મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનોના 700 ઘર સળગાવાયાં

ઇમેજ સ્રોત, BBC BURMESE
માનવ અધિકાર માટે કાર્યરત હ્યુમન રાઇટ્સ વૉચના કહેવા પ્રમાણે, મ્યાનમારમાંથી મળેલી સેટેલાઈટ તસવીરો પરથી સ્પષ્ટ જણાય છે કે રોહિંગ્યા મુસલમાનોના એક ગામમાં 700થી વધુ ઘર સળગાવી દેવાયા છે.
ગ્રૂપનું કહેવું છે કે તાજેતરની તસવીરો ઉત્તર રખાઇનમાં પ્રવર્તમાન હિંસાના તાંડવ અંગે ગંભીરતાથી વિચારવા મજબૂર કરે છે.
સંયુક્ત રાષ્ટ્રના કહેવા પ્રમાણે, પૂર્વોત્તર મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો તથા સુરક્ષાબળો વચ્ચે સંઘર્ષ ફાટી નીકળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 400 લોકો માર્યા ગયા છે.

ઇમેજ સ્રોત, AFP GETTY
હિંસાને કારણે રોહિંગ્યા મુસ્લિમોની બહુમતીવાળા ગામડામાંથી લગભગ 40 હજાર લોકો બાંગ્લાદેશ પલાયન કરી ગયા છે.

ઇમેજ સ્રોત, Reuters
બાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સીના વરિષ્ઠ અધિકારી વિવિયન ટેનના કહેવા પ્રમાણે, "એક અંદાજ મુજબ તાજેતરમાં જ નવા દસ હજાર લોકો શરણાર્થી કેમ્પમાં આવ્યા."

ઇમેજ સ્રોત, Reuters
વિસ્થાપિત રોહિંગ્યા મુસ્લિમોનો આરોપ છે કે, સૈનિકો ઈરાદાપૂર્વક તેમના ઘરોમાં આગ લગાવે છે. જો કે મ્યાનમારની સરકાર આ આરોપોને નકારે છે.








