You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લતા મંગેશકર : તબિયત લથડતાં લતા મંગેશકર બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ ખાતે ફરી વૅન્ટિલેયર પર- BBC Top News
કોરોના અને ન્યૂમોનિયામાંથી સાજા થયાં બાદ 'સ્વર કોકિલા' લતા મંગેશકરની તબિયત એક વખત ફરી બગડી છે.
આને કારણે તેમને ફરીથી વૅન્ટિલેટર સપૉર્ટ પર રાખવામાં આવ્યા છે. તેઓ આઠ જાન્યુઆરીથી મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર, તેમની સારવાર કરી રહેલા ડૉ પ્રતીક સમદાનીએ કહ્યું કે હાલ લતાજી આઈસીયુમાં જ છે, પરંતુ હવે તેમને ફરીથી વૅન્ટિલેટર પર મૂકવાં પડ્યાં છે. તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આની પહેલાં 27 જાન્યુઆરીના ડૉ સમદાનીએ જણાવ્યું કે લતા મંગેશકરની તબિયતમાં ઘણો સુધાર થયો છે એટલે તેમને વૅન્ટિલેટર સપૉર્ટ પરથી હઠાવવામાં આવ્યાં હતાં.
લતા મંગેશકરની સારવાર કરી રહેલા ડૉક્ટરોની ટીમ તેમની તબિયતના સમાચાર મીડિયા સાથે શૅર કરી રહ્યા છે એટલે કોઈ અફવા અને ખોટી સૂચના ન ફેલાય.
'ભારતરત્ન'થી સન્માનિત લતાજી છેલ્લા સાત દાયકાથી ગીતો ગાયાં છે. 28 સપ્ટેમ્બર 1929ના દિવસે જન્મેલાં લતાજી 92 વર્ષનાં છે.
ચીનનો લદ્દાખમાં 38,000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર ગેરકાયદેસર કબજો યથાવત : ભારત સરકાર
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, શુક્રવારે ભારત સરકારે કહ્યું હતું કે ચીને છેલ્લા છ દાયકાથી ભારતના લદ્દાખનો 38,000 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ગેરકાયદેસર કબજે કરી રાખ્યો છે.
લોકસભામાં રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી વી. મુરલીધરને એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વાત કહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઉમેર્યું હતું કે ચીન દ્વારા લદ્દાખના પેંગૉંગ ત્સો લેક પર ગેરકાયદેસર પુલ બાંધવામાં આવી રહ્યો છે. આ પુલ એ વિસ્તારમાં બંધાઈ રહ્યો છે જેના પર ચીનનું 1962થી નિયંત્રણ છે.
મુરલીધરને નીચલા ગૃહમાં વધુ માહિતી આપતાં કહ્યું કે ભારત ગત છ દાયકાઓમાં ચીને લદ્દાખના 38,000 ચોરસ કિલોમીટર વિસ્તારને ગેરકાદેસર રીતે કબજે કરી રાખ્યો છે, અને ચીન તથા પાકિસ્તાન વચ્ચેના કથિત બાઉન્ડ્રી એગ્રીમેન્ટ (જેના પર 1963માં હસ્તાક્ષર થયા હતા) હેઠળ પાકિસ્તાને ગેરકાયદેસર રીતે ભારતની સરહદનો શાકસગામ વેલીનો 5,180 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ચીનને આપી દીધો હતો જે ગેરકાયદેસર રીતે તેમના નિયંત્રણમાં છે.
કાશ્મીરના ઑનલાઇન પોર્ટલના સંપાદક ફહાદ શાહની ધરપકડ, રાષ્ટ્રવિરોધી સોશિયલ મીડિયા પોસ્ટનો આરોપ
ફહાદ શાહ ઑનલાઇન મેગેઝિન 'ધ કાશ્મીર વાલા'ના એડિટર છે, તેમની ધરપકડ કરાઈ છે.
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર, જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે, "તેમના પર સોશિયલ મીડિયા પોસ્ટમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વખાણવાના અને કાયદા અમલીકરણ એજન્સીઓની છબીને નુકસાન પહોંચાડવાના આરોપો છે. તેમજ તેમની પોસ્ટ દેશવિરુદ્ધ દુર્ભાવના અને અસંતોષ પેદા કરે છે."
પુલવામા પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમુક ફેસબુક યૂઝર્સ અને પોર્ટલ લોકોમાં ભય પેદા કરવાના ગુનાહિત ઇરાદા સાથે ફોટા, વીડિયો અને પોસ્ટ સહિતની રાષ્ટ્રવિરોધી સામગ્રી અપલોડ કરી રહ્યા છે અને આ રીતે અપલોડ કરવામાં આવેલ સામગ્રી લોકોને નિયમો અને કાયદાઓને તોડવા માટે ઉશ્કેરણી કરી શકે છે."
આ કેસની એફઆઈઆર 19/2022 હેઠળ તપાસ દરમિયાન ફહાદ શાહની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ રિમાન્ડ હેઠળ લેવામાં આવ્યા છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
આ અંગે પ્રતિક્રિયા આપતા જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી અને પીડીપીનાં વડાં મહેબૂબા મુફ્તીએ ટ્વિટર પર લખ્યું, "સત્ય માટે ઊભા રહેવું એ રાષ્ટ્રવિરોધી માનવામાં આવે છે. અસહિષ્ણુ અને સરમુખત્યારશાહી સરકારને અરીસો બતાવવો એ પણ રાષ્ટ્રવિરોધી છે. ફહાદનું પત્રકારત્વ એક અવાજ છે અને ભારત સરકારની વાસ્તવિકતા લોકો સમક્ષ લાવે છે. તમે કેટલા ફહાદની ધરપકડ કરશો?"
ભારતમાં કોરોનાવાયરસનો મૃત્યાંક 500,000ને પાર
કોવિડ -19થી ભારતમાં સત્તાવાર મૃત્યુઆંક 500,000 વટાવી ગયો છે.
શુક્રવારે આરોગ્ય મંત્રાલયના દૈનિક અપડેટમાં મૃત્યુની સંખ્યા 5,00,055 પર પહોંચી ગઈ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 1,072 વધારો થયો હતો.
આંકડા અનુસાર, ભારત સંક્રમણની સંખ્યામાં 4.19 કરોડ સાથે યુએસ પછી બીજા ક્રમે છે.
ઓમિક્રૉન વૅરિયન્ટના ભારે સંક્રમણ દરને કારણે છેલ્લા કેટલાક સપ્તાહોમાં કેસની સંખ્યામાં વધારો થયો હતો પરંતું છે પરંતુ તાજેતરના દિવસોમાં દર ધીમો પડ્યો છે.
કેટલાક રાજ્યોએ લાદેલા નિયંત્રણો હવે હળવા કરવાનું શરૂ કર્યું છે.
ગાર્ડિયનના અહેવાલ મુજબ, સરકાર ભલે પાં લાખનો મૃત્યુઆંક ગણાવતી હોય પરંતુ ઘણા વિશ્લેષકો માને છે કે આ આંકડો વાસ્તવમાં ઘણો મોટો છે. કેમકે ડેલ્ટા વૅરિયન્ટના પ્રકોપથી ઓછામાં ઓછા 2,00,000 લોકોનાં મૃત્યુ હૉસ્પિટલોમાં ઑક્સિજન અને દવાની તંગીથી થયાં હતાં.
ગયા વર્ષે યુએસ સંશોધન સમૂહે કરેલા અભ્યાસમાં સૂચવવામાં આવ્યું હતું કે કોવિડથી 34થી 47 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો