કોરોના વાઇરસ : હવે દરદીઓ માટે લોહીનું ગંઠાઈ જવું મુશ્કેલી વધારી રહ્યું છે?

તબીબી નિષ્ણાતો કહે છે કે કોરોના વાઇરસથી ગંભીર રીતે બીમાર 30 ટકા દરદીઓને લોહીના ગંઠાવાની જીવલેણ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

આ વાઇરસને કારણે સમગ્ર વિશ્વમાં દરદીઓને બીજી ઘણી સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આમાંની કેટલીક સમસ્યાઓ એવી છે કે જેનાથી દરદીનું મૃત્યુ પણ થઈ શકે છે.

નિષ્ણાતો કહે છે કે લોહીનું ગંઠાવવું ઘણા દરદીઓનાં મૃત્યુનું કારણ હોઈ શકે છે. આ ક્લૉટને થ્રૉમ્બોસિસ કહેવામાં આવે છે.

લોહીના ગંઠાઈ જવાથી ફેફસાંમાં ભારે સોજો આવે છે. કોરોના વાઇરસવાળા દરદીનું શરીર સામાન્ય પ્રતિક્રિયાના ભાગરૂપે તરીકે ફેફસાંમાં સોજો ઉત્પન્ન કરે છે.

માઇક્રો ક્લૉટની સમસ્યા

માર્ચમાં જ્યારે કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો હતો ત્યારે ડૉક્ટરો પાસે મોટી સંખ્યામાં એવા દરદીઓ આવી રહ્યા હતા, જેમને લોહી ગંઠાઈ જવાની સમસ્યા હતી. આવા દરદીઓની સંખ્યા ડૉકટરોના અનુમાન કરતાં પણ વધારે હતી.

ડૉક્ટરોને ઘણી વધુ આઘાતજનક વાતો જાણવા મળી. ઉદાહરણ તરીકે, કેટલાક દરદીઓનાં ફેફસાંમાં સેંકડો માઇક્રો-ક્લૉટ પણ મળી આવ્યા હતા.

આ વાઇરસને લીધે 'ડીપ વૅઇન થ્રૉમ્બોસિસના' કેસમાં પણ વધારો નોંધાયો છે. ડીપ વેઇન થ્રોમ્બોસિસ એટલે લોહીનું ગંઠાવવું, જે સામાન્ય રીતે પગમાં જોવા મળે છે.

જો ગંઠાઈ ગયેલા લોહીના કણો શરીરના ઉપરના ભાગમાં પહોંચવાનું શરૂ કરે છે તો મોટું જોખમ સાબિત થઈ શકે છે. તે રક્તવાહિનીઓને અવરોધી દે છે.

ગંભીર જોખમ

ગયા મહિને ન્યુમોનિયાની ફરિયાદના કારણે આર્ટિસ્ટ બ્રાયન મૅક્કલ્યુરને હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા, પરંતુ હૉસ્પિટલમાં દાખલ થયા પછી સ્કેનિંગમાં બહાર આવ્યું કે તેમના માટે જીવનની લડાઈ વધુ કઠિન છે.

તેમણે જણાવ્યુ હતું, "મારાં ફેફસાંની તપાસ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે મારાં ફેફસાંમાં લોહીની ગાંઠ થઈ ગઈ હતી. મને કહેવામાં આવ્યું કે તે ખૂબ જોખમી છે."

"ત્યારે હું ખરેખર ચિંતિત હતો. મને લાગ્યું કે જો મારી સ્થિતિ સુધરશે નહીં તો હું ગંભીર મુશ્કેલીમાં મુકાઈ શકું છું."

જોકે, હવે તેઓ સાજા થઈ ગયા છે અને પોતાના ઘરે છે.

30% ગંભીર દરદીઓને થ્રૉમ્બોસિસ

લંડનની કિંગ્સ કૉલેજ હૉસ્પિટલના થ્રૉમ્બોસિસ અને હૅમોસ્ટેસિસના પ્રોફેસર રૂપેન આર્ય કહે છે, "મને લાગે છે કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી થ્રૉમ્બોસિસના આંકડા જે રીતે સામે આવે છે એ જોતાં આ બીમારી એક મોટી સમસ્યા બની ગઈ છે."

આર્ય કહે છે, "આ સમસ્યા ખાસ કરીને કોરોના વાઇરસથી પીડાતા દરદીઓમાં વધુ જોવા મળે છે. કેટલાંક તાજેતરનાં અધ્યયનો દર્શાવે છે કે આમાંથી અડધા દરદીઓ ફેફસાંમાં પલ્મોનરી ઍમ્બોલિઝમ અથવા લોહીના ગંઠિત થવાથી બીમાર છે."

તેઓ માને છે કે કોરોના વાઇરસના ઘણા ગંભીર દરદીઓમાં લોહી ગંઠાઈ જવાના કિસ્સાઓ યુરોપમાં પ્રકાશિત થયેલા આંકડા કરતાં વધારે છે અને તે 30 ટકા જેટલા હોઈ શકે છે.

લોહીની ગાંઠ કેમ બને છે?

પ્રોફેસર આર્યની હૉસ્પિટલમાં બ્લડ સાયન્સની ટીમે દરદીઓના નમૂનાઓનું વિશ્લેષણ કર્યું છે. તેમાં જાણવા મળ્યું કે કોરોના વાઇરસ દરદીના લોહીમાં પરિવર્તન લાવી રહ્યો છે. જેના કારણે લોહી વધુ ચીકણું થઈ રહ્યું છે. ચીકણા લોહીને લીધે લોહી ગંઠાઈ જાય છે.

લોહીમાં પરિવર્તન લીધે ફેફસાંમાં વધુ સોજો આવે છે. વાઇરસ દ્વારા ગ્રસ્ત થયા પછી શરીરની આ કુદરતી પ્રતિક્રિયા છે.

આર્ય જણાવે છે કે, "અમે ગંભીર રીતે સંક્રમિત દરદીઓના લોહીમાં રસાયણોના સ્રાવને જોઈ રહ્યા છીએ અને તેને લીધે લોહીનું ગંઠાઈ જવાનું શરૂ થાય છે."

આને કારણે દરદીની સ્થિતિ બગડવાની શરૂ થાય છે. થ્રૉમ્બોસિસ-નિષ્ણાત પ્રોફેસર બેવરલી હન્ટ અનુસાર, ચીકણા લોહીની આડઅસરો લોહીના ગંઠાવવા કરતાં વધુ છે. આને કારણે સ્ટ્રૉક અને હૃદયરોગના હુમલાનું પ્રમાણ પણ વધે છે.

તેમનું કહેવું છે કે, "ચીકણું લોહી ચોક્કસ પણે મૃત્યુદરમાં વધારાનું કારણ બની શકે છે."લોહીને પાતળું કરવાનો પ્રયાસ

હવે એવાં કેટલાંક અધ્યયનો પણ બહાર આવ્યાં છે, જેનાથી પહેલાંથી મુશ્કેલ તબીબી પડકારો વધારે મુશ્કેલ થઈ ગયા છે.

આ અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે લોહીના ગંઠાઈ જવાની સારવાર માટે હાલમાં લોહી પાતળું કરવા માટે વપરાતી બ્લડ-થિનર્સ કે દવાઓ દર વખતે ઉપયોગી નથી નીવડતી.

ઉપરાંત તેની માત્રામાં વધારો કરવામાં આવે તો દરદીઓને બ્લીડિંગ (રક્તસ્રાવ) થઈ શકે છે જે જીવન માટે જોખમી હોઈ શકે છે.

ફેફસાંના સોજાને ઘટાડવા પર ફોકસ

પ્રોફેસર આર્ય કહે છે, "થ્રૉમ્બોસિસની સારવાર અને રક્તસ્રાવ વચ્ચેનું સંતુલન એક અનિશ્ચિત બાબત છે."

પરંતુ હવે આ બાબત પર ખૂબ ભાર મૂકવામાં આવી રહ્યો છે કે વિશ્વભરની તબીબી ટીમો એકબીજાના સહયોગથી વાઇરસને કારણે લોહીના ગંઠાઈ જવાની સમસ્યા માટે સલામત અને વધુ અસરકારક ઉપાય શોધવાનો પ્રયાસ કરી રહી છે.

બધા દેશોમાં લોહી પાતળા થવાના પ્રમાણભૂત ડોઝનો ઉપયોગ કેવી રીતે કરવો તે શોધવા માટે પરીક્ષણો કરવામાં આવી રહ્યાં છે.

જોકે કેટલાક નિષ્ણાતો કહે છે કે આનો બીજો એક ઉપાય પણ થઈ શકે છે. તેનું સમાધાન છે કે લોહીના ચીકણા થવાના મૂળ કારણ ફેફસાંના સોજાને ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો