કંગના રનૌતે ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થવા અંગે ફેસબુક પર શું કહ્યું?

અભિનેત્રી કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. કંગનાએ સોમવારે પશ્ચિમ બંગાળમાં હિંસાનો દાવો કરતાં એક ટ્વીટ કર્યું હતું, જે બાદ તેમના આ ટ્વીટને ટ્વિટર પર અનેક લોકોએ હિંસક અને ભડકાઉ ગણાવ્યું હતું.

અનેક લોકોએ ટ્વિટર સમક્ષ કંગનાનું એકાઉન્ટ રદ કરવાની માગ કરી હતી.

જોકે એકાઉન્ટ કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, એ અંગે ટ્વિટર તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

ટ્વિટર પર કંગનાનાં પેજ પર લખેલું આવી રહ્યું છે, "ટ્વિટર એવાં એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરી દે છે, જે ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કરે છે."

કંગના રનૌતની ટીમે નિવેદન જાહેર કરીને કહ્યું, "ટ્વિટરે મારા જ પક્ષને સાબિત કરી દીધો છે કે તે અમેરિકી છે અને એક શ્વેત વ્યક્તિ જન્મથી જ પોતાનો અધિકાર સમજે છે કે તે બ્રાઉન વ્યક્તિને પોતાની ગુલામ બનાવે. તેઓ તમને જણાવવા માગે છે કે તમે શું વિચારો, બોલો કે કરો."

"પરંતુ સૌભાગ્યપણે મારી પાસે સિનેમા સહિત ઘણા બધા પ્લેટફૉર્મ છે જેનો ઉપયોગ હું મારો અવાજ ઉઠાવવા માટે કરી શકું છું. પરંતુ મારું મન હંમેશાં આ દેશના એ લોકો વિશે દુખી છે જેમને યાતનાઓ અપાઈ છે, જેમને ગુલામ બનાવવામાં આવ્યા છે અને જેમને હજારો વર્ષોથી દબાવીને રાખવામાં આવ્યા છે અને હજી પણ જેમનો દુખોનો કોઈ અંત નથી."

કંગનાએ ફેસબુક વીડિયોમાં શું કહ્યું?

કંગના રણૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે પરંતુ તેમનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સક્રિય છે.

કંગનાએ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેઓ રડતાં દેખાયાં.

આ વીડિયોમાં એમણે બીબીસી સહિત અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ પર સાજિશનો આરોપ લગાવ્યો છે.

આશરે બે મિનિટના આ વીડિયોમાં એમણે કહ્યું કે, "બંગાળમાં આટલી હિંસા થઈ રહી છે પરંતુ બીબીસી વર્લ્ડ, ટેલિગ્રાફ, ટાઇમ અને ગાર્ડિયન આને કવર નથી કરી રહ્યા. એમની ભારત વિરુદ્ધ સાજિશ છે?"

કંગનાએ કહ્યું, "આમ તો તેઓ મોદી સરકારના બહુ મોટાં સમર્થક છે પણ બંગાળ બાબતે એમના વલણથી નિરાશ છે. "

એમણે કહ્યું, "તમે બંગાળમાં ધરણાં આપવા જઈ રહ્યાં છો. આપ દેશદ્રોહીઓથી કેમ ડરી ગયા છો? શું હવે દેશદ્રોહીઓ દેશ ચલાવશે?"

કંગનાએ કહ્યું, "આજે જ્યારે દેશમાં રાષ્ટ્રપતિશાસનની જરૂરિયાત છે તો આપણે કેમ ડરીએ છીએ?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો