ અહીં છે."
"લોકોએ જણાવ્યું કે તેમણે નાસભાગમાં દબાતા લોકોને જોયા. ખોવાયેલા લોકોને માટે બનાવાયેલા કૅમ્પમાં કે જે લગભગ પહેલાં શાંત હતો ત્યાં આજે અરાજકતાનો માહોલ છે."
સરકારી આંકડા પ્રમાણે મૌની અમાવસ્યાના દિવસે અમૃત સ્નાન માટે બુધવારે સવારે 8 વાગ્યા સુધી લગભગ 2.8 કરોડ લોકો સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે.
યુપી સરકાર તરફથી જાહેર આંકડા અનુસાર 29 જાન્યુઆરીએ સાંજે ચાર વાગ્યા સુધીમાં પાંચ કરોડથી વધુ લોકોએ ગંગામાં ડૂબકી લગાવી છે.
સરકારી આંકડા પ્રમાણે 13 જાન્યુઆરીથી શરૂ થયેલા આ મેળામાં અત્યાર સુધી લગભગ 20 કરોડ લોકોએ સ્નાન કર્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















