નરેન્દ્ર મોદી સરકારના સાત વર્ષમાં સરકારી બૅન્કોએ કુલ 8 લાખ કરોડની માંડવાળ કરી

નરેન્દ્ર મોદી સરકારના 7 વર્ષના શાસનકાળમાં જાહેર ક્ષેત્રની બૅન્કોએ રૂપિયા 8 ટ્રિલિયન (8 લાખ કરોડ રૂપિયાની લોનો માંડી વાળી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આજ ગાળામાં સરકારે બૅન્કોમાં અંદાજે રૂપિયા 3.37 ટ્રિલિયનની મૂડી ઠાલવી હતી. આમ ઠલવાયેલી મૂડીની સરખામણીએ રાઈટ ઑફ યાને કે જતી કરવામાં આવેલી કે માંડી વાળવામાં આવેલી રકમ બમણીથી વધારે રહી છે.

બૅન્કોએ 2020-2021માં કુલ 1.85 લાખ કરોડની લોન જતી કરી કરી હતી. જોકે, છેલ્લા એક વર્ષમાં બૅન્કો દ્વારા લોન જતી કરવાનું પ્રમાણ ઘટયું હોવાનું જોવા મળ્યું છે.

'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના રિપોર્ટ પ્રમાણે નાણાં વર્ષ 2014-2015થી 2020-2021ના ગાળામાં ઠલવાયેલા રૂ. 3.37 લાખ કરોડમાંથી એકલા 1.06 લાખ કરોડ રૂપિયા વર્ષ 2019માં ઠાલવવામાં આવ્યા હતા.

આ સમયમાં કેન્દ્ર સરકારે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા અર્થતંત્રને બેઠું કરવા અને બૅન્કિંગ સિસ્ટમને વેગ આપવા આ રૂપિયા ઠાલવ્યા હતા.

બૅન્કિંગ ક્ષેત્રની સ્થિતિમાં સુધારો કરવાની કેન્દ્ર સરકારની નીતિના ભાગરૂપે ગયા નાણાંકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની ચાર બૅન્કોમાં રૂપિયા 14500 કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા.

બૅન્કો દ્વારા નાણાંકીય વર્ષ 2020-2021માં રૂ. 1.85 લાખ કરોડની લોન જતી કરવામાં આવી હતી, જે 2019-2020માં જતી કરવામાં આવેલી રૂ. 2.37 લાખ કરોડની લોનની રકમ કરતાં ઓછી હતી.

કેર રેટિંગ્સના એક અહેવાલ મુજબ ઘણી બૅન્કો દ્વારા રિકવર કરાયેલી લોન અને લોન જતી કરવાનું પ્રમાણ વધારે હોવાને કારણે માર્ચ 2021ના ક્વાર્ટરના અંતે બૅન્કોનો એનપીએ રેશિયો (નોન પર્ફોમિંગ ઍસેટ્સ) 8.2 લાખ કરોડ રહ્યો હતો, જે નાણાકીય વર્ષ 2020ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 8.8 લાખ કરોડની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.

ભારતને પાકિસ્તાન બનાવવા માટે મુસ્લિમ વસતિ વધારવા થઈ રહ્યો છે પ્રયાસ - મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે એક નિવેદનમાં કહ્યું કે, ભારતને પાકિસ્તાન બનાવવા માટે મુસ્લિમ વસતિ વધારાઈ છે જેને લઈને વિવાદ થયો છે.

આસામના ગુવાહાટી ખાતે એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું કે, "1930ના વર્ષથી જ દેશમાં મુસ્લિમ વસતિ વધારવા પ્રયત્ન થઈ રહ્યો છે. તેમણે દાવો કર્યો કે, ભારતને પાકિસ્તાન બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે."

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર સંઘ પ્રમુખ મોહન ભાગવતે ઉમેર્યું કે, '1930થી જ સંગઠિત રીતે મુસ્લિમ વસતિ વધારવા પ્રયત્નો થઈ રહ્યો જેથી તેમની તાકાતને વધારી શકાય. દેશને પાકિસ્તાન બનાવી શકાય તેના માટે આ પ્રયત્નો થઈ રહ્યાં છે. આ બધું પંજાબ, સિંધ, આસામ, બંગાળ અને આસપાસના ક્ષેત્રો માટે પ્લાન કરવામાં આવ્યું હતું, જેમાં અમુક હદે સફળતા પણ મળી.'

મોહન ભાગવતે જણાવ્યું કે, પંજાબ, બંગાળ અડધું જ મળી શક્યું, આસામ તેમને ન મળી શક્યું. પરંતુ હાલ પણ અનેક રીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જોકે તેમણે નાગરિકતા કાયદાથી અને આસામ લિસ્ટથી મુસ્લિમને કોઈ નુકસાન નહીં થાય એમ પણ કહ્યું છે. મોહન ભાગવતના આ નિવેદન મામલે વિવાદ થઈ રહ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો