કેન્દ્રીય બજેટ 2022: મોદી સરકારના શાસનમાં બજેટ કેટલી વખત બદલી નાખવામાં આવ્યું?

1947માં આર. સનમુખમ ચેટ્ટી ચામડાની બૅગમાં બજેટ લઈને સંસદગૃહ પહોંચ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી બજેટના સમય, રજૂઆત કરવાની પદ્ધતિ તથા પરંપરામાં અનેક પરિવર્તન આવ્યાં છે.

એક સમય હતો જ્યારે બજેટ તૈયાર કરવું અને તેને રજૂ કરવું તે એક લાંબી અને જટિલ પ્રક્રિયા ગણાતી. રેલવે બજેટ અને કેન્દ્રીય બજેટ બે અલગ-અલગ દિવસે વાંચવામાં આવતાં અને તે ફેબ્રુઆરી મહિનાના અંત ભાગમાં રજૂ થતાં.

2014થી કેન્દ્રમાં મોદી સરકાર સત્તામાં આવી એ પછી પણ બજેટની અનેક પરંપરામાં પરિવર્તન આવ્યાં છે.

હવે બજેટના કોઈ થોથાં નથી હોતાં, ના તો બજેટ માટે 28મી ફેબ્રુઆરીની રાહ જોવી પડે છે. પહેલી ફેબ્રુઆરીએ મોદી સરકાર તેનું સાતમું સામાન્ય બજેટ રજૂ કરશે.

હલવા સૅરિમની મોકૂફ

બજેટને અંતિમ ઓપ આપવાની પ્રક્રિયાની શરૂઆત હલવા સૅરિમનીથી થતી હોય છે.

વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે, જેમાં નાણામંત્રી અને બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલા ટીમના સભ્યો આ સૅરિમનીમાં ભાગ લે છે, ત્યારબાદ મંત્રાલયના બેઝમૅન્ટમાં બંધ થઈ જાય છે.

બજેટ બનાવતા પહેલાં ટીમના સભ્યો માટે હલવો તૈયાર કરવામાં આવે છે અને સૌને પીરસવામાં આવે છે.

જોકે કોરોના મહામારીને કારણે આ વર્ષે હલવા સૅરિમની મોકૂફ રખાઈ હતી અને તેના બદલે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બ્રીફકેસ અને ખાતાવહી

વર્ષ 2019માં નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું બજેટ લઈને સંસદગૃહ પહોંચ્યા ત્યારે પત્રકારો તથા કૅમેરામૅનોને આશ્ચર્ય થયું હતું.

તેમણે દાયકાઓથી ચાલી આવતી બ્રીફકેસમાં બજેટ લાવવાની પરંપરાનો ત્યાગ કર્યો હતો. જેના બદલે બજેટ લાલરંગનાં કપડા 'ખાતાવહી'માં વિંટાયેલું હતું, જેની ઉપર અશોકસ્તંભનું ચિહ્ન હતું.

અગાઉની બ્રિફકેસ એ સંસ્થાનવાદી પરંપરાના પ્રતીકરૂપ હોવાનું મનાતું. એ બ્રિટનમાં નાણામંત્રીઓ ગ્લેડસ્ટૉન બૉક્સની નકલ સમાન હતી.

બ્રિટિશ નાણામંત્રીઓ ગ્લેડસ્ટૉન બૉક્સમાં બજેટ રજૂ કરતા.

2021-'22નું બજેટ ટેબ્લેટમાં હતું અને તેની ઉપર લાલ કપડું વિંટાયેલું હતું.

આ સિવાય બજેટની ઍપ્લિકેશન પણ બનાવવામાં આવી છે, જેમાંથી નાગરિકો, સરકારી કર્મચારીઓ તથા સંસદસભ્યો બજેટ તથા સંબંધિત દસ્તાવેજો (બજેટ, ડિમાન્ડ ઑફ ગ્રાન્ટ્સ વગેરે) મેળવી શકે છે.

પહેલી ફેબ્રુઆરી, 2021નું બજેટ એ પહેલું પેપરલેસ બજેટ હતું. તત્કાલીન નાણામંત્રી નિર્મલા સિતારમણે એ વખતે ટેબલેટની મદદથી બજેટનું વાંચન કર્યું હતું.

દેશમાં કોરોનાના સંક્રમણને જોતા પેપરલૅસ બજેટ તૈયાર કરવાની સંકલ્પના પર કામ કરાવામાં આવ્યું હતું.

આ પૂર્વે જ્યારે પણ નાણામંત્રી બજેટ લઈને સંસદ પહોંચતા ત્યારે તેમની પાસે બ્રિફકેસ જોવા મળતી અને સંસદની બહાર બજેટસંબંધિત પુસ્તિકાઓની હારમાળા.

28 નહીં પહેલી ફેબ્રુઆરીએ બજેટ

બ્રિટિશકાળથી ભારતીય બજેટ રજૂ કરવાની તારીખ 28મી ફેબ્રુઆરી હતી. જોકે 2017માં આ તારીખ બદલીને પહેલી ફેબ્રુઆરી કરવામાં આવી હતી. બજેટની તારીખ આગળ લાવવાનો હેતુ પહેલી એપ્રિલ એટલે કે નવા નાણાકીયસત્ર સુધીમાં બજેટ સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરવાનો હતો.

અત્રે એ યાદ અપાવવું ઘટે કે અગાઉ બજેટ સાંજે પાંચ કલાકે રજૂ થતું, પરંતુ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન તત્કાલીન નાણામંત્રી યશવંત સિંહાએ આ પરંપરાનો ત્યાગ કર્યો હતો અને સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવાનનું શરૂ થયું.

રેલવે બજેટ અને નાણાં બજેટમાં ભેળવી દેવાયું

1924થી ભારતમાં બે બજેટ રજૂ થતા. રેલવે બજેટ અને નાણા બજેટ. આ પરંપરા 2016માં ખતમ કરવામાં આવી. ત્યારથી રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે ભેળવી દેવામાં આવ્યું છે.

હવે રેલવે બજેટ જોગવાઈઓને કેન્દ્રીય બજેટમાં સામેલ કરવામાં આવે છે. જોકે તે પહેલાંની જેમ વિગતવાર વાચવાને બદલે માત્ર સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવે છે.

બજેટવાંચનનો સમય

એક સમય હતો જ્યારે બજેટ સવારે 11 વાગ્યાથી શરૂ કરીને ત્રણથી ચાર વાગ્યા સુધી વાંચવામાં આવતું. પ્રણવ મુખરજી, અરુણ જેટલી સહિત અનેક નાણામંત્રીઓ છે, જેમણે સૌથી લાંબુ બજેટ વાચ્યાનો રેકૉર્ડ બનાવેલો છે.

જોકે હવે મોદી સરકારમાં બજેટની સમયમર્યાદા ઘટીને 90 મિનિટથી 120 મિનિટ એટલે કે માંડ બે કલાકની થઈ ગઈ છે.

આયોજનપંચ ને બદલે નીતિ આયોગ

મોદી સરકારના બજેટમાં વધુ એક મોટો ફેરફાર થયો અને એ હતો પંચ વર્ષીય યોજનાઓનો અંત.

મોદી સરકારે આયોજન પંચને વિલિન કરીને તેને બદલે નીતિ આયોગની રચના કરી.

જવાહરલાલ નહેરુ જ્યારે દેશના પહેલા વડા પ્રધાન બન્યા હતા એ સમયે દેશમાં સોવિયેટ સંઘની તર્જ ઉપર આયોજનપંચની રચના કરવામાં આવી હતી.

જે અંતર્ગત દેશનાં આર્થિક વિકાસ માટે પંચવર્ષિય યોજનાઓ ઘડાતી અને એ અનુસાર બજેટની ફળવણી કરવામાં આવતી.

છેલ્લે 2012થી 2017ની પંચ વર્ષીય યોજનાઓ અમલી બની હતી એ બાદ સરકારે આયોજનપંચને જ વિલિન કરી દીધું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો