You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IMF એ ભારતના આર્થિક વિકાસદરનું અનુમાન ઘટાડ્યું TOP NEWS
આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ એટલે કે આઈએમએફએ વર્ષ 2019 માટે ભારતના આર્થિક વિકાસદરનું અનુમાન ઘટાડીને 4.8 ટકા કરી નાખ્યું છે.
આઈએમએફ દ્વારા આ અનુમાન ગેરબૅન્કિંગ નાણાકીય સંસ્થાઓના દબાણ સાથે ગ્રામ્ય ભારતની નબળી પડેલી આવકને ટાંકીને ઘટાડવામાં આવ્યું છે.
આઈએમએફે દાવોસમાં વિશ્વ આર્થિક મંચના વાર્ષિક શિખર સંમેલનના આરંભ પહેલાં વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ અંગે જાણકારી આપી છે.
મુદ્રાકોષનું માનવું છે કે વર્ષ 2019માં ભારતનો આર્થિક વિકાસદર 4.8 ટકા, વર્ષ 2020માં 5.8 ટકા અને એ બાદ વર્ષ 2021માં 6.5 ટકા રહે તેવી સંભાવના છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર આઈએમએફનાં મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું કે મોટા ભાગે ગેરબૅન્કિંગ નાણાકીય ક્ષેત્રોમાં નરમી અને ગ્રામ્ય ક્ષેત્રોની આવકમાં નબળી વૃદ્ધિને પગલે ભારતના આર્થિક વિકાસના દરનું અનુમાન ઘટાડી દેવાયું છે.
આઈએમએફે કહ્યું છે કે ભારતમાં ઘરગથ્થુ માગની આશા વિપરીત તેજીથી ઘટી છે. આ બધા વચ્ચે ચીનનો આર્થિક વિકાસદર વર્ષ 2020માં 0.2 ટકા વધીને 6 ટકા રહેવાનું અનુમાન છે.
'બીબીસી દુનિયા' હવે 'NDTV ઇન્ડિયા' પર
બીબીસી હિંદીનો લોકપ્રિય ટીવી કાર્યક્રમ 'બીબીસી દુનિયા' હવે 'NDTV ઇન્ડિયા' પર સોમવારથી શુક્રવાર રાતે દસ વાગ્યે જોઈ શકાશે.
બીબીસી હિંદીએ પોતાના દર્શકો માટે આ કાર્યક્રમને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'બીબીસી દુનિયા'માં હવેથી દર્શકો રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વ ધરાવતા એ વિષયોને નિહાળી શકશે, જેના વિશે ચર્ચા તો થાય છે પણ એ અંગે વિસ્તૃત માહિતી કોઈ આપતું નથી.
આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ રજૂ કરવામાં આવશે અને વૈશ્વિક ઘટનાક્રમની ભારત પર પડનારી અસરનું વિશ્લેષણ કરવામાં આવશે.
પ્લમ્બર, બ્યુટીશિયન, ઇલેક્ટ્રિશિય પણ GST હેઠળ
કેન્દ્ર સરકાર સેવાક્ષેત્રના પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, બ્યુટીશિયન જેવા વ્યવસાયિકોને 'ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ' હેઠળ આવરી લેવાનું વિચારી રહી છે.
'ઇકૉનૉમિક ટાઇમ્સ'ના અહેવાલ મુજબ અનૌપચારિક ક્ષેત્રના કર્મચારીઓને ઔપચારિક માનવબળમાં સામેલ કરવાના ઉપાય માટે આ પગલું ભરાઈ રહ્યું છે.
ઉચ્ચ સ્તરના એક સરકારી અધિકારીને ટાંકીને અખબારે જણાવ્યું કે ઉદ્યોગ અને આંતિરક વેપારઉત્તેજન માટેનો વિભાગ 'અર્બનકૅપ', 'હાઉસજૉય', 'બ્રૉ4યુ' જેવાં ઑનલાઇન માર્કેટપ્લેસ જીએસટી નંબર ધરાવતા વ્યવસાયિકોને જ નોકરી આપે એ સુનિશ્ચિત કરવાનું વિચારી રહ્યો છે.
જોકે, આવાં પ્લૅટફૉર્મનો ઉપયોગ કરનારા પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, ફિટનેસ ટ્રેનરનું વાર્ષિક ટર્નઓવર 40 લાખ રૂપિયાથી ઓછું હશે, તેમને જીએસટી નહીં ચૂકવવવો પડે.
સરકારી અધિકારીએ અખબારને જણાવ્યા અનુસાર વ્યવાસિકોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.
આંધ્રપ્રદેશમાં હશે ત્રણ-ત્રણ પાટનગર
આંધ્રપ્રદેશની વિધાનસભાએ વિપક્ષના ભારે વિરોધ વચ્ચે એ વિધેયકને મંજૂરી આપી દીધી, જેમાં રાજ્યમાં ત્રણ પાટનગર બનાવવાની જોગવાઈ છે.
સોમવાર મોડી રાતે આંધ્રપ્રદેશ વિધાનસભામાં પસાર થયેલા આ વિધેયક અનુસાર વિશાખાપટ્ટનમ, કુર્નુલ અને અમરાવતીને રાજ્યનાં ત્રણ પાટનગર તરીકે વિકસિત કરવામાં આવશે.
આ પહેલાં વિધાનસભમાં અત્યંત નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો, જેમાં વિપક્ષના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુની પોલીસે અટકાયત કરી લીધી.
તેઓ તેલુગુદેશમ પક્ષના ધારાસભ્યો સાથે વિધાનસભાના મુખ્ય દ્વાર નજીક માર્ચ યોજી રહ્યા હતા.
મુખ્ય મંત્રી વાય. એસ. જગનમોહન રેડ્ડીના ભાષણ દરમિયાન ખલેલ પહોંચાડનારા તેલુગુદેશમ પક્ષના 17 ધારાસભ્યોને વિધાનસભામાંથી નિલંબિત કરી દેવાયા હતા.
જેના વિરોધમાં ચંદ્રબાબુ મુખ્ય પ્રવેશદ્વાર નજીક ધરણા પર બેસી ગયા હતા.
ચંદ્રબાબુએ કહ્યું, "દુનિયામાં કોઈ રાજ્યની ત્રણ રાજધાની નથી. આજે એક કાળો દિવસ છે. અમે અમરાવતી અને આંધ્રપ્રદેશને બચાવવા માગીએ છીએ. માત્ર હું જ નહીં, સમગ્ર રાજ્યના લોકો રસ્તા પર ઊતરી રહ્યા છે. સરકાર દરેકની અટકાયત કરી રહી છે. લોકશાહી માટે આ ખરાબ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો