ઇન્ડોનેશિયા : અજગર મહિલાને આખેઆખી ગળી ગયો, આવું કઈ રીતે થયું?

ઇમેજ સ્રોત, Getty Images

- અજગર ખરેખર મનુષ્યને ગળી શકે?
- અજગર મનુષ્યને ગળી જાય એ ભલે અશક્ય જણાતી હોય પણ ઇન્ડોનેશિયામાં આવું ઘણી વખત બની ચૂક્યું છે.
- પોતાનાં કરતાં મોટાં પ્રાણીઓને ઓનો પણ અજગર સરળતાથી શિકાર કરી શકે છે?

ઇન્ડોનેશિયામાં અજગર એક મહિલાને ગળી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ મહિલા બગીચામાં કામ કરતી હતી અને અચાનક ગુમ થઈ ગઈ હતી.
સ્થાનિકોએ જણાવ્યું કે, રવિવારે સવારે રબરના એક બગીચામાં કામ કરવા જઈ રહેલાં 50 વર્ષીય ઝારા નામનાં મહિલા પર અજગરે હુમલો કર્યો હતો. એ બાદની તપાસમાં મોટા પેટવાળો અજગર મળી આવ્યો હતો.
લોકોનું કહેવું છે કે ઝારા પર હુમલો કરનારા અજગરની લંબાઈ 5 મીટર (લગભગ 16 ફૂટ) હતી. પરંતુ શું ખરેખર અજગર મનુષ્યને ગળી શકે?
બેતારા જૉમ્બી પોલીસ પ્રમુખ એકેપી હરેફાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, "ઝારાનું શરીર અજગરના પેટમાં હતું."
તેમણે કહ્યું કે, અજગર 5 મીટર લાંબો હતો અને મહિલાના શરીરને કોઈ નુકસાન થયું નથી.
જોકે અજગરનું મનુષ્યને ગળી જવું દુર્લભ છે, પરંતુ ઇન્ડોનેશિયામાં આવું પહેલી વાર બન્યું નથી. આ પહેલાં પણ 2017 અને 2018માં અજગરના ગળી જવાથી એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

અજગર કેવી રીતે હુમલો કરે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડોનેશિયામાં છેલ્લાં પાંચ વર્ષમાં જે અજગરોએ મનુષ્યને માર્યા છે, તે 'રેટિક્યુલેટેડ અજગર' પ્રજાતિના છે અને દક્ષિણપૂર્વ એશિયામાં વધારે પ્રમામમાં જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રકારના અજગર મહત્તમ 32 ફૂટ સુધી વધી શકે છે. તે ઘણા શક્તિશાળી પણ હોય છે.
શિકાર પર હુમલો કર્યા બાદ આ અજગરો એના ફરતે વીંટળાઈ જાય છે અને પોતાની પકડને મજબૂત કરી લે છે. શિકારને અધમરો કરીને એ એને ગળી જાય છે.
ચારે બાજુથી કસીને જકડાયા બાદ મિનિટોમાં જ એ શિકારને ગભરામણ થવા લાગે છે અને શ્વાસ રોકાવાથી એ મૃત્યુ પામે છે.
અજગર ખોરાક ગળી જતો હોય છે. તેનાં જડબાં વધુ સ્થિતિસ્થાપક હોય છે, તેથી અજગર માટે ભોજન ગળી જવું શક્ય છે, ભલે તે ગમે તેટલું મોટું કેમ ન હોય.
અજગરોનાં વિશેષજ્ઞ મેરી રુથ લોવે બીબીસીને જણાવ્યું હતું કે જ્યારે લોકોને ખાઈ જવાની વાત આવે છે ત્યારે ખભા અજગર માટે મુખ્ય અડચણ બનતા હોય છે અને અન્ય હાડકાંની વિરુદ્ધ એને જોરથી દબાવાતાં પણ એ તૂટતા નથી.
મેરી સિંગાપોર વન્યજીવ અભ્યારણમાં એક સંરક્ષણ અને અનુસંધાન અધિકારી તરીકે કામ કરે છે.

અજગર પોતાનાથી મોટાં પ્રાણીને ખાઈ શકે?

ઇમેજ સ્રોત, By Ronal Afedi Photo/AFP Getty Images
મેરીનું કહેવું છે કે સામાન્ય રીતે અજગર સસ્તન પ્રાણીઓ અને ક્યારેક-ક્યારેક મગર જેવાં સરિસૃપો પણ ખાય છે. સામાન્ય રીતે અન્ય સાપોની જેમ તે ઉંદર અને અન્ય નાનાં પ્રાણીઓને ખાતા હોય છે. પરંતુ આકારમાં મોટા થઈ ગયા બાદ અજગર ઉંદર જેવાં નાનાં જાનવરો પર નિર્ભર રહી શકતા નથી.
એટલે એ મોટા પ્રાણીઓનો શિકાર કરે છે. એ ડુક્કર અને ગાય જેવાં મોટાં પ્રાણીઓને પણ નિશાન બનાવી શકે છે.
ક્યારેક-ક્યારેક અજગર પોતાના શિકારનું સારી રીતે આકલન કરી શકતા નથી અને એનો શિકાર કરવાના અસફળ પ્રયાસો કરતા હોય છે. આવી જ એક ઘટના વર્ષ 2005માં અમેરિકાના ફ્લોરિડામાં ઘટી હતી.
ત્યાં એક અજગરે એક વિશાળ મગરનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનામાં અજગર અને મગર બંનેનાં મૃત્યુ થયાં હતાં. વન્યઅધિકારીઓએ બન્ને મૃત્ય હાલતમાં મળી આવ્યા હતા.

માનવનો શિકાર- આવું પ્રથમ વખત નથી થયું

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરની ઘટનાઓ સહિત ઇન્ડોનેશિયામાં છેલ્લાં પાંચ વર્ષમાં આવી ત્રણ ઘટનાઓ ઘટી છે.
2018માં સુલાવેસી પ્રાંતમાં એક મહિલા પોતાના શાકભાજીના બગીચામાં ગુમ થઈ ગઈ હતી. ઘટનાસ્થળેથી એનાં ચંપલ મળી આવ્યાં હતાં. જ્યારે એનાથી 30 મીટર દૂર એક ફૂલેલા પેટવાળો એક અજગર પણ મળી આવ્યો હતો.
એ વખતે સ્થાનિકોને શંકા ગઈ હતી અને તેમણે અજગરને મારીને એનું પેટ ચીર્યું હતું. અજગરના પેટમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
વર્ષ 2017માં સુલાવેસીમાં 7 મીટર લાંબો અજગર એક ખેડૂતને ગળી ગયો હતો. વર્ષ 2002માં દક્ષિણ આફિક્રામાં એક 10 વર્ષના બાળકને અજગર ગળી ગયો હતો.
વર્ષ 2017માં ઇન્ડોનેશિયાના સુમાત્રા પ્રાંતમાં એક વ્યક્તિ પર 8 મીટરના અજગરે તાડના બગીચામાં હુમલો કર્યો હતો. પરંતુ એણે સામનો કર્યો અને ગંભીરરૂપે ઘાયલ થવાથી બચી ગઈ.
આ પહેલાં પણ દુનિયાના કેટલાક ભાગમાં અજગરના મનુષ્યને ગળવાની ઘટનાઓ ઘટી હતી, પરંતુ તેની પુષ્ટિ કરી શકાઈ નહોતી.
માનવવિજ્ઞાની થૉમસ હેડલૅન્ડે ફિલીપાઇન્સમાં 'અગતા' જનજાતિના શિકારીઓ સાથે કેટલાય દાયકાઓ વિતાવ્યા. તેમનું કહેવું છે કે જનજાતિના એક ચતુર્થાંશ પુરુષો પર ક્યારેકને ક્યારેક અજગરોએ હુમલો કર્યો જ છે.
આમાંથી ક્યારેક નાનાં કદકાઢીના લોકોને અજગર ખાઈ ગયો હોવાનું પણ થૉમસના અભ્યાસમાં જાણવા મળ્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.આજે સૂર્યગ્રહણ, ભારતમાં પડનારી અસર અહીં જાણો













