પશ્ચિમ બંગાળ ચૂંટણી : શું અમિત શાહે મમતા બેનરજીને સૌથી મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રભાકર મણિ તિવારી
- પદ, કોલકાતાથી, બીબીસી હિંદી માટે
શું 'બંગાળની વાઘણ' નામથી પ્રખ્યાત તણમૂલ કૉંગ્રેસ અધ્યક્ષ અને મુખ્ય મંત્રી મમતા બેનરજી તેમની રાજકીય કારકિર્દીનાં સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે?
એક રીતે તો મમતા બેનરજીની કારકિર્દી જ પડકરો અને સંઘર્ષોથી ભરપૂર રહી છે.
પરંતુ આગામી વિધાનસભા પૂર્વે તેમને ભાજપ તરફથી મળી રહેલા પડકારો અને પાર્ટીમાં ફાટી રહેલા આંતરિક વિખવાદને કારણે રાજકીય વર્તુળોમાં ઉપરોક્ત સવાલ પૂછવામાં આવી રહ્યો છે?
અત્યાર સુધી સરકાર અને પાર્ટીમાં જે નેતાની વાત પથ્થરની લકીર સાબિત થઈ રહી હોય, તેમનાં વિરુદ્ધ જ્યારે ઘણા નેતાઓ અવાજ ઉઠાવવા લાગે તો આવા સવાલ ઉઠે જે સ્વાભાવિક વાત છે.
એ વાત સ્પષ્ટ છે કે કૉંગ્રેસમાં આંતરિક પડકારોને કારણે અલગ પાટી બનાવીને ડાબેરીઓ સાથે બે-બે હાથ કરી ચૂકેલાં મમતા આ પડકારોથી પાછળ હઠવાની જગ્યાએ તેનો સામનો કરવા માટેની રણનીતિ બનાવા માટે જોતરાઈ ગયાં છે.
વર્ષ 2006ની વિધાનસભા ચૂંટણી સમયે એટલે કે 15 વર્ષોથી તૃણમૂલ કૉંગ્રેસ અને મમતા બેનરજી એકબીજાનાં પર્યાય બની ગયાં હતાં.

પ્રશાંત કિશોરની હાજરી

ઇમેજ સ્રોત, ANI
પાર્ટીમાં કોઈ નેતાની હિંમત નહોતી કે કોઈ તેમના નિર્ણય સામે આંગળી ચીંધી શકે પંરતુ છેલ્લા ત્રણ ચાર વર્ષોમાં તેમની પકડ નબળી પડી રહી છે.
લગભગ દસ વર્ષ સત્તામાં રહ્યા બાદ નેતાઓમાં કેટલોક અસંતોષ અને નારાજગી હોય તે વાત પણ સ્વાભાવિક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ભાજપે ગત લોકસભા ચૂંટણીઓથી જે રીતે આક્રમક વલણ અપનાવ્યું છે અને તૃણમૂલના એક એક નેતાઓને પોતાની તરફ ખેંચી રહ્યો છે તે મમતા બેનરજી માટે ગંભીર પડકાર બની શકે છે.
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મમતા બેનરજીએ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની સેવાઓ લીધી ગતી. પરંતુ તેમનું આ પાસું પણ હવે ઊલટું પડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે.
એક ઉપચાર તરીકે આવેલ પ્રશાંત કિશોર ખુદ જ પાર્ટી માટે ઘા બની રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કેમ કે કેટલાક નેતાઓએ પાર્ટી છોડી અને અંદર અસંતોષ છે તેના મૂળ કારણ પ્રશાંત કિશોર જ બની ગયા છે. તેમ છતાં મમતા બેનરજીને તેમના પર ભરોસો છે.

છબિ ચમકાવવાની કોશિશ

ઇમેજ સ્રોત, ANI
પ્રસાંત કિશોરે મમતા બેનરજીની સરકાર તથા મમતા બેનરજીની છબિ સુધારવા માટે રણનીતિ પણ તૈયાર કરી છે.
તે હેઠળ જ ગત વર્ષે 'દીદી કે બોલો' નામનું અભિયાન શરૂ કરાયું હતું જેમાં કોઈ પણ નાગરિક મમતા બેનરજી સાથે તેમની સમસ્યા મામલે સીધી વાત કરી શકે છે.
આ સિવાય વિવિધ સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરતા નેતાઓ પર કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
આ બાબત દ્વારા સંદેશો આપવામાં આવ્યો કે કેટલાક નેતાઓ સરકારની છબિ ખરાબ કરી રહ્યા છે.
પ્રશાંત કિશોરની વાત પર જ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરાયો છે અને કંલકિત નેતાઓને દરકિનાર કરીને નવાં ચહેરાઓને સામે લાવવામાં આવ્યા છે.
પરંતુ તેમ છતાં પાર્ટીમાં જે ભાગદોડ ચાલી રહી છે તેના પરથી લાગે છે કે પાર્ટીની અંદર બધું ઠીક નથી ચાલી રહ્યું.

પડકારોની વચ્ચે..

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC
ભાજપ તરફથી મળતા રાજકીય અને પ્રશાસનિક મોરચાના પડકારો વચ્ચે સત્તા બચાવવા માટે મથી રહેલી પાર્ટી માટે આ સ્થિતિ આદર્શ નથી.
મમતા એ એક સાથે ઘણાં મોરચે પડાકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા તો રાજકીય મોરચે ભાજપની તાકત અને સંસાધનોનો મુકાબલો કરવો પડી રહ્યો છે એ એક મોટો પડકાર છે.
ભાજપે આગામી ચૂંટણીઓમાં વિજય માટે પોતાની પૂરી તાકત અને તમામ સંસાધનો બંગાળમાં લગાવી દીધા છે.
અડધો ડઝનથી વધુ કેન્દ્રીય નેતાઓ અને મંત્રીઓને બંગાળની જવાબદારી સોંપાઈ છે. બીજી તરફ પ્રશાસનિક મોરચા પર પણ મતતા બેનરજી માટે મુશ્કેલી વધી ગઈ છે.
ગત સપ્તાહે ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા પર હુમલા પછી એક તરફ સરકાર પાસે રિપોર્ટ માંગવામાં આવી તો બીજી તરફ મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડાને દિલ્લી તેડાવ્યા હતા.

ભાજપમાં જઈ રહેલા નેતા

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC
જોકે કેન્દ્રનું દબાણ હોવા છતાં મમતાએ તેમને દિલ્હી ન મોકલ્યાં. તેન ત્રણ જ દિવસ બાદ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને કેન્દ્રીય ડૅપ્યુટેશન પર જવા માટેનો નિર્દેશ કરવામાં આવ્યો.
આ મુદ્દે પણ ટકરાવ ચાલુ જ છે. રાજ્યપાલ જગદીપ ઘનખડે પણ કાનૂન-વ્યવસ્થા સહિતના વિભિન્ન મુદ્દાઓ પર સરકાર પર મજબૂત શાબ્દિક પ્રહાર કર્યા છે.
પરંતુ ઘરના જ ચિરાગથી ઘરમાં લાગેલી આગ માફક મમતા માટે સૌથી મોટી મુશ્કેલ એવા નેતાઓએ ઊભી કરી છે જેઓ કાલ સુધી મમતા બેનરજીની એકદમ નજીક હતાં.
તેમાં સૌપ્રથમ મુકુલ રૉય ભાજપમાં જોડાયા હતા જેમને રાજ્યમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ટીએમસીને મૂળ મજબૂત કરનાર આર્કિટેક્ટ માનવામાં આવે છે.
દરમિયાન બૈરકપુરના તાકતવર નેતા અને ભાજપના સાંસદ અર્જુન સિંહ સહિતના નેતા બંડ પોકારતા જોવા મળ્યા છે.

શુભેંદુ અધિકારીનું પાર્ટી છોડવું

ઇમેજ સ્રોત, ANI
પરંતુ વિધાનસભા ચૂંટણીઓ હવે માથે છે અને તેથી સમસ્યા ગંભીર બની છે.
તેમાં મેદિનીપુર વિસ્તારના મોટા નેતા શુભેંદુ અધિકારી સહિતના કેટલાક ધારાસભ્યો સામેલ છે.
પરંતુ આ ભાગદોડ છતાં મમતા બહાદુરીથી મોરચા પર ટકેલાં છે.
આ સ્થિતિના ઉકેલ માટે રણનીતિ બનાવવા માટે તેમણે શુક્રવારે તેમનાં નિવાસસ્થાને ટોચના નેતાઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં તેમણે કહ્યું હતું, "આપણી તાકત જનતા છે, નેતા નહીં. પક્ષપલટુ નેતાઓ પાર્ટી બદલે તેનાથી કોઈ ફરક નથી પડતો. આવા લોકો પાર્ટી પર બોજ હતા. સામાન્ય લોકો જ વિશ્વાસઘાતની સજા આપશે. બંગાળના લોકો વિશ્વાસઘાતને પસંદ નથી કરતા."
બેઠકમાં હાજર ટીએમસીના એક વરિષ્ઠ નેતા જણાવે છે,"મમતાએ તમામ નેતાઓને સરકારના દસ વર્ષના કામકાજ સાથે લોકો વચ્ચે જવાનો નિર્દેશ કર્યો છે. સાથે જ પાર્ટી એ વાતનો પણ પ્રચાર પ્રસાર કરશે કે સંગઠનના પગ તળેની જમીન કાચી પડતાં કઈ રીતે ભાજપ તૃણમૂલને તોડવાની કોશિશ કરી રહી છે."

ઇતિહાસનું પુનરાવર્તન

ઇમેજ સ્રોત, ANI
મમતા બેનરજી છેલ્લાં એક સપ્તાહથી રેલીમાં કહી રહ્યાં હતાં કે પાર્ટી છોડી જવા માગતા નેતાઓ માટે દરવાજા ખુલ્લા છે. સત્તાલોલુપ નેતા સામાન્ય લોકોની જગ્યાએ હંમેશાં પોતાની ભલાઈ વિશે જ વિચારે છે, તેમના રહેવા અથવા જવાથી કોઈ જ ફરક નથી પડતો.
ટીએમસીમાં થયેલા વિખવાદ માટે મમતા બેનરજી ભલે ભાજપને જવાબદારી ગણે છે પરંતુ વિપક્ષી નેતાઓ અને રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે બંગાળમાં પક્ષપલટાની પરંપરાને મમતા બેનરજીએ જ પ્રોત્સાહન આપ્યું હતું. હવે એક દાયકા બાદ ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે.
પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી રહે છે,"ઇતિહાસનુ પુનરાવર્તન થઈ રહ્યું છે અને હવે મમતાને તેમની જ ભાષામાં જવાબ મળી રહ્યો છે. કૉંગ્રેસના ગઢ રહેલા માલદા અને મુર્સિદાબાદમાં કેટલાક ધારાસભ્યો અને નેતાઓને ખોટા કેસોમાં ફસાવાની ધમકી આપીને ટીએમસીમાં સામેલ કરવા મજબૂર કરાયાં હતાં. એ સમયે પક્ષપલટો કરનારા કેટલાય લોકો હવે ભાજપમાં જતા રહ્યાં છે."

પશ્ચિમ બંગાળની રાજનીતિ

ઇમેજ સ્રોત, ANI
અહીં એ વાતનો ઉલ્લેખ પ્રાસંગિક છે કે વર્ષ 2011માં ટીએમસી સત્તામાં આવી પછી માનસ ભુઇયાં, અજય ડે, સૌમિત્ર ખાન, હુમાયૂ કબીર અને કૃષ્ણેંદુ નારાયણ ચૌધરી સહિતના કેટલાક કૉંગ્રેસી નેતા ટીએમસીમાં સામેલ થઈ છે. તેમાંથી કેટલાકને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા તો કેટલાકને સાંસદ બનાવાયાં.
આ જ રીતે છાયા દોલુઈ, અનંત દેબ અધિકારી, દશરથ તિર્કી અને સુનીલ મંડલ જેવા ડાબેરી નેતાઓ પણ ટીએમસીનો ભાગ બની ચૂક્યા છે.
વિધાનસભામાં ડાબેરી નેતા સુજન ચક્રવર્તી કહે છે,"મમતાનાં પક્ષે વર્ષ 2011માં સત્તામાં આવ્યા બાદ પછી આ ખેલ શરૂ કર્યો હતો. ત્યાર બાદ વિભિન્ન ડાબેરી પક્ષોના કેટલાક ધારાસભ્યો પણ ટીએમસીમાં જોડાયાં."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














