શાહરૂખ ખાને કોરાના વાઇરસ સામે લડવા દાન આપ્યા પછી શું કહ્યું? - સોશિયલ

બૉલીવુડ ઍક્ટર શાહરૂખ ખાને કોરોના વાઇરસના સંકટના સમયમાં એક મોટી પહેલ કરી છે.

તેમણે પોતાની ઑફિસની ચાર માળની બિલ્ડિંગમાં ક્વોરૅન્ટીન સેન્ટર બનાવવાનો નિર્ણય કર્યો છે.

આ સેન્ટરમાં બાળકો, મહિલાઓ અને ઘરડાંઓની સંભાળ રાખવામાં આવશે.

બ્રુહ્દમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને (બીએમસી) પોતાના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પર જાણકારી આપી છે. ટ્વીટમાં લખ્યું છે :

પોતાના ચાર માળની ઑફિસની જગ્યામાં ક્વોરૅન્ટીન સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ આપવા માટે અમે શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો આભાર માનીએ છીએ. આ વાસ્તવિક રીતે યોગ્ય સમયે લેવામાં આવેલો એક વિવેકપૂર્ણ નિર્ણય છે.

લોકોની પ્રતિક્રિયાઓ

શાહરૂખ ખાન અથવા તેમના પત્ની ગૌરી ખાને પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલ પર આ અંગે કાંઈ કહ્યું નથી.

જોકે, શાહરૂખ ખાન અને તેમના પરિવારના આ સારા પગલાંની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી અને ટ્વિટર પર #दानकर्ता_शाहरूख़ख़ान અને #ShahrukhsHomeForQuarantine ટ્રેન્ડ કરી રહ્યું હતું.

ગૌરવ ખન્ના નામના ટ્વિટર ઉપયોગકર્તાએ તિરંગા ઝંડા સાથે લઈને શાહરૂખ ખાનની તસવીર પોસ્ટ કરી અને લખ્યું : દેશની શાન, શાહરૂખ ખાન

અમિત કુમારે લખ્યું, "એક દિલને કેટલી વાર જીતશો, સર. મને શબ્દ નથી મળી રહ્યા. બસ એટલું જ કહીશ કે તમારા ફેન હોવાનો મને ગર્વ છે."

ચરણે ટ્વીટ કર્યું, "શાહરૂખ ખાન એ મૌન યૌદ્ધા છે જે કોરોના વાઇરસ સામે લડવામાં ચૂપચાપ દેશની મદદ કરી રહ્યા છે."

છેલ્લા કેટલાક દિવસોમાં શાહરૂખ ખાન અને તેમના પત્ની ગૌરી ખાને કોરોના વાઇરસનાં સંકટમાં મદદ માટે ઘણી મોટી જાહેરાત કરી છે. આ દિવસોમાં શાહરૂખ ખાન અને ગૌરી ટ્વિટર પર ઘણાં ઍક્ટિવ જોવા મળી રહ્યાં છે.

શાહરૂખ ખાને પીએમ કૅર્સ ફંડ અને મહારાષ્ટ્ર મુખ્ય મંત્રી રાહત કોષમાં દાન કર્યું છે.

આ સિવાય તેમણે આરોગ્ય કર્મચારીઓને માસ્ક અને 50 હજાર પર્સનલ પ્રૉટેક્શન ઇક્વિપમંટ (પીપીઈ) માટે પણ રૂપિયા આપ્યા છે. ઉપરાંત શાહરૂખ ખાને લોકોની મદદ કરવાવાળી ચાર સંસ્થાઓને પણ ફંડ આપ્યું છે.

આની જાણકારી આપતા તેમણે ટ્વીટ કર્યું, "આ સમયે લોકોને અહેસાસ કરાવવો જરૂરી છે કે તેઓ એકલા નથી... તે એ લોકો જે દિવસ-રાત થાક્યા વિના તમારા માટે કામ કરી રહ્યા છે. એટલા માટે જાઓ અને સુનિશ્વિત કરો કે આપણી નાની ભૂમિકા સારી રીતે નિભાવો અને એક બીજાનું ધ્યાન રાખો તમામ ભારતીયો એક પરિવાર છે."

શાહરૂખ ખાને કરેલી મદદ બદલ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્વિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી સહિત અનેક લોકોએ તેમનો આભાર માન્યો છે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીના કાર્યાલયથી જ્યારે તેમનો આભાર માનવામાં આવ્યો તો તેમણે મરાઠીમાં જવાબ આપતા કહ્યું, 'આપણે સૌ એક પરિવાર છીએ અને તમામને એક સાથે રાખવા છે, સ્વસ્થ રાખવા છે.'

અરવિંદ કેજરીવાલે જ્યારે શાહરૂખ ખાનનો આભાર માન્યો તો તેમણે જવાબમાં ટ્વીટ કર્યો, "સર, તમે તો દિલ્હીવાળા છો. થેંક્યૂ ના કહો, હુકમ કરો. આપણા દિલ્હીવાળા ભાઇઓ અને બહેનો માટે આપણે લાગેલાં રહીશું. ઇશ્વર ઇચ્છશે તો જલદી આપણે આ સંકટમાંથી જીતીને બહાર નીકળી જઈશું."

આ પહેલાં શાહરૂખ ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જનતા કર્ફ્યૂનું સ્વાગત કર્યું હતું. તે સોશિયલ મીડિયા પર સતત વીડિયો પોસ્ટ કરીને લોકોને લૉકડાઉનનું પાલન કરવા અને ઘરમાં રહેવા માટે અપીલ પણ કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો