ગુલામ નબી આઝાદનું રાજીનામું, 'જે રિમોટ કંટ્રોલ મૉડલથી સરકારનું પતન થયું એનો કૉંગ્રેસમાં અમલ થઈ રહ્યો છે'

કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીનાં તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે અને પ્રાથમિક સભ્યપદ પરથી પણ રાજીનામું આપી દીધું છે.

સમાચાર એજન્સી એએનઆઈએ ટ્વિટર પર ગુલાબ નબી આઝાદે કૉંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને સંબોધીને લખેલું રાજીનામું મૂક્યું છે.

આ પહેલાં 18 ઑગસ્ટે તેમણે જમ્મુ-કાશ્મીરમાં કૉંગ્રેસની ચૂંટણી સમિતિનમા પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું.

તેમણે રાજીનામામાં લખ્યું છે કે '50 વર્ષ જૂનો ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ સાથેનો નાતો તોડતાં મને ખૂબ જ દુખ થઈ રહ્યું છે.'

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિશે શું લખ્યું?

તેમણે સોનિયા ગાંધીને સંબોધીને લખ્યું છે કે, 'તમે પાર્ટીની કમાન સંભાળી એ પછી 1998, 2003 અને 2013માં પાર્ટીનું નેતૃત્વ મનોમંથન માટે મળ્યું હતું. દુખ સાથે કહેવું પડે છે કે તેમાં આવેલાં સૂચનો ક્યારેય લાગુ ન થયાં.'

'2013માં જયપુર ખાતે 2014ની લોકસભા ચૂંટણી અંગે મેં ઍક્શન પ્લાન આપ્યો હતો, જેને કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ મંજૂરી રાખ્યો હતો.'

'આ સૂચનો છેલ્લાં નવ વર્ષથી એઆઈસીસીના સ્ટોરરૂમમાં પડ્યાં છે.'

તેઓ આગળ લખે છે કે, 'તમારા અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં 2014ની લોકસભા ચૂંટણીમાં કારમી હાર થઈ. પાર્ટી એ પછી માત્ર ચાર રાજ્યોમાં એકલાહાથે ચૂંટણી જીતી શકી.'

'2019 બાદ પાર્ટીનું ચૂંટણીમાં પ્રદર્શન સતત કથડ્યું છે.'

તેમણે લખ્યું છે કે, 'જે રિમોટ કંટ્રોલ મૉડલના કારણે યુપીએ સરકારનું પતન થયું તેનો હવે કૉંગ્રેસ પાર્ટીમાં પણ અમલ થઈ રહ્યો છે.'

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો