You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રશાંત કિશોર ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના રણનીતિકાર બનશે? - પ્રેસ રિવ્યૂ
પ્રશાંત કિશોર અને કૉંગ્રેસ પાર્ટી વચ્ચે ફરી એક વાર વાતચીત શરૂ થવાના સંકેતો મળ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ માટે કામ કરી શકે છે.
અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સના સમાચાર મુજબ કૉંગ્રેસના બે નેતાએ એ વાતની પુષ્ટિ કરી છે કે પ્રશાંત કિશોર ગુરુવારે રાહુલ અને પ્રિયંકા ગાંધીને મળ્યા હતા.
આ બેઠકથી વાકેફ બંને નેતાઓએ અખબારને જણાવ્યું કે આ બેઠક ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં યોજાઈ રહેલી ચૂંટણીના પ્રચાર અંગે હતી.
ગયા વર્ષે, પ્રશાંત કિશોરની કૉંગ્રેસની ટોચની નેતાગીરી સાથેની એક પછી એક ઘણી બેઠકોથી એવી અટકળો વહેતી થઈ હતી કે પ્રશાંત કિશોર કૉંગ્રેસમાં જોડાઈ શકે છે.
જોકે, પાછળથી આ યોજના સ્થગિત થઈ ગઈ અને પ્રશાંત કિશોરે પડદા પાછળ તૃણમૂલ કૉંગ્રેસ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.
જોકે, આ બેઠક અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. પ્રશાંત કિશોરને મળ્યાના એક દિવસ પહેલાં ગાંધી પરિવાર અન્ય ચૂંટણી રણનીતિકાર સુનીલ કનુગોલુને મળ્યો હતો. કનુગોલુ અત્યારે કૉંગ્રેસ માટે જ કામ કરી રહ્યા છે.
સુનીલ કનુગોલુએ પણ ગયા મહિનાથી કૉંગ્રેસ પાર્ટી માટે કામ કરવાનું શરૂ કર્યું છે. સુનીલ કનુગોલુ અને પ્રશાંત કિશોરે વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના પ્રચાર માટે સાથે કામ કર્યું હતું. જોકે, થોડા સમય પછી બંને છૂટા પડી ગયા હતા.
સુનીલ કનુગોલુ અને પ્રશાંત કિશોરના સાથે કામ કરવા અંગેના સવાલ પર પાર્ટીના એક નેતાએ કહ્યું, "કૉંગ્રેસ એટલી મોટી પાર્ટી છે કે બંને રણનીતિકારો અહીં કામ કરી શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અભ્યાસક્રમમાં તમામ ધર્મોના ગ્રંથોનો સમાવેશ કરો: કૉંગ્રેસ લઘુમતી સેલ
સ્ટેટ બોર્ડના અભ્યાસક્રમમાં ભગવદગીતાને સમાવવાના રાજ્ય સરકારના નિર્ણયને પગલે કૉંગ્રેસના લઘુમતી સેલ દ્વારા શુક્રવારે તમામ ધર્મોના ગ્રંથોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાની માગણી કરવામાં આવી હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને લખવામાં આવેલા પત્રમાં કહેવાયું કે કોઈ એક ધર્મના ગ્રંથને અભ્યાસક્રમમાં સમાવવો એ આપણા લોકતાંત્રિક દેશના બંધારણની વિરુદ્ધ છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે, "સરકારને અમારી વિનંતી છે કે અન્ય ધર્મોના પવિત્ર ગ્રંથો જેવા ગુરુ ગ્રંથસાહિબ, બાઇબલ અને કુરાને શરીફને અભ્યાસક્રમમાં સમાવવામાં આવે."
ઉલ્લેખનીય છે કે ગત 17 માર્ચે ગુજરાત સરકારે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે વર્ષ 2022-23થી ભગવદગીતાને રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 12ના અભ્યાસક્રમમાં સમાવવામાં આવશે.
ગુજરાત સરકારના નિર્ણયને પગેલ 21 માર્ચે કર્ણાટકમાં પણ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના મંત્રીએ શાળાના અભ્યાસક્રમમાં ભગવદગીતાના અધ્યાયને સમાવવા માટે કમિટી બનાવવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
અમદાવાદની ફેક્ટરીઓને કચરાના નિકાલ માટે સુપ્રીમ કૉર્ટ તરફથી કોઈ રાહત નહીં
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર, અમદાવાદની કાપડ ઉદ્યોગ સહિતની મોટી ફેક્ટરીઓએ અમદાવાદ મહાનગરપાલિકાની ગટરલાઇનમાં કચરો નાખવાની મનાઈ ફરમાવતા ગુજરાત હાઇકોર્ટના હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
ફેક્ટરીઓએ સુપ્રીમ કોર્ટ પાસે કચરો મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનમાં છોડવાની મંજૂરી આપવાની દાદ માગી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે 28 જાન્યુઆરીએ હાઈકોર્ટે 11 ઔદ્યોગિક એકમોની અમદાવાદ મહાનગરપાલિકા (એએમસી) અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) સામેની અરજીને ફગાવી દીધી હતી. જેમાં કોર્ટના આદેશને પગલે શરૂ કરાયેલી ઝુંબેશમાં 393 ઔધોગિક એકમોના ડ્રેનેજ જોડાણોને દૂર કરવામાં આવ્યાં હતાં.
આ આદેશ એક સુઓ મોટો પીઆઈએલ પર કરવામાં આવ્યો હતો, જેમાં સિવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ અયોગ્ય રીતે ટ્રિટ કરેલું એફ્લૂઅન્ટ સેવેજ લાઇનમાં જોડાણ કરીને સાબરમતીમાં વહાવી દેવામાં આવતું હોવાની રાવ હતી.
હાઈકોર્ટે અમદાવાદ મહાનગરપાલિકા અને જીપીસીબીની ઝાટકણી કાઢી હતી અને યોગ્ય સમાધાન શોધવા કહ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો