યુકેની હાઈકોર્ટે વિજય માલ્યાની પ્રત્યર્પણ વિરુદ્ધની અરજી ફગાવી

બૅન્કોના કરોડો રૂપિયા મામલે જેમના ઉપર છેતરપિંડી આરોપો છે તે વિજય માલ્યાના ભારત પ્રત્યપર્ણના કેસમાં હાઈકોર્ટે વિજય માલ્યાની દલીલ ફગાવી દીધી છે.

અગાઉ નીચલી કોર્ટેમાં હાર બાદ વિજય માલ્યાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

વિજય માલ્યા પર 9000 કરોડની ઉચાપતનો આરોપ છે.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં વિજય માલ્યાને ભારત મોકલવા અંગે યૂકે સરકારની મંજૂરી મળી ગઈ હતી અને તેની સામે વિજય માલ્યાએ અપીલ કરી હતી.

હવે પ્રીતિ પટેલ પર આધાર

યુકેના કાયદા મુજબ હવે આ ચુકાદા પછી વિજય માલ્યાને અપીલ કરવા માટે 14 દિવસનો સમય મળશે.

જસ્ટિસ ઇરવિન અને ઍલિસબૅથના ચુકાદા પછી આ અંગે રજૂઆતો યુકેના ભારતીય મૂળનાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પાસે જશે.

જો હાઈકોર્ટના ચુકાદા સામે વિજય માલ્યા અપીલ ન કરે તો 28 દિવસમાં એમને યુકેથી ભારત મોકલી દેવામાં આવશે.

જો અપીલ કરશે તો ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થવામાં હજી વાર લાગી શકે છે.

જોકે, અગાઉ હોમ ડિપાર્ટમેન્ટ વેસ્ટમિનિસ્ટર્સ કોર્ટના ચુકાદા પર મંજૂરી આપી ચૂક્યો છે ત્યારે હાઈકોર્ટના ચુકાદા સામે વિરોધની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે.

અગાઉ શું બન્યું?

અગાઉ વૅસ્ટમિનસ્ટર કોર્ટના પ્રત્યાર્પણ સંબંધિત ચુકાદાની ફાઇલ હોમ સેક્રેટરી સાજીદ જાવીદને મોકલી આપવામાં આવી હતી, જેની ઉપર તેમણે મંજૂરીની મહોર મારી હતી.

વિજય માલ્યાના કહેવા પ્રમાણે, તેઓ નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં અપીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

વિજય માલ્યા પર ભારતની બૅન્કો સાથે હજારો કરોડની છેતરપીંડી કરવાનો આરોપ છે. માલ્યા માર્ચ 2016માં ભારત છોડી લંડન જતા રહ્યા હતા.

માલ્યાને ભારત પરત લાવવા માટે કેન્દ્રની એજન્સીઓએ કાનૂની લડાઈ શરૂ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો