RSS પ્રમુખ મોહન ભાગવતે જ્ઞાનવાપી અને શિવલિંગ પર મત પોતાનો મત વ્યક્ત કરતાં શું કહ્યું?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જ્ઞાનવાપી મુદ્દો, મસ્જિદોમાં શિવલિંગ મળવા પર અને મંદિર આંદોલન જેવા ઘણા મુદ્દે પોતાનો મત રજૂ કર્યો છે.

મોહન ભાગવત

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, નાગપુરમાં સંઘ શિક્ષા વર્ગ, તૃતીય વર્ષ 2022ના સમાપન સમારોહ દરમિયાન મોહન ભાગવત

નાગપુરમાં સંઘશિક્ષાવર્ગ, તૃતીય વર્ષ 2022ના સમાપન સમારોહ દરમિયાન સર સંઘચાલકે જ્ઞાનવાપી મામલે કહ્યું કે આપણે ઈતિહાસ બદલી શકતા નથી.

તેમણે કહ્યું, "જ્ઞાનવાપીનો મુદ્દો ચાલી રહ્યો છે. જે ઇતિહાસ છે આપણે તેને બદલી શકતા નથી. ઇતિહાસને ન તો આજના હિન્દુઓએ બનાવ્યો છે, ન તો આજના મુસલમાનોએ. એ ભૂતકાળમાં બનેલી ઘટનાઓ છે."

"ઇસ્લામ હુમલાખોરો દ્વારા બહારથી આવ્યો. તેમના હુમલામાં ભારતની આઝાદી ઇચ્છનારા લોકોનું મનોબળ તોડવા માટે દેવસ્થાનોને તોડવામાં આવ્યાં. હિન્દુ સમાજનું ધ્યાન જેના પર છે, વિશેષ શ્રદ્ધા જેના પર છે, તેવા મુદ્દા ઊઠે છે પરંતુ હિન્દુ, મુસલમાનો વિરુદ્ધ વિચારતા નથી. આજના મુસલમાનોના પૂર્વજ પણ હિન્દુ હતા. તેમને અંતઃકાળ સુધી સ્વતંત્રતાથી વંચિત રાખવા માટે આમ કરવામાં આવ્યું. જેથી હિન્દુઓને લાગે છે કે તેને (ધાર્મિક સ્થળોને) પુનર્સ્થાપિત કરવા જોઈએ."

તેમણે કહ્યું, "હળીમળીને સમહમતિથી કોઈ રસ્તો કાઢો, પરંતુ દર વખતે રસ્તો નથી નીકળી શકતો. જેથી કોર્ટમાં જવું પડે છે. કોર્ટમાં જઈએ તો કોર્ટ જે ચુકાદો આપે તેને માન્ય પણ રાખવો પડે. આપણી ન્યાયવ્યવસ્થાને સર્વશ્રેષ્ઠ માનીને તેના નિર્ણય માનવા જોઈએ. ન કે તેના પર પ્રશ્નાર્થચિહ્ન લગાવવાં જોઈએ."

line

'રોજ એક નવો મુદ્દો જરૂરી નથી'

જ્ઞાનવાપી મસ્જિદ

ઇમેજ સ્રોત, SAMEERATMAJ MISHRA

ઇમેજ કૅપ્શન, જ્ઞાનવાપી મસ્જિદ

આ દરમિયાન સંઘ પ્રમુખે એમ પણ કહ્યું હતું કે રોજ એક નવો મુદ્દો ઊભો કરવો જરૂરી નથી.

તેમણે આગળ કહ્યું, "એ વાત ઠીક છે કેટલાક પ્રતીકાત્મક સ્થાનોને લઈને અમારી વિશેષ શ્રદ્ધા હતી પરંતુ રોજ એક નવો મુદ્દો ઊભો ન કરવો જોઈએ. આપણે ઝઘડો કેમ વધારવો?"

"જ્ઞાનવાપીને લઈને અમારી કેટલીક શ્રદ્ધા છે, જે વર્ષોથી ચાલતી આવી છે. ત્યાં ઠીક છે પણ દરેક મસ્જિદમાં શિવલિંગ કેમ શોધવું?"

"તે પણ એક પૂજા છે, ઠીક છે કે બહારથી આવી છે પરંતુ જે લોકોએ તેને અપનાવી છે, તે મુસલમાન તો બહારથી સંબંધ ધરાવતા નથી. આ વાત જાણવી જરુરી છે. આ તેમની પૂજા છે અને તેઓ તે કરવા માગે છે. જે સારી વાત છે. આપણે ત્યાં કોઈ પણ પૂજાનો વિરોધ નથી. સૌની માન્યતા અને સૌના પ્રત્યે પવિત્રતાની ભાવના છે પરંતુ આપણે સમાન પૂર્વજોના વંશજ છે. સૌને પરંપરા સમાન મળી છે."

આ દરમિયાન ભાગવતે કહ્યું કે હવેથી સંઘ આગળ જતાં ક્યારેય મંદિરોને લઈને કોઈ આંદોલન નહીં કરે.

તેમણે કહ્યું, "એક રામજન્મભૂમિનું આંદોલન હતું. જેમાં અમે પોતાની પ્રકૃતિ વિરુદ્ધ કોઈ ઐતિહાસિક કારણથી જોડાયા અને તેને પૂર્ણ કર્યું. હવે અમારે કોઈ આંદોલન કરવું નથી. હવે ભવિષ્યમાં સંઘ કોઈ મંદિરઆંદોલનમાં સામેલ નહીં થાય."

line

રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતના વલણ અંગે શું કહ્યું?

યુક્રેન પર રશિયાના હુમલાને લઈને પણ ભાગવતે ભારતના વલણનાં વખાણ કર્યાં.

તેમણે કહ્યું, "રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. વિરોધ પણ થઈ રહ્યો છે પરંતુ કોઈ પણ યુક્રેનમાં જઈને રશિયાને રોકવા તૌયાર નથી. રશિયા પાસે તાકાત છે, તેઓ ધમકી આપે છે કે અહીં આવશો તો પરમાણુ બૉમ્બ ચલાવી દઈશું. ડરવું પડે છે."

"જે લોકો આ મુદ્દે કંઇક કરવા માગે છે એ લોકો પણ યુક્રેનને હથિયારો આપી રહ્યા છે. "

"આ તો એવી વાત થઈ કે એક જમાનામાં પશ્ચિમી દેશો પાકિસ્તાન અને ભારતને લડાવીને બન્ને તરફથી પોતાના શસ્ત્રોનું પરિક્ષણ કરતા હતા. "

"ભારત એકમાત્ર દેશ છે જે સત્ય બોલી રહ્યો છે પણ તેના માટે પણ સંતુલન સાધીને ચાલવું પડે તેમ છે અને સૌભાગ્યથી ભારતની ભૂમિકા સંતુલિત રહી છે."

"ભારત જો પર્યાપ્ત શક્તિશાળી હોત તો તે ખુદ આ યુદ્ધને રોકતું, પણ તેમ થઈ શકે તેમ નથી. આપણે પ્રયાસો વધારવા પડશે. શક્તિસંપન્ન થવું પડશે. જો આપણે પણ શક્તિશાળી થઈ જઈશું તો આવી ઘટના બનશે નહીં."

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો