ખેડૂત આંદોલનકારીઓને એનઆઈએની નોટિસ આવી તે શું છે?

    • લેેખક, ખુશહાલ લાલી
    • પદ, બીબીસી સંવાદદાતા

આતંકવાદ અને ગેરકાયદે ગતિવિધિઓની તપાસ કરતી સંસ્થા ભારતના નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ પંજાબ સાથે સંબંધ રાખનારા અનેક લોકોને ગેરકાયદે ગતિવિધિ રોકવાના ઍક્ટ એટલે કે યુએપીએની કલમ હેઠળ નોટિસ પાઠવી છે.

ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરનારા પંજાબના 32 ખેડૂત સંગઠનોમાંથી એક સંગઠનના નેતા બલદેવસિંહ સિરસા અને ખેડૂત આંદોલનને ઘણા મહિનાઓથી સમર્થન આપનારા ફિલ્મ કલાકાર દીપ સિદ્ધુનું નામ એ લોકોમાં સામેલ છે, જેમને આ નોટિસ મોકલવામાં આવી છે.

15 જાન્યુઆરીએ ખેડૂતો અને સરકાર વચ્ચે થયેલી વાતચીત દરમિયાન પણ ખેડૂતનેતાઓએ ગૃહમંત્રાલય પર ખેડૂતોને દબાવવા માટે કેસ નોંધ્યા હોવાની વાત ઉઠાવી હતી અને કેસ પરત લેવાની માગ કરી હતી.

કયા કેસ હેઠળ નોટિસ મોકલાઈ?

દીપ સિદ્ધુએ પોતાના ફેસબુક પર એનઆઈએની નોટિસની કૉપી શૅર કરી છે. આ કૉપી અનુસાર, તેમને એનઆઈએના ઇન્સ્પેક્ટર ધીરજકુમારના હસ્તાક્ષરથી આ નોટિસ મોકલવામાં આવી છે.

નોટિસ અનુસાર, બધી વ્યક્તિઓને 17 જાન્યુઆરીએ એનઆઈએની નવી દિલ્હીના લોધી રોડસ્થિત મુખ્યાલયમાં હાજર થવાનું કહેવાયું છે.

નોટિસ અનુસાર, જે મામલામાં તેમની પૂછપરછ કરવાની છે, એ 15 ડિસેમ્બર, 2020ના રોજ આઈપીસીની કલમ 120 (બી), 124 (એ), 153 (એ) અને 153 (બી) અને યુએપીએની કલમ 13, 17, 18, 18 (બી) અને 20 હેઠળ નોંધવામાં આવ્યા હતા.

વૉટ્સઍપના માધ્યમથી નોટિસ આવી

ખેડૂતનેતા બલદેવસિંહ સિરસાએ તેમને એનઆઈએની નોટિસ મળ્યાની પુષ્ટિ કરી છે.

તેઓએ કહ્યું કે, "અમને નોટિસ મળી છે, નોટિસ પણ આટલી ટૂંકા ગાળામાં આવી છે. કાલે નોટિસ આવી છે અને એ વૉટ્સઍપ પર મોકલાવી છે. એ પણ ખબર નથી કે આ સાચે જ એજન્સી તરફથી આવી છે કે અન્ય કોઈએ મોકલી છે, કેમ કે આજકાલ ફોન પર ઘણું બધું થઈ રહ્યું છે."

સિરસાએ જણાવ્યું, "જો આ નોટિસ એજન્સીએ મોકલી હોય તો તેને ટપાલના માધ્યમથી લેખિતમાં મોકલવી જોઈએ. એજન્સીઓની ઘણી જગ્યાએ સેલ આવેલી છે, તેઓ અમને લેખિતમાં નોટિસ મોકલે. પણ તેઓએ વૉટ્સઍપમાં નોટિસ મોકલી છે અને 17 તારીખે હાજર થવા માટે કહ્યું છે."

સિરસાએ વધુમાં જણાવ્યું, મારી દોહિત્રીનાં લગ્ન છે, હું તેની ખરીદી માટે આવ્યું છું, મારી પાસે સાત ફેબ્રુઆરી પહેલાં એજન્સીની સામે હાજર થવાનો સમય નથી. મેં મારા વકીલના માધ્યમથી તેમને આજે એક ચિઠ્ઠી મોકલી છે."

કોને-કોને નોટિસ મોકલવામાં આવી છે?

  • બલદેવસિંહ સિરસા (ખેડૂતનેતા)
  • દીપ સિદ્ધુ (ફિલ્મકલાકાર અને ખેડૂત સમર્થક)
  • મનદીપ સિદ્ધુ (દીપ સિદ્ધિુના ભાઈ)
  • બલતેજ પન્નુ (પત્રકાર, પટિયાલા)
  • જસવીર સિંહ (પત્રકાર, શ્રી મુક્તસર સાહિબ)
  • પરમજિતસિંહ અકાલી (અમૃતસર)
  • નોબલજિતસિંહ (હોશિયારપુર)
  • જંગ સિંહ (લુધિયાણા)
  • પ્રદીપ સિંહ (લુધિયાણા)
  • સુરિન્દરસિંહ ઠિક્રીવાલા (બરનાલા)
  • પલવિન્દરસિંહ (અમરકોટ)
  • જજ ઇન્દ્રપાલસિંહ (લુધિયાણા)
  • રણજિતસિંહ દમદમી ટક્સાલ (અમૃતસર)
  • કરનૈલસિંહ દસૂહા (હોશિયારપુર)
  • તેજિન્દર સિંહ (પત્રકાર, અકાલ ચેનલ)

નોટિસ પર પ્રતિક્રિયા

ખેડૂત સંગઠનોએ એનઆઈએ દ્વારા મોકલેલી નોટિસને ખેડૂત આંદોલનને દબાવવાનું કેન્દ્ર સરકારનું કાવતરું ગણાવ્યું છે.

સિંઘુ બૉર્ડર પર ખેડૂતોને સંબોધન કરતા ખેડૂતનેતા સુરજિતસિંહ ફૂલે કહ્યું કે ખેડૂત આંદોલન અને તેના સમર્થકોને દબાવવા માટે આ બધું કરાઈ રહ્યું છે.

આ દરમિયાન પંજાબ કૉંગ્રેસના પ્રવક્તા અને ધારાસભ્ય રાજકુમાર વેરકાએ કહ્યું, "ભલે સીબીઆઈ હોય, ઈડી હોય કે પછી એનઆઈએ. આ બંધારણીય એજન્સીઓને કેન્દ્ર સરકાર પોતાની કઠપૂતળી બનાવવા માગે છે. તેની પાસે ખોટું કામ કરાવવા માગે છે. આવું કરીને તેઓ ખેડૂતોને ડરાવી-ધમકાવી રહ્યા છે, તેમને ખાલિસ્તાની, નક્સલવાદી અને આતંકવાદી કહી રહ્યા છે."

ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ એક પ્રેસ નોટ જાહેર કરીને કહ્યું, "કાલે સરકાર સાથેની વાતચીતમાં પણ એનઆઈએ દ્વારા આંદોલનકારીઓને મોકલેલી નોટિસ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. મંત્રીઓએ આ મામલે વિચાર કરવાનું આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં આંદોલનકારીઓને નોટિસ મળવી સરકારની ખોરી દાનત દર્શાવે છે. સંયુક્ત કિસાન મોરચો આ નોટિસની નિંદા કરે છે. આગામી દિવસોમાં આ નોટિસોની પ્રતિક્રિયારૂપે કાયદાકીય કાર્યવાહી પણ કરાશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો