રાજસ્થાન : કલરાજ મિશ્રાએ અશોક ગેહલોતની વિશેષ સત્રની માગ ફગાવી, દેશભરમાં કૉંગ્રેસનું વિરોધપ્રદર્શન

રાજસ્થાનના રાજકીય સંકટમાં આજે રાજ્યપાલ કલરાજ મિશ્રા વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવાની પરવાનગી આપવાથી ઇન્કાર કર્યો છે.

આ દરમિયાન કૉંગ્રેસ દેશભરમાં રાજભવન સામે લોકશાહી બચાવો - બંધારણ બચાવોના નારા સાથે વિરોધ કરી રહી છે.

સોમવારે રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સી.પી. જોશીએ રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી છે.

સચીન પાઇલટ સહિત 19 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની વિધાનસભા અધ્યક્ષની નોટિસ સાથે અસંમત વ્યક્ત કરીને હાઈકોર્ટે કાર્યવાહી પર રોક લગાવી હતી. સ્પીકરે હાઈકોર્ટનાં ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે, હાઈકોર્ટના નિર્ણય ઉપર સ્ટે મુકવાનો ઇનકાર કર્યો હતો.

ગેહલોત સરકાર દ્વારા વિધાનસભા સત્ર બોલાવવા માટે મોકલાયેલ પ્રસ્તાવને, રાજ્યપાલ કલરાજ મિશ્રાએ સોમવારે પરત મોકલી આપ્યો.

સમાચાર એજન્સી એએનઆઈનું કહેવું છે કે રાજભવન કચેરીએ રાજ્ય સરકાર પાસેથી કેટલીક વધારાની માહિતી માંગી છે અને વિધાનસભા સત્ર બોલાવવા માટે હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ગુજરાત કૉંગ્રેસના દેખાવો

ગુજરાત કૉંગ્રેસે પણ રાજભવન સામે દેખાવો કર્યા. કૉંગ્રેસ એક અખબારી યાદી દ્વારા આરોપ મૂકે છે કે, દેશના લોકશાહી મૂલ્યો પર ભાજપ તરફથી એક અભૂતપૂર્વ હુમલાનો સામનો કરી રહ્યા છે. એક પછી એક રાજ્યોમાં ભાજપ નાણાં, ધાકધમકી અને બંધારણીય માળખાનો દુરૂપયોગ કરી લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી સરકારોને ઊથલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

કૉંગ્રેસ કહ્યું કે, . કોવિડ - 19 મહામારી દરમિયાન પણ ભાજપે મધ્યપ્રદેશમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી કોંગ્રેસની સરકારને ઉથલાવી તેવી જ રીતે, જેણે કોવિડ - 19 મહામારી સામે સફળતાપૂર્વક લડત માટે વિશ્વભરમાંથી પ્રસંશા મેળવી છે તેવી રાજસ્થાનની કોંગ્રેસ સરકાર જેવી કાર્યક્ષમ રાજ્ય સરકારોને ઉથલાવવા માટે ગંદી રમત રમી રહ્યા છે, તે ખૂબ શરમજનક છે.

જોકે, ભાજપ આ આરોપોને નકારે છે.

ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો કરતા કૉંગ્રેસની સરકાર પડી ભાંગી હતી અને હવે રાજસ્થાનમાં સચીન પાઇલટે એમના સમર્થકો સાથે બળવો કર્યો છે.

માયાવતીનો કૉંગ્રેસ વિરુદ્ધ મતદાન કરવા વ્હિપ

રાજસ્થાન રાજકીય સંકટમાં એક તરફ કાયદાકીય લડાઈ ચાલી રહી છે તો બીજી તરફ રાજકીય લડાઈ.

બસપા ચીફ માયાવતીએ વ્હિપ જારી કરીને પાર્ટીના છ ધારાસભ્યોને કૉંગ્રેસ વિરુદ્ધ મતદાન કરવા કહ્યું છે.

આ દરમિયાન રાજસ્થાનના રાજકીય સંકટ પર આજે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના નિર્ણય સામે રાજસ્થાનના સ્પીકરની અરજી પર સુનાવણી કરશે.

જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કૃષ્ણ મુરારિની બેન્ચ આ મામલે સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે શું ઉચ્ચ ન્યાયાલય અધ્યક્ષની શક્તિઓ સાથે હસ્તક્ષેપ કરી શકે છે?

શું પાર્ટીની અંદર રહીને અસહમતીનો અવાજ ઉઠાવનારને અયોગ્ય ઠેરવીને તેના અવાજને દબાવી શકાય છે?

ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો અસહમતીનો અવાજ અયોગ્ય રીતે દબાવાય તો લોકતંત્ર કેવી રીતે બચશે.

આથી હવે કૉંગ્રેસ પાસે વિકલ્પ છે કે તેઓ સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી શકે છે, કેમ કે હાલમાં કાયદાકીય લડાઈથી વધુ ફાયદો થતો જણાતો નથી.

રણોત્સવ નવેમ્બરમાં શરૂ થાય તેવી શક્યતા

કોરોના વાઇરસને કારણે હાલના સમયમાં ટૂરિઝમ અને પ્રવાસન ઉદ્યોગ પર લગભગ ઠપ છે, ત્યારે ગુજરાત સરકાર આ વર્ષે પણ રણોત્સવ યોજે તેવી શક્યતા છે.

કચ્છના ધોરડો ખાતે દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં રણોત્સવનું આયોજન થાય છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ સૂત્રોના હવાલાથી લખ્યું કે રાજ્ય સરકાર આ ઉત્સવનું આયોજન કરવા માટે તૈયાર છે. નવેમ્બર મધ્યથી ફેબ્રુઆરીના અંત સુધી આ ફેસ્ટિવલ યોજાઈ શકે છે.

રણોત્સવનું આયોજન કરનાર ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપનીના ભાગીદાર નિખિલ અગ્રવાલના હવાલાથી લખવામાં આવ્યું કે સરકાર ટૂંકમાં તેની સત્તાવાર જાહેરાત કરશે કે નવેમ્બર મધ્યથી તેની શરૂઆત થવાની છે અને ટૂંક સમયમાં બુકિંગ શરૂ થશે.

તેમણે એમ પણ કહ્યું કે ટેન્ટ સિટી પ્રવાસીઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે અને અમે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન અને સ્વચ્છતા માટે તમામ સાવધાની રાખી રહ્યા છીએ.

જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે- ફારૂક અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત લીધાને આગામી પાંચ ઑગસ્ટે એક વર્ષ પૂરું થવા જાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસને ઓમર અબદુલ્લાએ કહ્યું છે કે જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત રહેશે તેઓ ચૂંટણીમાં ભાગ નહીં લે.

લાઇવ હિન્દુસ્તાનડોટકોમના અહેવાલ અનુસાર, રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી ફારૂક અબ્દુલ્લાએ રવિવારે રાજ્યને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવાની આશા કહ્યું કે ઉચ્ચ ન્યાયાલય બંધારણની કલમ 370ની મોટા ભાગની જોગવાઈઓને નિષ્પ્રભાવી કરવાની બાબતને ફગાવીને ન્યાય અપાવશે.

ગત વર્ષે પાંચ ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત લેવા અને રાજ્યને બે ભાગમાં વિભાજિત કર્યા બાદ અબ્દુલ્લાએ પીટીઆઈને કહ્યું કે તેમની પાર્ટી બધાં લોકતાંત્રિક માધ્યમોથી બદલાવ માટે સંઘર્ષ કરતી રહેશે.

તેઓએ કહ્યું કે ભારત સંઘમાં સામેલ થવાના સમયે જમ્મુ-કાશ્મીરના લોકોએ જે ભરોસો અપાવ્યો હતો, આ બદલાવ એ ભરોસા પર 'વિશ્વાસઘાત' છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો