કોરોના વાઇરસ : શું ગોમૂત્ર પીવાથી કે નૉન-વેજ ન ખાવાથી લાભ થાય છે?

    • લેેખક, રિયાલિટી ચેક ટીમ
    • પદ, બીબીસી. ન્યૂઝ

અન્ય કેટલાક દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા ઓછી છે. આમ છતાં અહીં વાઇરસથી બચવા માટે જાતજાતની ભ્રામક સલાહો અપાઈ રહી છે.

આ સલાહો અંગે બીબીસી ન્યૂઝે તપાસ કરી હતી.

ગોમૂત્ર અને છાણ

ભારતમાં અનેક બીમારીઓના ઉપચાર માટે ગોમૂત્ર તથા ગાયનું છાણ પરંપરાગત નુસખા તરીકે પ્રચલિત છે.

સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય સુમન હરિપ્રિયાએ પણ વાઇરસની સારવાર માટે ગોમૂત્ર-છાણનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

હરિપ્રિયાએ કહ્યું, "ગાયનું છાણ અનેક રીતે લાભકારી છે. મને લાગે છે કોરોના વાઇરસમાં પણ ગોમૂત્ર લાભકારક 0સાબિત થઈ છે."

ગોમૂત્રના સંભવિત ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણો અંગે અગાઉ અભ્યાસ થયા છે.

કોરોના વાઇરસને નાથવા માટે ગોમૂત્રના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક હિન્દુ રાષ્ટ્રવાદી જૂથે દેશની રાજધાની દિલ્હીમાં ગોમૂત્રપાનનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો.

ઇન્ડિયન વાઇરૉલૉજી સોસાઇટીના ડૉ. શૈલેન્દ્ર સક્સેનાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું :

"એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે ગોમૂત્રમાં ઍન્ટિ-વાઇરલ ગુણધર્મ હોવાનું સાબિત થાય."

"ગાયનું છાણ ઊલટી અસર ઊભી કરે તેવી શક્યતા છે. કારણ કે છાણમાં કોરોના વાઇરસ હોવાની શક્યતા રહેલી છે, જે માણસોમાં ફેલાઈ શકે છે."

આલ્કોહોલ-ફ્રી સૅનિટાઇઝર

વર્ષ 2018થી કાઉપેથી દ્વારા ગાયના છાણમાંથી બનેલા સાબુ ઉપરાંત આલ્કોહોલ-ફ્રી હેન્ડ સેનિટાઇઝરનું ઑનલાઇન વેચાણ થઈ રહ્યું છે, જેમાં દેશી ગાયોનું ગોમૂત્ર ભેળવવામાં આવી રહ્યું છે.

હાલ આ પ્રોડક્ટ 'આઉટ-ઑફ સ્ટૉક' થઈ ગઈ છે. પ્રોડક્ટ પેજ ઉપર મૂકવામાં આવેલાં વિવરણ મુજબ, "માગ વધી ગઈ હોવાથી ગ્રાહકદીઠ અમુક નંગ જ મળશે."

બીજી બાજુ, યોગગુરૂ બાબા રામદેવે એક હિન્દી ન્યૂઝ ચેનલ ઉપર લોકોને ઘરમાં જ હર્બલ હૅન્ડ સેનિટાઇઝર બનાવવા કહ્યું હતું.

તેમણે કહ્યું કે, આયુર્વેદિક ઔષધિઓ અમૃતવેલ, હળદર અને તુલસીના પાન ખાવાથી કોરોના વાઇરસ સામે રક્ષણ મળે છે.

તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન તથા અમેરિકાના ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના કહેવા પ્રમાણે, આલ્કોહોલવાળા હૅન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જરૂરી છે.

લંડન સ્કૂલ ઑફ હાઇજિન ઍન્ડ ટ્રોપિકલ મેડિસિનમાં પ્રાધ્યાપક સૈલી બ્લોમફિલ્ડના કહેવા પ્રમાણે, ઘરમાં બનેલું સેનિટાઇઝર કારગત નહીં નિવડે, કારણ કે તેમાં 40 ટકા આલ્કોહોલ હોય છે.

શાકાહાર

હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજે લોકોને માંસાહાર ન કરવા સલાહ આપી, તેમણે ટ્વીટ કર્યું, 'શાકાહારી બનો.'

"અલગ-અલગ પ્રકારના જાનવરોનું માંસ ખાઈને માનવજાત માટે જોખમ ઊભું ન કરો. કોરોના વાઇરસ જેવા વાઇરસ પેદા ન કરો."

એક હિંદુ રાષ્ટ્રવાદી સંગઠનનો દાવો છે કે માંસાહારીઓને સજા દેવા માટે કોરોના વાઇરસ આવ્યો છે.

પશુધન સાથે સંકળાયેલા મંત્રાલયનું કહેવું છે કે ઈંડા તથા ચિકનનું વેચાણ ઘટી ગયું છે. ભારત સરકારની ફૅક્ટચેકિંગ સર્વિસે આ માન્યતાનું ખંડન કરતી પોસ્ટ મૂકી હતી.

સરકારના પ્રધાન ગિરિરાજ સિંહના કહેવા પ્રમાણે માંસાહાર અને કોરોના વાઇરસના જોડાણના કોઈ પુરાવા નથી મળ્યા.

ગિરિરાજ સિંહે કહ્યું, "કોરોના વાઇરસ, માછલી, ચિકન તથા ઈંડાં ખાવાથી નથી ફેલાતો. તે પ્રોટીનના મહત્ત્વપૂર્ણ સ્રોત છે, એટલે બેધડક ખાઓ."

બચાવ માટે ગાદલા

અમુક વેપારી પોતાનો સામાન વેચવા માટે કોરોના વાઇરસની મહામારીનો ઉપયોગ કરી રહ્યા છે.

જેમ કે રૂ. 15 હજારમાં 'ઍન્ટિ-કોરોના વાઇરસ' ગાદલાં બજારમાં વેચાઈ રહ્યાં છે, જેની જાહેરાતો અખબારોમાં છાપવામાં આવી હતી.

અરિહંદ મેટ્રૅસના મૅનેજિંગ ડાયરેક્ટર અમર પારેખે બીબીસી. ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું, "આ ઍન્ટિ-ફંગલ, ઍન્ટિ-ઍલર્જિક, ડસ્ટપ્રૂફ તથા વોટરપ્રૂફ છે. તેની અંદર કશું પ્રવેશી નથી શકતું."

જોકે, હવે ગાદલાંની જાહેરાતને હઠાવી દેવામાં આવી છે. પારેખે કહ્યું, "હું કોઈને નુકસાન પહોંચાડવા નથી માગતો. વિરોધ થતાં અમે જાહેરાત પાછી ખેંચી લીધી છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો